રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીનો વોરાકોટડા ગામમાં 40 ગામના ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિ પર સંવાદ

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીનો વોરાકોટડા ગામમાં 40 ગામના ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિ પર સંવાદ

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી આજ વોરાકોટડા ગામ પાસે ગીર ગૌ જતન સંસ્થાન ખાતે 40 ગામના ખેડૂતો સાથે મળીને પ્રાકૃતિક કૃષિ અંગે વિશેષ સંવાદ યોજ્યો. રાજ્યપાલશ્રીએ ખેડૂતોને ઝેરમુક્ત ખેતી અપનાવવા પ્રોત્સાહિત કર્યા અને પ્રાકૃતિક કૃષિથી જમીનની ઉપજાઉ શક્તિ વધારીને આવક વધારવાની વાત સમજાવી. આ કાર્યક્રમ દરમિયાન તેમણે ‘ઝેરમુક્ત ભારત: ગાય, ગામ, કૃષિ યાત્રા’ - ગોંડલથી સોમનાથ સુધીની પદયાત્રાનું પ્રારંભ કરાવ્યું, જે લોકોમાં પ્રાકૃતિક કૃષિ અને દેશી ગાયના સંવર્ધન માટે જાગૃતિ લાવશે.

પ્રાકૃતિક ખેતી પર સંવાદમાં રાજ્યપાલશ્રીએ કહ્યું કે, ઘણા ખેડૂતો રાસાયણિક ખાતર છોડવાથી ઉત્પાદન ઘટશે તેવી ભીતિ રાખે છે. તેમ છતાં, અનેક ખેડૂતોના અનુભવ દર્શાવે છે કે પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન ઘટતું નથી, પણ ગુણવત્તાયુક્ત અને વધુ ઉપજ મળે છે. ઉપરાંત, આ પદ્ધતિ ખર્ચની દૃષ્ટિએ પણ ઘણું કિફાયતભર્યું છે. લુણીવાવમાં એક ખેડૂત એક ગાયથી 16 વીઘા જમીનમાં પ્રાકૃતિક ખેતી કરી રહ્યો છે અને એક વીઘે 20 થી 22 મણ ચણાનું ઉત્પાદન થાય છે, જેમાં પોષક તત્વો પણ પૂરતા પ્રમાણમાં છે.
 


રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનો વધુ ઉપયોગ જમીનને બંજર બનાવી દે છે. ઝેરી ખાતરથી ઉગેલા અનાજ આરોગ્ય માટે હાનિકારક છે અને તેમાં કેન્સર જેવી ગંભીર બીમારીઓ પેદા થઈ શકે છે. ભૂગર્ભજળમાં પણ આ ઝેર ઉતરી રહ્યો છે, જે અનેક સ્થળે પીવાલાયક નથી. આઈ.સી.આર.ના રિસર્ચ અનુસાર, ઘઉં અને ચોખામાં 45% પોષક તત્વો ગુમ થઈ ગયા છે, જેનાથી પોષણની કમી ઊભી થાય છે.

પ્રાકૃતિક ખેતીમાં દેશી ગાયના ગોબરનો વિશેષ ઉપયોગ થાય છે. એક દેશી ગાયના 30 દિવસના ગોબરમાંથી 30 એકર જમીન માટે ખાતર તૈયાર થઈ શકે છે. એક ગ્રામ ગોબરમાં લગભગ 300 કરોડ સૂક્ષ્મજીવાણુઓ હોય છે અને 10 કિલો ગોબરમાં 30 લાખ કરોડ સૂક્ષ્મજીવાણુઓ હોય છે. આ સૂક્ષ્મજીવાણુઓ જમીનમાં છંટકાવ કરવાથી જમીનની ફળદ્રુપતા વધે છે અને પાક વધુ ઉત્તમ થાય છે.

રાજ્યપાલશ્રીએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના રાષ્ટ્રીય પ્રાકૃતિક મિશનનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, રાજ્યમાં આશરે આઠ લાખ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવી રહ્યા છે. તેમણે ખેડૂતોને આહવાન કર્યો કે, ગામડાઓના ગ્રુપ બનાવીને ગુજરાત સરકાર દ્વારા વિનામૂલ્ય પ્રદાન કરાતા પ્રાકૃતિક કૃષિ તાલીમ શિબિરોમાં ભાગ લઈ ઝેરમુક્ત ખેતી અપનાવો. આ પગલાથી ભવિષ્યની પેઢી માટે શુદ્ધ આહાર ઉપલબ્ધ રહેશે, હવા શુદ્ધ રહેશે, ધરતી સોના જેવી ઉપજાઉ બની રહેશે, સ્વાસ્થ્ય સારું રહેશે, ખેડૂતોની આવક વધશે અને દેશનું હૂંડિયામણ બચશે.

આ તકે રાજ્યપાલશ્રીએ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવાનો શપથ પણ લેવડાવ્યો. તેમ જ કૃષિ સખી, કિસાન મિત્ર અને આત્માના સ્ટાફને પ્રાકૃતિક કૃષિને મિશન તરીકે આગળ વધારવા માટે પ્રોત્સાહિત કરાયા.

કાર્યક્રમમાં જિલ્લા કલેકટર ડૉ. ઓમ પ્રકાશે સ્વાગત પ્રવચન આપ્યું અને જણાવ્યું કે, પ્રાકૃતિક કૃષિની યજ્ઞમાં જિલ્લા વહીવટી તંત્ર હંમેશા ખેડૂતોની સાથે ઊભું છે. કાર્યક્રમના અંતે ગીર ગૌ જતન સંસ્થાનના શ્રી રમેશભાઈ રૂપારેલીયાએ આભાર વિધિ કરી હતી.

રાજ્યપાલશ્રીએ આ અવસરે ગીર ગૌ જતન સંસ્થાન દ્વારા આયોજિત ‘ઝેરમુક્ત ભારત - ગાય, ગામ, કૃષિ યાત્રા’ ની પદયાત્રાનું પ્રારંભ કરાવ્યું, જે લોકોમાં પ્રાકૃતિક કૃષિ અને ગાયના સંવર્ધન અંગે વધુ જાગૃતિ લાવશે. પદયાત્રા દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં આંદોલનનું પ્રેરણાદાયક વાતાવરણ સર્જાશે. કાર્યક્રમમાં રાજકોટ ગ્રામ્ય પોલીસ વડા શ્રી વિજયસિંહ ગુર્જર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી એ.કે. વસ્તાણી, પૂર્વ સાંસદ શ્રી રમેશભાઈ ધડુક, જિલ્લા પંચાયતના ખેતીવાડી વિભાગ, આત્માના અધિકારીઓ તેમજ અનેક ખેડૂતો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા.

આ કાર્યક્રમ રાજ્યમાં પ્રાકૃતિક કૃષિ અને દેશી ગાયના સમૂહ વિકાસ માટે મહત્વપૂર્ણ પાયાનો પ્રસ્થાન બની રહ્યું છે.
 

You may also like

રાજકોટ મનપાના જન્મ-મરણ વિભાગમાં સરપ્રાઈઝ વિઝિટ: મેયર સહિત પદાધિકારીઓએ અરજદારો માટે સુવિધા વધારવાના કડક આદેશ આપ્યા

રાજકોટ મનપાના જન્મ-મરણ વિભાગમાં સરપ્રાઈઝ વિઝિટ: મેયર સહિત પદાધિકારીઓએ અરજદારો માટે સુવિધા વધારવાના કડક આદેશ આપ્યા

100 કિ.મી.ની ઝડપે પવન સાથે ભારે વરસાદ અને કરાની આગાહી: IMDએ જાહેર કર્યું રેડ એલર્ટ

100 કિ.મી.ની ઝડપે પવન સાથે ભારે વરસાદ અને કરાની આગાહી: IMDએ જાહેર કર્યું રેડ એલર્ટ

ગીરના સિંહોમાં બબેસિઓસિસનો ખતરો: બે સિંહના મોતની શંકા, 17 સિંહ આઇસોલેશનમાં

ગીરના સિંહોમાં બબેસિઓસિસનો ખતરો: બે સિંહના મોતની શંકા, 17 સિંહ આઇસોલેશનમાં

ભીષણ ગરમી બાદ દેશભરમાં હવામાનમાં મોટો ફેરફાર: અનેક રાજ્યોમાં તોફાની પવન સાથે ભારે વરસાદનું એલર્ટ

ભીષણ ગરમી બાદ દેશભરમાં હવામાનમાં મોટો ફેરફાર: અનેક રાજ્યોમાં તોફાની પવન સાથે ભારે વરસાદનું એલર્ટ