એમ.પી.ના મુરૈનામાં ટ્રેનમાં આગની ખોટી અફવાથી ગભરાયેલા 4 મુસાફરોએ ગુમાવ્યા જીવ Jun 15, 2026 કાળ બનીને આવી સામેથી આવ્યો બીજી ટ્રેન હેઠળ કચડાયામધ્યપ્રદેશના મુરૈના જિલ્લામાં રવિવારે સાંજે એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ટ્રેનમાં આગ લાગવાની માત્ર એક અફવાને કારણે સર્જાયેલી અફરાતફરીમાં 4 નિર્દોષ મુસાફરોએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. આ અકસ્માત ત્યારે થયો જ્યારે ઉદયપુર ઇન્ટરસિટી એક્સપ્રેસના મુસાફરો ગભરાઈને ચાલુ ટ્રેનમાંથી નીચે કૂદી પડ્યા હતા અને સામેથી આવતી અન્ય ટ્રેનની અડફેટે આવી ગયા હતા.ઘટનાની વિગત મુજબ, ઉદયપુર ઇન્ટરસિટી એક્સપ્રેસ જ્યારે મુરૈનાના હેતમપુર સ્ટેશન પાસેથી પસાર થઈ રહી હતી, ત્યારે ટ્રેનના ડબ્બાઓમાં અચાનક એવી અફવા ફેલાઈ કે ટ્રેનમાં ભીષણ આગ લાગી છે. આ અફવા વાયુવેગે ફેલાતા જ ટ્રેનમાં સવાર મુસાફરોમાં ગભરાટનો માહોલ સર્જાયો હતો. જીવ બચાવવાના પ્રયાસમાં, અનેક મુસાફરોએ ગંભીરતાથી વિચાર્યા વગર જ ચાલુ ટ્રેનમાંથી નીચે કૂદવાનું શરૂ કરી દીધું હતું.ટ્રેનમાંથી કૂદીને રેલવે ટ્રેક પર ઉતરેલા મુસાફરો માટે દુર્ભાગ્યવશ તે જ સમયે બાજુના ટ્રેક પરથી પાતાળકોટ એક્સપ્રેસ પૂરપાટ ઝડપે પસાર થઈ રહી હતી. ટ્રેનમાંથી ઉતરેલા મુસાફરો પાટા પર હતા, તે દરમિયાન જ પાતાળકોટ એક્સપ્રેસ આવી પહોંચતા તેમને બચવાની કોઈ તક મળી ન હતી. આ ભયાનક ટક્કરમાં 4 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા.ઘટનાની જાણ થતાં જ તંત્ર દોડતું થયું હતું અને સ્થાનિક પોલીસ તથા વહીવટી તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. હાલ આ મામલે રેલવે તંત્ર દ્વારા તપાસ કરવામાં આવી રહી છે કે આખરે આગની આ અફવા કોણે ફેલાવી હતી, જેણે 4 પરિવારોના સભ્યોનો ભોગ લીધો. Previous Post Next Post