છત્તીસગઢના રાયપુરમાં ક્રિસમસની ઉજવણીમાં ભંગ, બંધના એલાન વચ્ચે મોલમાં તોડફોડ Dec 25, 2025 છત્તીસગઢના રાયપુર સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં ક્રિસમસના દિવસે તણાવપૂર્ણ માહોલ સર્જાયો હતો. કાંકેર જિલ્લામાં અગાઉ થયેલી હિંસા અને કથિત ગેરકાયદેસર ધર્માંતરણના મુદ્દે વિવિધ હિન્દુ અને સામાજિક સંગઠનો દ્વારા 25 ડિસેમ્બરે રાજ્યવ્યાપી બંધનું એલાન આપવામાં આવ્યું હતું. બંધની સીધી અસર રાયપુર, કાંકેર, દુર્ગ, જગદલપુર અને બિલાસપુર જેવા મુખ્ય શહેરોમાં જોવા મળી, જ્યાં સવારથી જ બજારો, દુકાનો અને કેટલીક શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહી હતી.રાયપુરમાં સ્થિતિ ત્યારે વધુ તંગ બની જ્યારે બંધ દરમિયાન પ્રદર્શનકારીઓ શહેરના જાણીતા મેગ્નેટો મોલમાં ઘૂસી ગયા હતા. મોલમાં ક્રિસમસના પર્વને લઈને કરવામાં આવેલી સજાવટ અને સામગ્રીને કાર્યકરોએ ફેંકી દીધી હતી અને તોડફોડ કરી હતી. મોલમાં હાજર લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ તેલીબાંધા પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો અને સ્થિતિ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, આ ઘટના અંગે મોલ મેનેજમેન્ટ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી નથી.બંધના કારણે રાયપુરમાં જનજીવન વ્યાપક રીતે પ્રભાવિત થયું હતું. શહેરમાં બસ અને ઓટોરિક્ષા સેવાઓ મોટા પ્રમાણમાં બંધ રહી હતી. સર્વ આદિવાસી સમાજના કાર્યકરોએ આંતરરાજ્ય બસ સ્ટેન્ડ પર પહોંચી બસોની અવરજવર અટકાવી દીધી હતી, જેના કારણે મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ઘણા મુસાફરો કલાકો સુધી બસ સ્ટેન્ડ પર અટવાઈ ગયા હતા. આ ઉપરાંત, આમાનાકા વિસ્તારમાં પેટ્રોલ પંપ બંધ કરાવવાના પ્રયાસોને લઈને પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણની સ્થિતિ પણ સર્જાઈ હતી.માત્ર રાયપુર જ નહીં પરંતુ કાંકેર જિલ્લામાં પણ સ્થિતિ અત્યંત સંવેદનશીલ બની હતી. કાંકેર જિલ્લાના આમાબેડા વિસ્તારના ઉસેલી ગામમાં ઈસાઈ ધર્મ અપનાવનારી એક મહિલા રામબાઈ તારમના ઘર પર ટોળાએ હુમલો કરી તોડફોડ કરી હતી. મહિલાનો આરોપ છે કે તે હિન્દુ ધર્મમાં પાછી આવવા ઇચ્છતી નથી, જેના કારણે તેના ઘરને નિશાન બનાવવામાં આવ્યું છે. આ ઘટનાથી ગામમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. પોલીસ દ્વારા ઘટના અંગે તપાસ શરૂ કરવામાં આવી છે અને સ્થિતિ નિયંત્રણમાં રાખવા વધારાનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.આ વચ્ચે, ધમતરી જિલ્લામાં પણ ધર્માંતરણના મુદ્દે સર્વ હિન્દુ સમાજ દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર આક્રોશ રેલી કાઢવામાં આવી હતી. રેલી દરમિયાન પ્રદર્શનકારીઓએ ધર્માંતરણ અને જિલ્લા વહીવટીતંત્ર વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. રેલી પૂર્ણ થયા બાદ પ્રદર્શનકારીઓએ મુખ્યમંત્રીને સંબોધીને પાંચ મુદ્દાઓનું આવેદનપત્ર એસડીએમ કચેરી ખાતે સુપરત કર્યું હતું. આવેદનપત્રમાં ગેરકાયદેસર ધર્માંતરણ સામે કડક કાર્યવાહી, અસરગ્રસ્ત વિસ્તારોમાં સુરક્ષા વધારવાની માંગ સહિતના મુદ્દાઓ સમાવાયા હતા.રાજ્યવ્યાપી બંધ અને હિંસાની ઘટનાઓને પગલે પોલીસ અને વહીવટીતંત્ર એલર્ટ મોડ પર રહ્યું હતું. સંવેદનશીલ વિસ્તારોમાં વધારાની પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી હતી. ઉચ્ચ અધિકારીઓ દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. વહીવટીતંત્રે નાગરિકોને શાંતિ જાળવવા અને અફવાઓથી દૂર રહેવાની અપીલ કરી છે.ક્રિસમસ જેવો શાંતિ અને સ્નેહનો પર્વ આ રીતે તણાવ અને હિંસાના માહોલમાં પસાર થવાથી સામાન્ય નાગરિકોમાં નિરાશા જોવા મળી રહી છે. સામાજિક તણાવ અને ધાર્મિક મુદ્દાઓને લઈને સર્જાયેલી આ સ્થિતિએ ફરી એકવાર કાયદો-વ્યવસ્થા અને સામાજિક સૌહાર્દ જાળવવાનો પડકાર ઉભો કર્યો છે. આવનારા દિવસોમાં વહીવટીતંત્ર દ્વારા લેવામાં આવનારા પગલાં પર સમગ્ર રાજ્યની નજર ટકેલી છે. Previous Post Next Post