ઠંડીનો બોકાસો: સૌરાષ્ટ્ર-કચ્છમાં કડકડતી ઠંડી યથાવત, અમરેલી 6 ડિગ્રી સૌથી ઠંડું, ગિરનાર 3 ડિગ્રી સુધી પારો ગગડ્યો

ઠંડીનો બોકાસો: સૌરાષ્ટ્ર-કચ્છમાં કડકડતી ઠંડી યથાવત, અમરેલી 6 ડિગ્રી સૌથી ઠંડું, ગિરનાર 3 ડિગ્રી સુધી પારો ગગડ્યો

મકરસંક્રાંતિ બાદ પણ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર–કચ્છમાં તીવ્ર ઠંડીનો સપાટો યથાવત રહ્યો છે. અનેક વિસ્તારોમાં સિંગલ ડિજિટ તાપમાન નોંધાતા લોકો ઠંડીથી ઠુઠવાઈ ગયા છે. રાજ્યના છથી વધુ સ્થળોએ લઘુતમ તાપમાન 10 ડિગ્રીથી નીચે ઉતર્યું હતું.

આજે અમરેલીમાં લઘુતમ તાપમાન 6 ડિગ્રી નોંધાતા રાજ્યનું સૌથી ઠંડું શહેર બન્યું હતું. જુનાગઢમાં 7.5 ડિગ્રી સાથે બીજા ક્રમે ઠંડીનો અહેસાસ થયો હતો. ગિરનાર પર્વત ઉપર તાપમાન 3 ડિગ્રી સુધી ઉતરી જતા પર્વત અને આસપાસના જંગલ વિસ્તારમાં સોપો પડ્યો હતો.
 

મુખ્ય શહેરોમાં લઘુતમ તાપમાન

સવારે નોંધાયેલા લઘુતમ તાપમાન મુજબ રાજકોટમાં 8.4 ડિગ્રી, પોરબંદરમાં 8.9, નલિયામાં 9.6 અને ડિસામાં 9.3 ડિગ્રી નોંધાયું હતું. ગોહિલવાડ પંથકમાં પણ સિઝનની સૌથી વધુ ઠંડી નોંધાઈ હતી. ભાવનગર શહેરમાં લઘુતમ તાપમાન ઘટીને 10.6 ડિગ્રી નોંધાયું હતું. અહીં વાતાવરણમાં ભેજનું પ્રમાણ 66 ટકા અને પવનની ઝડપ 6 કિમી પ્રતિ કલાક રહી હતી.

રાજ્યના અન્ય વિસ્તારોમાં અમદાવાદમાં 11.5, વડોદરામાં 10, ગાંધીનગરમાં 10.5, ભુજમાં 12.4, કંડલામાં 11.5, દિવમાં 10.2, દમણમાં 13.4, સુરતમાં 13.2, વેરાવળમાં 14.2, દ્વારકામાં 15.7 અને ઓખામાં 18.6 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.
 

જુનાગઢમાં વર્ષનો સૌથી ઠંડો દિવસ

સૌરાષ્ટ્રમાંથી મળતા અહેવાલો મુજબ જુનાગઢમાં મકરસંક્રાંતિના પાવન દિવસે વર્ષનો સૌથી ઠંડો દિવસ નોંધાયો હતો. તાપમાનનો પારો અચાનક નીચે ઉતરી આજે સવારે 8.4 ડિગ્રી અને કેટલાક વિસ્તારોમાં 7.5 ડિગ્રી સુધી પહોંચ્યો હતો, જેના કારણે જનજીવન પર માઠી અસર પડી હતી.

હવામાન વિભાગે જણાવ્યું કે આજે વહેલી સવારે 6 વાગ્યે તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો. ગિરનાર પર તાપમાન 3 ડિગ્રીથી પણ નીચે ઉતરતાં પ્રવાસીઓ ઠંડીથી કંપતા જોવા મળ્યા હતા. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 81 ટકા અને પવનની ગતિ પ્રતિ કલાક 4.4 કિમી નોંધાઈ હતી. ઠંડીની અસર પશુ–પક્ષીઓ પર પણ સ્પષ્ટ રીતે જોવા મળી રહી છે.
 

જામનગર અને ખંભાળિયામાં ઠંડી–ઝાંકળની અસર

જામનગરમાં મકરસંક્રાંતિના દિવસે શિયાળાની સિઝનમાં પ્રથમવાર લઘુતમ તાપમાન 8.5 ડિગ્રી નોંધાયું હતું. જોકે, છેલ્લા 24 કલાકમાં તાપમાનમાં 1.5 ડિગ્રીનો વધારો થતા પારો ફરી 10 ડિગ્રી સુધી પહોંચ્યો હતો. તેમ છતાં નાગરિકોએ ગરમ વસ્ત્રો અને તાપણાનો સહારો લીધો હતો. કલેક્ટર કંટ્રોલ રૂમ મુજબ જામનગરમાં લઘુતમ તાપમાન 10 ડિગ્રી અને મહત્તમ તાપમાન 25.5 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે ભેજ 63 ટકા અને પવનની ગતિ 3.5 કિમી પ્રતિ કલાક રહી હતી.

ખંભાળિયા તાલુકામાં છેલ્લા કેટલાક દિવસોથી તાપમાનનો પારો સતત ગગડતો રહ્યો છે. આજે વહેલી સવારે ગાઢ ઝાંકળ છવાતા દૃશ્યતા (વિઝિબિલિટી) ખૂબ જ ઘટી ગઈ હતી. હાઈવે પર વાહનોની ગતિ ધીમી રહી હતી અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ઝાંકળ અને ઠંડીના કારણે અબાલ–વૃદ્ધો તેમજ પશુ–પક્ષીઓ પર પણ અસર પડી છે.

You may also like

રાજકોટ મનપાના જન્મ-મરણ વિભાગમાં સરપ્રાઈઝ વિઝિટ: મેયર સહિત પદાધિકારીઓએ અરજદારો માટે સુવિધા વધારવાના કડક આદેશ આપ્યા

રાજકોટ મનપાના જન્મ-મરણ વિભાગમાં સરપ્રાઈઝ વિઝિટ: મેયર સહિત પદાધિકારીઓએ અરજદારો માટે સુવિધા વધારવાના કડક આદેશ આપ્યા

100 કિ.મી.ની ઝડપે પવન સાથે ભારે વરસાદ અને કરાની આગાહી: IMDએ જાહેર કર્યું રેડ એલર્ટ

100 કિ.મી.ની ઝડપે પવન સાથે ભારે વરસાદ અને કરાની આગાહી: IMDએ જાહેર કર્યું રેડ એલર્ટ

ગીરના સિંહોમાં બબેસિઓસિસનો ખતરો: બે સિંહના મોતની શંકા, 17 સિંહ આઇસોલેશનમાં

ગીરના સિંહોમાં બબેસિઓસિસનો ખતરો: બે સિંહના મોતની શંકા, 17 સિંહ આઇસોલેશનમાં

ભીષણ ગરમી બાદ દેશભરમાં હવામાનમાં મોટો ફેરફાર: અનેક રાજ્યોમાં તોફાની પવન સાથે ભારે વરસાદનું એલર્ટ

ભીષણ ગરમી બાદ દેશભરમાં હવામાનમાં મોટો ફેરફાર: અનેક રાજ્યોમાં તોફાની પવન સાથે ભારે વરસાદનું એલર્ટ