રાજકોટ મનપાના જન્મ-મરણ વિભાગમાં સરપ્રાઈઝ વિઝિટ: મેયર સહિત પદાધિકારીઓએ અરજદારો માટે સુવિધા વધારવાના કડક આદેશ આપ્યા May 29, 2026 રાજકોટ મહાનગરપાલિકાના જન્મ-મરણ તેમજ વેરા વસુલાત વિભાગમાં આજે નવનિયુક્ત મેયર નેહલ શુકલ સહિતના પદાધિકારીઓ દ્વારા ઓચિંતી સરપ્રાઈઝ મુલાકાત લેવામાં આવી હતી. સેન્ટ્રલ ઝોન સિવિક સેન્ટરમાં થયેલી આ મુલાકાત દરમિયાન અરજદારોને પડી રહેલી ભારે મુશ્કેલીઓ સામે આવી હતી, જેના પગલે મેયર દ્વારા તાત્કાલિક સુધારા કરવા માટે વહીવટી તંત્રને કડક સૂચનાઓ આપવામાં આવી હતી.કચેરી શરૂ થતાં જ મેયર નેહલ શુકલે અન્ય પદાધિકારીઓ સાથે જન્મ-મરણ વિભાગની મુલાકાત લીધી હતી. અહીં લાંબી લાઈનોમાં ઊભેલા અરજદારો કાળઝાળ ગરમી અને તડકામાં ભારે હેરાનગતિ અનુભવી રહ્યા હતા. પાણી, છાંયડો અને બેસવાની પૂરતી વ્યવસ્થા ન હોવાને કારણે લોકોમાં અસંતોષ જોવા મળ્યો હતો. આ સ્થિતિ જોઈ મેયર નારાજ થયા અને તેમણે તાત્કાલિક ડેપ્યુટી કમિશનર ચેતનભાઈ નંદાણીને સ્થળ પર બોલાવી જરૂરી વ્યવસ્થાઓ ઉભી કરવા આદેશ આપ્યો હતો.મેયરે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે જ્યાં સુધી અરજદારો માટે પાણી, છાંયડો અને ખુરશીની પૂરતી વ્યવસ્થા ન થાય ત્યાં સુધી ડેપ્યુટી કમિશનરે સ્થળ છોડવું નહીં. આ આદેશ બાદ વહીવટી તંત્ર તરત જ સક્રિય થયું અને થોડા જ સમયમાં જરૂરી વ્યવસ્થાઓ ઉભી કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી.લગભગ એક કલાક બાદ મેયર નેહલ શુકલ ફરીથી સ્ટેન્ડિંગ ચેરમેન પરેશ પીપળીયા, શાસક પક્ષના નેતા હિરેન ખીમાણીયા અને દંડક સંજયસિંહ રાણાને સાથે લઈને સિવિક સેન્ટરની મુલાકાતે પહોંચ્યા હતા. તેમણે નવી ઉભી કરાયેલી વ્યવસ્થાઓની જાતે ચકાસણી કરી હતી. આ દરમિયાન ડેપ્યુટી કમિશનર, ઈન્ચાર્જ આરોગ્ય અધિકારી, ટેક્સ બ્રાંચ મેનેજર અને જન્મ-મરણ વિભાગના સુપરવાઈઝર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.આ મુલાકાત દરમિયાન પદાધિકારીઓએ અરજદારોની સુવિધા માટે અનેક મહત્વપૂર્ણ નિર્ણય લીધા છે. હવે જન્મ-મરણ વિભાગમાં દૈનિક ટોકન સિસ્ટમ લાગુ કરવામાં આવશે, જેમાં દરરોજ 70 ટોકન આપવામાં આવશે. જો કોઈ અરજદારનો વારો એ દિવસે ન આવે તો તેને આગામી દિવસે પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવશે, જેથી લોકોનો સમય બગડે નહીં.આ ઉપરાંત ઓફલાઇન અરજી સ્વીકારવાની વ્યવસ્થા પણ શરૂ કરવામાં આવશે. ખાસ કરીને નામ સુધારણા સહિતની કામગીરી માટે અરજદારોની અરજી સ્વીકારીને પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ફોન દ્વારા જાણ કરવામાં આવશે. કચેરીમાં પીવાના પાણીની સુવિધા પણ વધારવામાં આવશે અને દર અડધી કલાકે પાણી પહોંચાડવાની વ્યવસ્થા ગોઠવવામાં આવશે.મેયર નેહલ શુકલે જણાવ્યું હતું કે જન્મ-મરણની કામગીરી હાલ કેન્દ્ર સરકારના પોર્ટલ સાથે જોડાયેલી હોવાથી સર્વર અને ટેક્નિકલ સમસ્યાઓને કારણે વિલંબ થાય છે. જ્યાં સુધી કેન્દ્ર દ્વારા જરૂરી ID અને ટેક્નિકલ સુધારા ન થાય ત્યાં સુધી અરજદારોને તાત્કાલિક રાહત આપવા માટે સ્થાનિક સ્તરે તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે.શાસક પક્ષના દંડક સંજયસિંહ રાણાએ જણાવ્યું હતું કે સિવિક સેન્ટરમાં તાત્કાલિક ધોરણે અનેક સુધારા કરવામાં આવ્યા છે. બંધ પડેલા ફ્રિજને ફરી શરૂ કરાવવામાં આવ્યા છે, પીવાના પાણીની વધારાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે અને અરજદારો માટે પૂરતી ખુરશી અને બેન્ચ ગોઠવવામાં આવી છે. સાથે જ કર્મચારીઓને અરજદારો સાથે શિસ્તબદ્ધ વર્તન રાખવા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે કામગીરી ઝડપથી પૂર્ણ થાય અને અરજદારોનો ધસારો ઓછો થાય તે માટે આગામી દિવસોમાં બે શિફ્ટમાં કામગીરી શરૂ કરવાની પણ વિચારણા ચાલી રહી છે. સમગ્ર પ્રક્રિયાની સતત દેખરેખ રાખવામાં આવશે જેથી કોઈ પણ અરજદારને તકલીફ ન પડે.ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી જન્મ-મરણ વિભાગમાં સર્વર સમસ્યાના કારણે લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા. ખાસ કરીને શાળાઓ અને કોલેજોમાં પ્રવેશ માટે જરૂરી દાખલા મેળવવા માટે લોકોને લાંબી લાઈનોમાં ઊભું રહેવું પડતું હતું. બેસવાની અને પાણીની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે લોકોમાં અસંતોષ જોવા મળતો હતો.આ સ્થિતિને ધ્યાનમાં રાખીને મેયર અને પદાધિકારીઓ દ્વારા કરવામાં આવેલી સરપ્રાઈઝ મુલાકાત બાદ તાત્કાલિક સુધારા કરવામાં આવ્યા છે. નવી વ્યવસ્થાઓ શરૂ થતા અરજદારોમાં થોડી રાહત જોવા મળી હતી અને લોકોમાં સંતોષની લાગણી પણ ઉભી થઈ હતી. છતાં લાંબા ગાળે સર્વર અને સિસ્ટમ સુધારણા જરૂરી હોવાનું પણ સ્પષ્ટ થયું છે. Next Post