રાજકોટ આરોગ્ય કેન્દ્રમાં મહિલા કર્મચારી અને અધિકારી વચ્ચે વિવાદ, ‘ગેટ આઉટ’ કહેવાનો આક્ષેપ; સસ્પેન્શનની કાર્યવાહી શરૂ Mar 11, 2026 રાજકોટ શહેરના વિજયપ્લોટ વિસ્તારમાં આવેલા આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા એક હંગામી મહિલા કર્મચારી અને આરોગ્ય અધિકારી વચ્ચે થયેલા વિવાદે શહેરમાં ચર્ચા જગાવી છે. મહિલા કર્મચારી મીરાબેન ડાંગરે આરોગ્ય અધિકારી પર ગંભીર આક્ષેપો લગાવતા જણાવ્યું છે કે તેમની રજૂઆત સાંભળ્યા વગર જ તેમને ઓફિસમાંથી “ગેટ આઉટ” કહીને બહાર કાઢી મૂકવામાં આવ્યા હતા. બીજી તરફ આરોગ્ય અધિકારી ડો. જયેશ વાંકાણીએ આ આક્ષેપોને નકારી કાઢતા જણાવ્યું છે કે મહિલા કર્મચારીએ ઉદ્ધત વર્તન કર્યું હતું, જેના કારણે નિયમ મુજબ તેમની સામે સસ્પેન્શનની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.મીરાબેન ડાંગર હાલમાં વિજયપ્લોટ આરોગ્ય કેન્દ્રમાં એપ્રેન્ટિસ તરીકે કોન્ટ્રાક્ટ આધારે કામ કરે છે. તેમણે જણાવ્યું હતું કે તેઓ છેલ્લા લગભગ દસ મહિનાથી અહીં પ્રામાણિકતાથી ફરજ બજાવી રહ્યા છે. તેમની ફરજ દરમિયાન કચરો સાફ કરવો, બાથરૂમની સફાઈ તેમજ અન્ય વિવિધ કામગીરી કરવાની જવાબદારી પણ તેઓ નિભાવી રહ્યા છે. તેમ છતાં તેમની કામગીરી અંગે ખોટી ફરિયાદ કરવામાં આવી હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો.મીરાબેનના જણાવ્યા અનુસાર, થોડા દિવસો પહેલાં નોડલ ANM કિરણબેન સાથે સામાન્ય બોલાચાલી થઈ હતી. આ ઘટના બાદ તેમની સામે ખોટી રજૂઆત કરવામાં આવી હતી. મીરાબેનનું કહેવું છે કે તેઓને કામ ન કરતા હોવાના આરોપો લગાવવામાં આવ્યા હતા અને તેમના કરારના બાકી રહેલા બે મહિના પણ પૂર્ણ થવા નહીં દેવાની ધમકી આપવામાં આવી હતી. આ પરિસ્થિતિને કારણે તેઓ માનસિક તણાવનો સામનો કરી રહ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું.આ સમગ્ર મામલે નોડલ ANM કિરણબેન દ્વારા લેખિત ફરિયાદ કરવામાં આવ્યા બાદ મીરાબેનને આરોગ્ય અધિકારી ડો. જયેશ વાંકાણીની ચેમ્બરમાં બોલાવવામાં આવ્યા હતા. મીરાબેનના જણાવ્યા મુજબ, તેઓ પોતાની વાત રજૂ કરવા ગયા હતા, પરંતુ તેમની વાત સાંભળવામાં આવી નહીં અને સીધું “ગેટ આઉટ” કહીને તેમને ઓફિસમાંથી બહાર જવા માટે કહેવામાં આવ્યું હતું. તેમણે એવો પણ આક્ષેપ કર્યો કે આરોગ્ય કેન્દ્રમાં અન્ય મહિલા કર્મચારીઓ સાથે પણ અયોગ્ય વર્તન કરવામાં આવે છે અને તેમને પોતાની સમસ્યાઓ જાહેરમાં મૂકવા રોકવામાં આવે છે. મીરાબેને જણાવ્યું કે તેઓને દર મહિને આશરે રૂ. 7,700 જેટલો પગાર મળે છે, પરંતુ કામની પરિસ્થિતિઓ અને અધિકારીઓના વર્તનને કારણે માનસિક ત્રાસ સહન કરવો પડે છે. તેમણે આ મામલે ન્યાયની માંગણી કરી છે અને યોગ્ય તપાસ કરવાની અપીલ કરી છે.બીજી તરફ આ મામલે આરોગ્ય અધિકારી ડો. જયેશ વાંકાણીએ સંપૂર્ણપણે અલગ દૃષ્ટિકોણ રજૂ કર્યો છે. તેમણે જણાવ્યું કે 9 માર્ચ, 2026ના રોજ બપોરે વિજયપ્લોટ આરોગ્ય કેન્દ્રના ફીમેલ હેલ્થ સુપરવાઈઝર કિરણબેન ચૌહાણ દ્વારા મીરાબેન વિરુદ્ધ લેખિત ફરિયાદ આપવામાં આવી હતી. આ ફરિયાદમાં જણાવાયું હતું કે મીરાબેને કામગીરી સોંપવામાં આવતા ઉશ્કેરાઈ જઈને ધમકીભર્યું વર્તન કર્યું હતું.ફરિયાદ મુજબ, સુપરવાઈઝર કિરણબેને મીરાબેનને ડ્રેસિંગની કામગીરી સોંપી હતી, પરંતુ તે સમયે મીરાબેને ઉશ્કેરાઈને “જોઈ લઈશ” જેવી ધમકી આપી હોવાનું જણાવાયું છે. ઉપરાંત ફરિયાદમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે મીરાબેને કિરણબેનને તેમના પ્રોબેશન પીરિયડને પાંચ વર્ષથી વધારીને છ વર્ષ કરવાનો દબાણ કરાવવાની ધમકી આપી હતી.ડો. વાંકાણીના જણાવ્યા અનુસાર, આ ઘટનાની જાણ થતાં તેમણે અન્ય સ્ટાફ સભ્યો સાથે ચર્ચા કરીને સમગ્ર ઘટનાક્રમ અંગે માહિતી મેળવી હતી. ત્યારબાદ મીરાબેનને પોતાની ચેમ્બરમાં બોલાવવામાં આવ્યા હતા. તે સમયે તેઓ અન્ય અધિકારીઓ સાથે શાસકીય ફાઈલો અંગે ચર્ચા કરી રહ્યા હતા. આ દરમિયાન મીરાબેન ત્યાં આવીને ઉગ્ર વર્તન કરવા લાગ્યા હતા.તેમણે વધુમાં જણાવ્યું કે તેમણે મીરાબેનને શાંતિથી બહાર જવા માટે સમજાવ્યા હતા, પરંતુ તેઓએ બોલાચાલી ચાલુ રાખી હતી. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને શિસ્તભંગના આધારે તેમની સામે નિયમ મુજબ કાર્યવાહી કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.ડો. વાંકાણીએ એવો પણ આક્ષેપ કર્યો છે કે મીરાબેન દ્વારા આ મુદ્દે રાજકીય ભલામણો કરાવવામાં આવી હતી અને સોશિયલ મીડિયા પર વીડિયો અને રીલ્સ વાયરલ કરીને દબાણ લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેમના જણાવ્યા મુજબ, આ પ્રકારની પ્રેશર ટેકનિક સ્વીકાર્ય નથી અને કાયદેસર પ્રક્રિયા મુજબ કાર્યવાહી કરવામાં આવશે.હાલ આ સમગ્ર મામલો રાજકોટમાં ચર્ચાનો વિષય બન્યો છે. એક તરફ મહિલા કર્મચારી પોતાના પર થયેલા અન્યાયની વાત કરી રહ્યા છે, તો બીજી તરફ આરોગ્ય વિભાગના અધિકારીઓ શિસ્તભંગના આક્ષેપો સાથે કાર્યવાહી કરી રહ્યા છે. બંને પક્ષો પોતાની વાત પર અડગ રહેતા હવે આ મામલે આગળ શું નિર્ણય લેવાય છે તે જોવું મહત્વપૂર્ણ રહેશે.