ખંઢેરી સ્ટેડિયમમાં નકલી આતંકી હુમલાથી સુરક્ષા તંત્રની ચકાસણી, ચેતક કમાન્ડો-પોલીસની સંકલિત મોકડ્રીલ સફળ કાર્યક્ષમતા સાબિત કરી આજે Jan 07, 2026 રાજકોટના જામનગર રોડ પર આવેલા નિરંજન શાહ ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમમાં મંગળવારની સવારે અચાનક અફરાતફરીનું વાતાવરણ સર્જાયું હતું. એક કાળી રંગની સ્પોર્ટ્સ કાર પૂરઝડપે સ્ટેડિયમ પરિસરમાં ઘૂસી આવતાં અને તેમાં સવાર હથિયારધારી શખ્સોએ ત્રણ મજૂરોને બંદૂકની અણીએ બંધક બનાવતાં સમગ્ર વિસ્તાર થોડા સમય માટે તંગ બની ગયો હતો. આ ઘટનાને પગલે લોકોમાં ભય ફેલાયો હતો અને તાત્કાલિક પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું.કારમાં સવાર ચાર હથિયારધારીઓએ સ્ટેડિયમમાં કામ કરી રહેલા મજૂરોને બંધક બનાવી ૧૦૦ કરોડ રૂપિયાની રોકડ રકમની માંગણી કરી હતી. આ ઉપરાંત કચ્છ બોર્ડર મારફતે પાકિસ્તાન જવા માટે હેલિકોપ્ટરની પણ માગ ઉઠાવતાં ઘટનાની ગંભીરતા વધી ગઈ હતી. આતંકી હુમલાની આશંકાને કારણે સ્ટેડિયમ અને આસપાસના વિસ્તારોને સુરક્ષા દળો દ્વારા સીલ કરવામાં આવ્યા હતા.પરિસ્થિતિને ધ્યાને લઈ રાજકોટ ગ્રામ્ય પોલીસ અને રાજ્યની વિશેષ ‘ચેતક કમાન્ડો’ની ટીમને તાત્કાલિક બોલાવવામાં આવી હતી. સ્ટેડિયમને ચારેય બાજુથી ઘેરી લઈને સુરક્ષા દળોએ વ્યૂહાત્મક રીતે ઓપરેશન શરૂ કર્યું હતું. હવામાં ગોળીબારના અવાજો, એમ્બ્યુલન્સની સાયરન અને ફાયર બ્રિગેડની ગાડીઓના અવાજો વચ્ચે સમગ્ર ઘટનાક્રમ હકીકત જેવો લાગતો હતો. આ ઓપરેશન દરમિયાન વહીવટી તંત્ર પણ સંપૂર્ણ રીતે સક્રિય થયું હતું. રૂરલ પ્રાંત અધિકારી, મામલતદાર, પીજીવીસીએલ, ફાયર બ્રિગેડ તેમજ આરોગ્ય વિભાગની ઈમરજન્સી ટીમોને ઘટનાસ્થળે ખડેપગે રાખવામાં આવી હતી. સુરક્ષા દળોએ સંકલિત રીતે કાર્યવાહી કરી આતંકીઓને ઠાર માર્યા હોવાની અને બંધકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યાની જાણકારી આપવામાં આવી હતી.કેટલાક સમય સુધી ચાલેલા આ તણાવભર્યા દ્રશ્યો બાદ સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી કે આ ઘટના કોઈ વાસ્તવિક આતંકી હુમલો નહોતી, પરંતુ સુરક્ષા સજ્જતા ચકાસવા માટે આયોજિત એક વ્યાપક ‘મોકડ્રીલ’ હતી. રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક શ્રી વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ મોકડ્રીલનો મુખ્ય હેતુ કટોકટીની પરિસ્થિતિમાં વિવિધ વિભાગો વચ્ચેનું સંકલન, પ્રતિસાદની ઝડપ અને ઓપરેશનલ ક્ષમતાનું મૂલ્યાંકન કરવાનો હતો.આ સમગ્ર ઓપરેશનમાં ચેતક કમાન્ડોના ડીવાયએસપી શ્રી ડી.વી. ગોહિલ, રાજકોટ ગ્રામ્ય ડીવાયએસપી શ્રી વિક્રમ વ્યાસ અને શ્રી કે.જી. ઝાલા સહિતના ઉચ્ચ અધિકારીઓએ અસરકારક નેતૃત્વ પૂરું પાડ્યું હતું. સાથે જ પડધરી પી.આઈ. શ્રી એસ.એન. પરમાર, પી.એસ.આઈ. શ્રી પી.એમ. ચાવડા, શ્રી એચ.સી. ગોહિલ, QRT શ્રી એ.બી. ચૌધરી, શ્રી જે.જે. વાળા અને SOG શ્રી પી.વી. મિશ્રા દ્વારા પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવામાં આવી હતી.વહીવટી તંત્ર તરફથી ગ્રામ્ય પ્રાંત અધિકારી શ્રી વિમલ ચક્રવર્તી અને પડધરી મામલતદાર શ્રી કેતન સખીયાએ સ્થળ પર હાજરી આપી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ, ફાયર ફાઈટર અને આરોગ્ય વિભાગની ટીમોએ પણ પરસ્પર સંકલનનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.આ મોકડ્રીલ દ્વારા સુરક્ષા એજન્સીઓએ સાબિત કર્યું કે કોઈ પણ અચાનક સંકટની પરિસ્થિતિમાં તેઓ ઝડપથી અને અસરકારક રીતે કાર્યવાહી કરવા સક્ષમ છે. સફળ રીતે પૂર્ણ થયેલી આ મોકડ્રીલ બાદ તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો અને ભવિષ્યમાં આવી ઘટનાઓને પહોંચી વળવા માટે વધુ સજ્જ બનવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. Previous Post Next Post