કોઈ "ચૌદશ"નું વિઘ્ન વચ્ચે નહી આવે તો નવરાત્રિમાં આખી રાત ગરબા: હર્ષ સંઘવી Sep 12, 2026 ગાંધીનગર,ગાંધીનગરના કાર્યક્રમમાં ડે.સી.એમના સંકેતથી ખેલૈયાઓમાં ભારે ઉત્સાહગાંધીનગર ખાતે આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ નવરાત્રિ પર્વ દરમિયાન આખી રાત ગરબા યોજવા અંગેના સ્પષ્ટ સંકેતો આપ્યા છે. તેમના આ નિવેદનથી સમગ્ર રાજ્યના યુવાનો અને ગરબા રસિકોમાં ભારે ખુશીની લહેર દોડી ગઈ છે.ગાંધીનગર સ્થિત કલ્ચરલ ફોરમના ગ્રાઉન્ડમાં યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતી વખતે હર્ષ સંઘવીએ એક રસપ્રદ સવાલ પૂછ્યો હતો કે, "તમે નવરાત્રીમાં કેટલા વાગ્યા સુધી ગરબા રમો છો?" આ સવાલના જવાબમાં હાજર તમામ લોકોએ એકસૂરે અને જોશભેર "આખી રાત!" નો પોકાર કર્યો હતો. જનતાના આ ભારે ઉત્સાહ અને પ્રતિસાદને માન આપીને નાયબ મુખ્યમંત્રીએ આખી રાત ગરબા રમવાની પરવાનગી કે છૂટછાટ યથાવત રહેવાના સંકેત આપ્યા હતા.પોતાની આગવી અને લોકપ્રિય શૈલી માટે જાણીતા હર્ષ સંઘવીએ આ પ્રસંગે એક હળવી રાજકીય તેમજ સામાજિક ટકોર પણ કરી હતી. તેમણે મંચ પરથી ઉમેર્યું હતું કે, જો વચ્ચે કોઈ 'ચૌદશ' કે બિનજરૂરી વિઘ્ન ન આવે, તો ખેલૈયાઓ ઉત્સવ દરમિયાન નિશ્ચિંત થઈને આખી રાત મન મૂકીને ગરબા માણી શકશે. તેમના આ કટાક્ષભર્યા અને મજાકિયા અંદાજને ઉપસ્થિત લોકોએ તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધો હતો. ગરબા આયોજકો અને ખેલૈયાઓ હવે સરકારની સત્તાવાર જાહેરાતની રાહ જોઈ રહ્યા છે, જોકે આ સંકેતોથી આગામી નવરાત્રિનો માહોલ અત્યારથી જ જામી ગયો છે. Next Post