કોડીનાર–સુત્રાપાડા પંથકમાં કુદરતનો કહેર: ફેબ્રુઆરીમાં અષાઢી માહોલ, કમોસમી વરસાદથી ઊભો પાક જમીનદોસ્ત

કોડીનાર–સુત્રાપાડા પંથકમાં કુદરતનો કહેર: ફેબ્રુઆરીમાં અષાઢી માહોલ, કમોસમી વરસાદથી ઊભો પાક જમીનદોસ્ત

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર અને સુત્રાપાડા પંથકમાં ગઈકાલે સાંજના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે. ફેબ્રુઆરી મહિને જાણે અષાઢી માહોલ સર્જાયો હોય તેમ અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર કમોસમી વરસાદ ખાબક્યો હતો. પવન સાથે વરસેલા વરસાદના કારણે રવિ પાકને ભારે નુકસાન પહોંચ્યું હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે.

સાંજના સમયે અચાનક આકાશ કાળા ડિબાંગ વાદળોથી છવાઈ ગયું હતું. પવનની ગતિ વધી ગઈ હતી અને ત્યારબાદ વરસાદી ઝાપટાં શરૂ થતાં જ ખેડૂતોમાં ચિંતાનો માહોલ ફેલાઈ ગયો હતો. કોડીનાર તાલુકાના સિંધાજ, ફાચરિયા, અરણેજ, આણંદપુર, ઘાંટવડ, ગીરદેવળી, નવાગામ અને પેઢાવાડા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો હતો. જ્યારે સુત્રાપાડા તાલુકાના મોરડીયા, પ્રાસલી અને આસપાસના સીમ વિસ્તારોમાં ક્યાંક હળવા ઝાપટાં તો ક્યાંક ભારે વરસાદ પડ્યો હતો.

કેટલાક વિસ્તારોમાં તો વરસાદ એટલો વધુ હતો કે ખેતરોમાં અને ગ્રામ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. ખાસ કરીને ખુલ્લા મેદાનોમાં ઊભેલા ઘઉંના પાક પર આ કમોસમી વરસાદ આફત બનીને તૂટી પડ્યો છે. પવન સાથે પડેલા વરસાદને કારણે અનેક ખેતરોમાં ઘઉંનો પાક ઢળી પડી જમીનદોસ્ત થયો છે.

હાલ રવિ પાક લણણીના અંતિમ તબક્કામાં છે. એવા સમયે વરસાદી પાણી અને ભેજના કારણે પાકમાં દાણા કાળા પડવાની, સડવાની અને ઉત્પાદન ઘટવાની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતોનું કહેવું છે કે હવે પાક બચાવવો મુશ્કેલ બની ગયો છે અને ઉત્પાદન પર સીધી અસર પડશે.

ગીર સોમનાથ જિલ્લો કેસર કેરીના ગઢ તરીકે ઓળખાય છે. હાલ કેરીના બગીચાઓમાં આંબા પર મોર આવ્યા છે. કમોસમી વરસાદ અને વાદળછાયા વાતાવરણને કારણે આ મોર ખરી પડવાની અને જીવાતનો ઉપદ્રવ વધવાની શક્યતા વધી ગઈ છે. જો આગામી દિવસોમાં વાતાવરણ યથાવત રહેશે તો કેરીના ઉત્પાદન પર પણ ગંભીર અસર પડી શકે છે, જેનાથી ખેડૂતો ઉપરાંત કેરીના વેપારીઓ અને રસિયાઓ પણ ચિંતામાં મુકાયા છે.

આ ઉપરાંત ચણા અને જીરાના પાકને પણ આ માવઠાથી નુકસાન પહોંચવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. ખેતરોમાં ખુલ્લા રાખવામાં આવેલો ઘાસચારો અને તૈયાર થયેલા શાકભાજીના પાકને પણ વરસાદે નુકસાન પહોંચાડ્યું છે. ઘણા ખેડૂતોનું કહેવું છે કે પાણી ભરાવાના કારણે શાકભાજી સડી જવાની શક્યતા છે.

સ્થાનિક ખેડૂતો ભારે આક્રોશ અને નિરાશા વ્યક્ત કરી રહ્યા છે. એક ખેડૂતે જણાવ્યું હતું કે, “મોંઘા ભાવના બિયારણ, ખાતર અને દવાઓ નાખીને રાત-દિવસ મહેનત કરી પાક તૈયાર કર્યો હતો. હવે જ્યારે લણણીનો સમય નજીક આવ્યો છે, ત્યારે જ કુદરતે રૂઠીને અમારો આર્થિક કોળિયો છીનવી લીધો છે.”

ખેડૂતોના જણાવ્યા મુજબ, અગાઉના વર્ષોમાં પણ કમોસમી વરસાદથી નુકસાન થયું હતું, પરંતુ આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં આવી સ્થિતિ સર્જાશે તે કોઈએ કલ્પના પણ કરી નહોતી. અચાનક આવેલા આ માવઠાએ ખેતી પર આધારિત સમગ્ર ગ્રામ્ય અર્થતંત્રને હચમચાવી દીધું છે.

ખેડૂતો હવે સરકાર તરફ આશાભરી નજરે જોઈ રહ્યા છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક સર્વે કરીને પાક નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવે અને યોગ્ય વળતર જાહેર કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. જો આગામી દિવસોમાં ફરી વરસાદ પડ્યો તો નુકસાન વધુ વધવાની શક્યતા છે.

કુદરતની આ અણધારી માર સામે હવે ખેડૂતો માટે એક જ પ્રશ્ન ઉભો થયો છે કે—આટલી મહેનત બાદ પણ શું તેમને યોગ્ય સહારો મળશે કે નહીં? હવે કુદરત આગળ કેવી પરીક્ષા લેશે અને સરકાર તરફથી કેવી રાહત મળે છે, તે જોવાનું રહ્યું.

You may also like

LPG સંકટ વચ્ચે મોટી રાહત: 46,000 મેટ્રિક ટન ગેસ લઈને ‘શિવાલિક’ જહાજ મુન્દ્રા પોર્ટ પહોંચ્યું

LPG સંકટ વચ્ચે મોટી રાહત: 46,000 મેટ્રિક ટન ગેસ લઈને ‘શિવાલિક’ જહાજ મુન્દ્રા પોર્ટ પહોંચ્યું

ગેસ સંકટ વચ્ચે કેન્દ્ર સરકારની મોટી યોજના: LPGમાંથી PNGમાં શિફ્ટ થશો તો મળશે ફ્રી ગેસ

ગેસ સંકટ વચ્ચે કેન્દ્ર સરકારની મોટી યોજના: LPGમાંથી PNGમાં શિફ્ટ થશો તો મળશે ફ્રી ગેસ

ઈરાન યુદ્ધ વચ્ચે 'સંકટમોચન' બન્યો આ દેશ! 550 ભારતીયોની ઘરવાપસી, જયશંકરે માન્યો આભાર

ઈરાન યુદ્ધ વચ્ચે 'સંકટમોચન' બન્યો આ દેશ! 550 ભારતીયોની ઘરવાપસી, જયશંકરે માન્યો આભાર

મીન રાશિમાં ત્રિગ્રહી યોગનો પ્રભાવ: ત્રણ રાશિના જાતકો માટે સફળતા અને ધનલાભના નવા અવસર

મીન રાશિમાં ત્રિગ્રહી યોગનો પ્રભાવ: ત્રણ રાશિના જાતકો માટે સફળતા અને ધનલાભના નવા અવસર