ઐતિહાસિક ઘટનાના 1000 વર્ષ નિમિત્તે PM મોદીનું સંભવિત સોમનાથ આગમન, 1000 અશ્વ અને વિશાળ જાહેર સભાની તૈયારી Jan 05, 2026 પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આગામી 11 જાન્યુઆરીથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવવાની શક્યતા છે. આ પ્રવાસ દરમિયાન તેઓ રાજકોટ ખાતે યોજાનારી વાયબ્રન્ટ ગુજરાત સમિટ, રોડ શો સહિતના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. સાથે સાથે પ્રધાનમંત્રી સોમનાથ મહાદેવના દર્શનાર્થે પણ આવી શકે છે તેવી મજબૂત સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે.પ્રધાનમંત્રીના સંભવિત સોમનાથ આગમનને લઈ જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ હરકતમાં આવી ગયું છે. જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ સુરક્ષા વ્યવસ્થા, ટ્રાફિક મેનેજમેન્ટ તેમજ કાર્યક્રમ આયોજન અંગે બેઠકોનો દોર શરૂ કરવામાં આવ્યો છે.આધારભૂત સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, ઈ.સ. 1026માં મહંમદ ગઝનવીએ સોમનાથ પર ચડાઈ કરી હતી. વર્ષ 2026માં આ ઐતિહાસિક ઘટનાને 1000 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. આ ઐતિહાસિક પ્રસંગને ધ્યાનમાં રાખીને સોમનાથ ખાતે વિશેષ અને મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.આ કાર્યક્રમ અંતર્ગત સોમનાથ ખાતે 1000 અશ્વ એકત્ર કરવાની તૈયારી શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. રાજ્યભરના પોલીસ માઉન્ટેડ દળના અશ્વોને સોમનાથ લાવવાની સંભાવના છે. ઉપરાંત વિશાળ જાહેર સભાનું આયોજન કરવામાં આવી શકે છે. જાહેર સભા માટે સદભાવના ગ્રાઉન્ડ ખાતે તંત્ર દ્વારા પ્રાથમિક નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.પ્રધાનમંત્રીના સંભવિત કાર્યક્રમને ધ્યાનમાં રાખીને સોમનાથ મંદિર પરિસર, મુખ્ય માર્ગો, હેલિપેડ, જાહેર સ્થળો તેમજ સભાસ્થળે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાની તૈયારીઓ ચાલી રહી છે. પોલીસ, વહીવટી અધિકારીઓ અને અન્ય સંબંધિત વિભાગો દ્વારા સ્થળ નિરીક્ષણ કરીને સમગ્ર કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રીની સંભવિત મુલાકાત દરમિયાન સોમનાથ કોરિડોર પ્રોજેક્ટ અંગે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય જાહેર થઈ શકે છે અથવા વિકાસ સંબંધિત નવા દિશાનિર્દેશ આપવામાં આવી શકે છે. આ તમામ સંભાવનાઓને ધ્યાનમાં રાખીને તંત્રએ સમય પહેલાં તૈયારીઓ શરૂ કરી દીધી છે. Previous Post Next Post