રાજકોટ મેયર નયનાબેન પેઢડીયાનો કાર્યકાળ પૂર્ણ, “જે કરે તે ભરે” કહી વિવાદોને લઈ કર્યો સંકેત Mar 11, 2026 રાજકોટ મહાનગરપાલિકાના મેયર તરીકે નયનાબેન પેઢડીયાનો બીજી ટર્મનો અઢી વર્ષનો કાર્યકાળ આજે પૂર્ણ થયો છે. પોતાના કાર્યકાળના અંતિમ દિવસે તેમણે શહેરના વિકાસ, વિવાદો અને પોતાના અનુભવો અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. મેયરે જણાવ્યું કે આ સમયગાળા દરમિયાન રાજકોટના વિકાસ માટે અનેક કામો કરવામાં આવ્યા છે અને શહેરને સ્વચ્છ, રહેવા લાયક અને વધુ સુવિધાસભર બનાવવા માટે સતત પ્રયત્ન કરવામાં આવ્યા છે.દિવ્ય ભાસ્કર સાથેની ખાસ વાતચીત દરમિયાન મેયરે કહ્યું કે જાહેર જીવનમાં કામ કરતાં કેટલાક વિવાદો ઉભા થતા હોય છે, પરંતુ તેઓ તેને વધારે મહત્વ આપતી નથી. જોકે “જે કરે તે ભરે” કહી તેમણે એવો સંકેત આપ્યો કે તેમને જાણીજોઈને કેટલીક બાબતોમાં વિવાદમાં ખેંચવામાં આવ્યા હતા. તેમ છતાં તેમણે કોઈ વ્યક્તિનું નામ લેવાનું ટાળ્યું. મેયર નયનાબેન પેઢડીયાએ જણાવ્યું કે ભાજપમાં કોઈ આંતરિક વિવાદ નથી. પરિવાર મોટો બનતો જાય ત્યારે થોડા મનદુઃખ થતા હોય છે, પરંતુ તે સામાન્ય બાબત છે. તેમના જણાવ્યા મુજબ આવા મુદ્દાઓને લઈને પાર્ટી કે સંગઠનમાં કોઈ ગંભીર મતભેદ નથી અને કાર્યકર્તાઓ સાથે મળીને શહેરના વિકાસ માટે કામ કરવામાં આવ્યું છે.તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન થયેલા કેટલાક વિવાદો અંગે પણ સ્પષ્ટતા કરી હતી. ખાસ કરીને ગેરકાયદે બાંધકામ અને તેમના પ્રવાસ અંગે થયેલી ચર્ચાઓ પર તેમણે જણાવ્યું કે જ્યારે તેઓ પ્રયાગરાજ ગયા હતા ત્યારે તેમની પાસે મહાનગરપાલિકાના કમિશ્નરની મંજૂરી હતી. તમામ જરૂરી પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ જ તેઓ ગયા હતા. તેમણે કહ્યું કે આ મુદ્દે અગાઉ પણ સ્પષ્ટતા કરવામાં આવી હતી અને હવે જૂની વાતોને ફરી ઉછાળવાની જરૂર નથી.ગેરકાયદે બાંધકામના આરોપોને લઈને મેયરે કહ્યું કે રાજકોટ શહેરમાં ઘણી સોસાયટીઓ સૂચિત વિસ્તારમાં આવે છે. પરંતુ તેમના મામલે કોઈ ગેરરીતિ થઈ નથી. તેમણે દાવો કર્યો કે તેમણે એક પણ ઇંચ જમીન દબાવી નથી અને તેઓએ પોતાના હકમાં મળેલી જગ્યા પર જ કામ કર્યું છે. તેમણે ઉમેર્યું કે તેઓએ હંમેશા નિષ્ઠા અને પ્રમાણિકતા સાથે કામ કરવાની કોશિશ કરી છે.મેયરે પોતાના અઢી વર્ષના કાર્યકાળને યાદગાર ગણાવતા જણાવ્યું કે આ સમયગાળા દરમિયાન શહેરના વિકાસ માટે અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ હાથ ધરાયા છે. રોડ-રસ્તાના વિકાસ સાથે નવા પુલો, આરોગ્ય કેન્દ્રો, બગીચાઓ અને વોર્ડ ઓફિસોના નિર્માણ જેવી સુવિધાઓ રાજકોટને આપવામાં આવી છે. તેમના જણાવ્યા મુજબ રાજકોટ આજે ગુજરાતના ઝડપથી વિકસતા શહેરોમાં સ્થાન મેળવી રહ્યું છે.તેમણે જણાવ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં રાજકોટનું ક્ષેત્રફળ પણ નોંધપાત્ર રીતે વધ્યું છે. મોટા મૌવા, મુંજકા, ઘંટેશ્વર અને માધાપર સહિતના ગામો શહેરમાં ભળતા રાજકોટનું ક્ષેત્રફળ વધીને લગભગ 161.86 ચોરસ કિલોમીટર થયું છે. આ વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓ પહોંચાડવા માટે પણ મનપા દ્વારા અનેક કામો કરવામાં આવ્યા છે.મેયરના જણાવ્યા અનુસાર રાજકોટમાં હરવા ફરવા માટે પણ અનેક સ્થળો વિકસાવવામાં આવ્યા છે. પ્રદ્યુમન પાર્ક ઝૂ, રામવન અર્બન ફોરેસ્ટ, અટલ સરોવર, ઈશ્વરીયા પાર્ક, ગાંધી મ્યુઝિયમ અને ન્યારી ડેમ જેવા સ્થળો શહેરની ઓળખ બની રહ્યા છે. પ્રદ્યુમન પાર્ક ઝૂ લગભગ 137 એકરમાં ફેલાયેલું છે અને લાયન સફારી પાર્કની કામગીરી પણ પૂર્ણતાની નજીક છે.તેમણે વધુમાં જણાવ્યું કે શહેરની વધતી વસતિને ધ્યાનમાં રાખીને આરોગ્ય કેન્દ્રો, શાળાઓ, લાયબ્રેરી, કોમ્યુનિટી હોલ અને જાહેર સુવિધાઓમાં વધારો કરવામાં આવ્યો છે. સાથે સાથે જાહેર પરિવહન સુવિધા સુધારવા માટે ઇલેક્ટ્રિક અને સીએનજી બસોની સંખ્યા પણ વધારવામાં આવી છે. નાગરિકોની ફરિયાદો સાંભળવા માટે ખાસ હેલ્પલાઈન નંબર પણ શરૂ કરવામાં આવ્યો છે.નયનાબેન પેઢડીયાએ જણાવ્યું કે તેમના કાર્યકાળ દરમિયાન શહેરના ચારેય દિશામાં સમાન રીતે વિકાસ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અનેક વિસ્તારોમાં નવા રોડ, એલઇડી લાઇટ, આરોગ્ય કેન્દ્રો અને અન્ય સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. તેમણે આ કામોમાં રાજ્ય સરકાર અને સ્થાનિક નાગરિકોના સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો.કાર્યકાળ પૂર્ણ થતાં તેમણે રાજકોટની જનતાનો ખાસ આભાર માન્યો. તેમણે કહ્યું કે જનતાના સહકાર વિના વિકાસના કામ શક્ય નથી. શહેરના લોકોનો સહયોગ અને વિશ્વાસ તેમને સતત મળતો રહ્યો છે, જેના કારણે અનેક યોજનાઓ સફળતાપૂર્વક પૂર્ણ થઈ શકી છે. મેયરે અંતમાં જણાવ્યું કે આ અઢી વર્ષનો સમય તેમના માટે અત્યંત યાદગાર રહેશે. વિકાસના કામો કરતી વખતે કેટલીક અડચણો પણ આવી, પરંતુ તે છતાં શહેરના વિકાસ માટે સતત પ્રયત્ન કરવામાં આવ્યા. તેમણે જણાવ્યું કે આ સમયગાળો તેમના જીવનમાં અસ્મરણીય બની રહેશે. જોકે અંદરખાને થયેલા કેટલાક વિવાદોને કારણે તેઓ ક્યારેક દુઃખી પણ થયા હોવાનું તેમના નિવેદનમાંથી સ્પષ્ટ જોવા મળ્યું હતું. Previous Post Next Post