સોમનાથ સ્વાભિમાન પર્વ ઉજવણી: રવિવારે 3000 ડ્રોન શો, વડાપ્રધાનની શૌર્ય યાત્રા અને ભવ્ય શંખનાદ

સોમનાથ સ્વાભિમાન પર્વ ઉજવણી: રવિવારે 3000 ડ્રોન શો, વડાપ્રધાનની શૌર્ય યાત્રા અને ભવ્ય શંખનાદ

યાત્રાધામ સોમનાથ ખાતે આજથી ભવ્ય **‘સોમનાથ સ્વાભિમાન પર્વ’**નો પ્રારંભ થયો છે. આગામી તા. 10 અને 11 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથની મુલાકાત લેશે, જેને લઈ સમગ્ર વિસ્તાર તડામાર તૈયારીઓ સાથે શિવમય અને સ્વાભિમાનના રંગે રંગાયો છે. વેરાવળ-સોમનાથમાં રસ્તા, લાઈટિંગ, ડોમ, સુરક્ષા અને સુવિધાઓની કામગીરી ધમધમાટથી ચાલી રહી છે.

વડાપ્રધાન તા. 10 જાન્યુઆરીએ સાંજે 5:30 કલાકે સોમનાથ પધારશે અને રાત્રિ રોકાણ કરશે. તા. 11ના રોજ સોમનાથ મહાદેવની પૂજા-અર્ચના બાદ વીર હમીરજી ગોહીલ સર્કલથી 108 અશ્વો, ઢોલ-નગારા સાથે નીકળનારી ભવ્ય શૌર્ય યાત્રામાં જોડાશે. આ યાત્રા બાદ સદભાવના ગ્રાઉન્ડ ખાતે યોજાનારી વિશાળ જનસભાને વડાપ્રધાન સંબોધન કરશે. એક લાખ લોકો બેસી શકે તેવો વિશાળ ડોમ તૈયાર કરવામાં આવી રહ્યો છે.

ઝેડ પ્લસ સુરક્ષા વ્યવસ્થા હેઠળ સોમનાથ સર્કિટ હાઉસ, સાગર દર્શન સહિતના ગેસ્ટ હાઉસો રિઝર્વ રાખવામાં આવ્યા છે. સમગ્ર વિસ્તારમાં પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા કડક બંદોબસ્ત ગોઠવાયો છે.

ગુજરાત સરકારના પ્રવક્તા અને પ્રોટોકોલ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, ઈ.સ. 1026માં મહમૂદ ગઝનવીએ સોમનાથ મંદિર પર કરેલા આક્રમણને 1000 વર્ષ પૂર્ણ થવા તેમજ સરદાર વલ્લભભાઈ પટેલના સોમનાથ પુનઃનિર્માણ સંકલ્પના 75 વર્ષ પૂર્ણ થવાના ડબલ સંયોગના અવસરે આ પર્વનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ સમગ્ર વહીવટી તંત્ર આ પર્વને સફળ બનાવવા માટે કાર્યરત છે.
 

3000 ડ્રોન શો અને શંખનાદ મુખ્ય આકર્ષણ

સોમનાથ સ્વાભિમાન પર્વ દરમિયાન રવિવારે રાત્રે 3000 ડ્રોન દ્વારા અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન શો યોજાશે, જેમાં સોમનાથના શૌર્ય, સંઘર્ષ અને ઐતિહાસિક ગૌરવને આકાશમાં જીવંત રીતે રજૂ કરવામાં આવશે. આ સાથે 108 અશ્વો સાથેની શૌર્ય યાત્રા શંખ સર્કલથી હમીરજી ગોહીલ સર્કલ સુધી યોજાશે.

સોમનાથ મંદિર પરિસરમાં 2500 ઋષિકુમારો દ્વારા મંત્રોચ્ચાર સાથે 72 કલાકનો અખંડ ઓમકાર જાપ થશે. ઉપરાંત, 1000 કલાકારો દ્વારા મંદિર અંદર-બહાર શંખનાદ કરી સમગ્ર વાતાવરણને શિવમય બનાવાશે. શિવભક્તિ, ભજન અને લોકડાયરા માટે 20 જેટલા ભવ્ય સ્ટેજ પર સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.
 

શ્રદ્ધાળુઓ માટે વિશેષ વ્યવસ્થા

રાજ્યભરના નાગરિકો મોટી સંખ્યામાં જોડાઈ શકે તે માટે તા. 8, 9 અને 10 જાન્યુઆરી દરમિયાન રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરાથી દરરોજ ચાર સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવશે. શ્રદ્ધાળુઓ માટે રહેવા, જમવા અને દર્શન સહિતની તમામ સુવિધાઓ સ્થાનિક તંત્ર દ્વારા સુનિશ્ચિત કરવામાં આવી છે.

વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ **‘સોમનાથ કોરિડોર’**ને પણ મંજૂરી મળતા પ્રવાસન અને આર્થિક વિકાસને વેગ મળ્યો છે. અયોધ્યા, કાશી અને દ્વારકા સાથે સોમનાથ આજે વૈશ્વિક સ્તરે ભારતની આધ્યાત્મિક ઓળખ બની રહ્યું છે.

આ પર્વમાં દેશભરના હજારો સાધુ-સંતો તથા લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાવાની સંભાવના છે. મંત્રીશ્રીએ તમામ નાગરિકોને આ ઐતિહાસિક **‘સોમનાથ સ્વાભિમાન પર્વ’**માં સહભાગી થવા હાર્દિક આમંત્રણ પાઠવ્યું છે.

You may also like

રાજકોટ-લાલકુઆ સ્પેશિયલ ટ્રેનના ફેરામાં વધારો કરાયો

રાજકોટ-લાલકુઆ સ્પેશિયલ ટ્રેનના ફેરામાં વધારો કરાયો

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ખેલાડીઓ રાષ્ટ્રીય કક્ષાએ ૩ વિવિધ ગેમ્સમાં ઝળકવા સજ્જ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ખેલાડીઓ રાષ્ટ્રીય કક્ષાએ ૩ વિવિધ ગેમ્સમાં ઝળકવા સજ્જ

ઓઈલ કંપનીઓને પેટ્રોલમાં પાંચ અને ડિઝલ પર ૨૩ સુધીની ખોટ

ઓઈલ કંપનીઓને પેટ્રોલમાં પાંચ અને ડિઝલ પર ૨૩ સુધીની ખોટ

ભારતીય વાયુસેનાના વિમાનમાં 35 ટન સામાન કાઠમંડુ પહોંચ્યો

ભારતીય વાયુસેનાના વિમાનમાં 35 ટન સામાન કાઠમંડુ પહોંચ્યો