તરણેતરનો મેળો: લોકસંસ્કૃતિ, રંગ અને પરંપરાનો મહાકુંભ Sep 09, 2026 સુરેન્દ્રનગર,ગુજરાતની લોકસંસ્કૃતિ, પરંપરા અને રંગબેરંગી જીવનશૈલીને એક જ સ્થળે જીવંત કરતી અનેક પરંપરાઓમાં તરણેતરનો મેળો આગવું સ્થાન ધરાવે છે. સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ નજીક તરણેતર ખાતે આવેલા ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાતો આ વિશ્વવિખ્યાત મેળો માત્ર ધાર્મિક મેળો નથી, પરંતુ ગુજરાતની સમૃદ્ધ લોકસંસ્કૃતિ અને પરંપરાનો ભવ્ય ઉત્સવ છે. આ વર્ષે વિશ્વપ્રસિદ્ધ તરણેતરનો મેળો 14થી 16 સપ્ટેમ્બર, 2026 દરમિયાન યોજાશે.તરણેતરનો મેળો ઐતિહાસિક, પૌરાણિક અને ધાર્મિક મહત્ત્વ ધરાવે છે. મેળા દરમિયાન ગુજરાત ઉપરાંત દેશ-વિદેશમાંથી પણ મોટી સંખ્યામાં લોકો અહીં ઉમટી પડે છે. મેળાનું વાતાવરણ લોકગીતો, લોકનૃત્યો, પરંપરાગત વસ્ત્રો અને રંગબેરંગી છત્રીઓથી જાણે જીવંત બની જાય છે.રંગબેરંગી છત્રીઓ છે મેળાની ઓળખતરણેતર મેળાની સૌથી આગવી ઓળખ તેની અદ્ભુત કારીગરીવાળી ભરતકામ અને કાચથી સજાવેલી રંગબેરંગી છત્રીઓ છે. પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ યુવકો જ્યારે આ છત્રીઓ સાથે મેળામાં આવે છે ત્યારે સમગ્ર મેળાનું વાતાવરણ વધુ આકર્ષક બની જાય છે.પ્રાચીન સમયથી આ મેળો યુવક-યુવતીઓ માટે જીવનસાથી પસંદ કરવાની પરંપરા સાથે પણ જોડાયેલો હોવાનું માનવામાં આવે છે. યુવકો પોતાની વિશિષ્ટ ભરતકામવાળી છત્રીના માધ્યમથી યુવતીઓનું ધ્યાન આકર્ષિત કરતા. આ પરંપરાએ તરણેતર મેળાને અન્ય મેળાઓથી અલગ ઓળખ અપાવી છે.રાસના તાલે ઝૂમે તરણેતરમેળામાં સૌરાષ્ટ્રની લોકસંસ્કૃતિનો અનોખો રંગ જોવા મળે છે. બેડા રાસ, હૂડો રાસ અને છંદ ગોઠણ જેવા પરંપરાગત નૃત્યો મેળાનું મુખ્ય આકર્ષણ બને છે. શરણાઈ, ઢોલ અને મંજીરાના તાલ સાથે હજારો લોકો રાસના રંગમાં રંગાઈ જાય છે.મેળામાં આવતા લોકો પરંપરાગત ચણિયાચોળી, કેડિયા અને રંગબેરંગી પાઘડીઓ ધારણ કરે છે. જેના કારણે સમગ્ર મેળો જાણે ગુજરાતની જીવંત લોકકળાનું વિશાળ મંચ બની જાય છે.મહાભારત સાથે જોડાયેલી પૌરાણિક કથાતરણેતર સાથે મહાભારતકાળની પૌરાણિક કથા પણ જોડાયેલી છે. લોકમાન્યતા મુજબ અર્જુને મત્સ્યવેધ કરીને દ્રૌપદી સાથે લગ્ન કર્યા હતા તે સ્થળ તરણેતર હોવાનું માનવામાં આવે છે. આ ધાર્મિક અને પૌરાણિક માન્યતાને કારણે મેળા દરમિયાન ત્રિનેત્રેશ્વર મહાદેવના દર્શન અને પૂજન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે.એવી પણ માન્યતા છે કે ભાદરવા સુદ પાંચમ એટલે કે ઋષિ પંચમીના દિવસે અહીં આવેલા પવિત્ર કુંડમાં ગંગાજીનું આગમન થાય છે. તેથી શ્રદ્ધાળુઓ કુંડમાં પવિત્ર સ્નાન કરી ધાર્મિક વિધિઓ કરે છે.ગ્રામ્ય રમતો અને પશુ મેળો પણ આકર્ષણતરણેતર મેળો માત્ર નૃત્ય અને ધાર્મિક કાર્યક્રમો પૂરતો સીમિત નથી. મેળા દરમિયાન પરંપરાગત ગ્રામ્ય રમતોનું પણ આયોજન કરવામાં આવે છે. કુશ્તી, નાળ ફેંક સહિતની વિવિધ સ્પર્ધાઓ લોકોમાં ઉત્સાહ જગાવે છે. ઘોડા અને બળદગાડાની દોડ પણ મેળાના આકર્ષણમાં વધારો કરે છે.આ ઉપરાંત કાંકરેજ બળદ, ગીર ગાયો અને કાઠિયાવાડી ઘોડાઓનું પ્રદર્શન અને લે-વેચ પણ યોજાય છે. આ પ્રવૃત્તિઓ ગુજરાતના ગ્રામ્ય જીવન અને પશુપાલન પરંપરાની ઝલક આપે છે.આમ, તરણેતરનો મેળો ધર્મ, લોકકલા, સંગીત, નૃત્ય, પરંપરા અને ગ્રામ્ય જીવનનો અનોખો સંગમ છે. ત્રણ દિવસ સુધી ચાલતો આ મેળો ગુજરાતની સાંસ્કૃતિક ઓળખને દેશ-વિદેશમાં ઉજાગર કરવાનું મહત્વનું માધ્યમ બની રહ્યો છે. 2026માં યોજાનારો તરણેતર મેળો પણ લાખો મુલાકાતીઓ માટે લોકસંસ્કૃતિના આ રંગીન મહાકુંભનો અનુભવ કરાવશે. Next Post