જમ્મુ-કાશ્મીરના કુલગામમાં નામ પૂછી બે શ્રમિકોને આતંકીઓએ ગોળી મારી: એકનું મોત Aug 01, 2026 જમ્મુ,પરપ્રાંતીય શ્રમિકોને બનાવ્યા નિશાન, સુરક્ષા દળોનું સર્ચ ઓપરેશન જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લાના કુલગામના કેલમ વિસ્તારમાં થયેલા આતંકવાદી હુમલામાં બિન-સ્થાનિક મજૂરોને ખાસ નિશાન બનાવવામાં આવ્યા હતા. અંધાધૂંધ ગોળીબારની આ ઘટનામાં એક મજૂરનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક શ્રમિક ગંભીર રીતે ઘાયલ થયો છે. ઈજાગ્રસ્ત મજૂરને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જમ્મુ-કાશ્મીર પોલીસ અને સુરક્ષા દળોની સંયુક્ત ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. આતંકીઓની આ હરકત પાછળ અગાઉ થયેલા પહેલગામ હુમલા જેવું જ આયોજન હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સુરક્ષા એજન્સીઓ દ્વારા આસપાસના સમગ્ર વિસ્તારને ચુસ્ત ઘેરાબંધી હેઠળ લઈને નાસી છૂટેલા હુમલાખોરોને ઝડપી પાડવા માટે મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.આ આતંકવાદી હુમલાના અહેવાલ મળતા જ રાજ્યના સુરક્ષા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. ડીજીપી નલિન પ્રભાતે આ ગંભીર ઘટના અંગે ઉપરાજ્યપાલ મનોજ સિન્હાને વિગતવાર માહિતી આપી હતી. પરિસ્થિતિની ગંભીરતાને પારખીને ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ સુરક્ષા એજન્સીઓને સ્પષ્ટ અને કડક આદેશો જારી કર્યા છે.ઉપરાજ્યપાલે નિર્દેશ આપ્યો છે કે આ કાયરતાપૂર્ણ હુમલામાં સંડોવાયેલા તમામ આતંકવાદીઓને વહેલી તકે શોધી કાઢીને તેમના વિરુદ્ધ અત્યંત કડક કાર્યવાહી કરવામાં આવે. આ ઘટના બાદ સમગ્ર ઘાટીમાં સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવી દેવામાં આવી છે અને સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. આતંકવાદીઓની આ નાપાક હરકત સામે રાજકીય પક્ષો અને સ્થાનિક લોકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. Previous Post Next Post