25 લાખ ટન નિકાસ છૂટ બાદ ઘઉંના ભાવમાં ઉછાળો, પ્રતિ મણ રૂ.600ને પાર પહોંચ્યા દર

25 લાખ ટન નિકાસ છૂટ બાદ ઘઉંના ભાવમાં ઉછાળો, પ્રતિ મણ રૂ.600ને પાર પહોંચ્યા દર

ગુજરાત સહિત દેશભરમાં રવી સીઝન દરમિયાન ઘઉંનું ઉત્પાદન નોંધપાત્ર રીતે વધ્યું હોવા છતાં તાજેતરમાં 25 લાખ ટન ઘઉંની નિકાસને મળેલી છૂટના સમાચારોથી બજારમાં હલચલ સર્જાઈ છે. નિકાસની મંજૂરીના અહેવાલો બહાર આવતા જ ઘઉંના ભાવમાં આંશિક ઉછાળો નોંધાયો છે અને કેટલીક બજારોમાં પ્રતિ મણનો દર રૂ. 600ને પાર પહોંચી ગયો છે.

ઈ.સ. 2024-25 દરમિયાન ગુજરાતમાં 13.71 લાખ હેક્ટર વિસ્તારમાં ઘઉંનું વાવેતર થયું હતું અને અંદાજે 44.98 લાખ ટનનો રેકોર્ડ ઉત્પાદન મળ્યું હતું. તે પહેલાંના વર્ષ 2023-24માં 12.46 લાખ હેક્ટરમાં વાવેતરથી 39.03 લાખ ટન ઉત્પાદન થયું હતું. આ રીતે માત્ર એક જ વર્ષમાં અંદાજે 5.95 લાખ ટનનો વધારો નોંધાયો હતો, જે રાજ્ય માટે નોંધપાત્ર સિદ્ધિ ગણાય છે.

દેશવ્યાપી દ્રષ્ટિએ પણ ઉત્પાદનનો આંક ઊંચો રહ્યો છે. વર્ષ 2024-25 દરમિયાન સમગ્ર દેશમાં અંદાજે 1180 લાખ ટન ઘઉંનું ઉત્પાદન થવાનો અંદાજ વ્યક્ત થયો હતો. વધતા ઉત્પાદનને કારણે શરૂઆતમાં બજારમાં પૂરતા જથ્થા ઉપલબ્ધ રહ્યા અને તેના પરિણામે ભાવ પર દબાણ જોવા મળ્યું હતું.

ચાલુ રવી સીઝન 2025-26માં પણ ઘઉંના વાવેતરમાં વધારો નોંધાયો છે. ગુજરાતમાં 2 ફેબ્રુઆરી સુધીના આંકડા મુજબ વાવેતર 14 ટકા વધીને 14.83 લાખ હેક્ટર સુધી પહોંચ્યું છે. જો હવામાન અનુકૂળ રહે અને ઉપજ જળવાઈ રહે, તો આ વર્ષે ઉત્પાદન વધુ વધવાની સંભાવના છે. આમ, જથ્થાબંધ ઉત્પાદન વચ્ચે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે નિકાસને છૂટ આપવાનો નિર્ણય મહત્વનો માનવામાં આવી રહ્યો છે.

બજારમાં નિકાસના સમાચારોથી વેપારીઓ અને ખેડૂતોમાં નવી આશા જાગી છે. રાજકોટના બેડી યાર્ડ સહિત અનેક કૃષિ બજારોમાં ભાવમાં હળવો ઉછાળો નોંધાયો છે. તા. 1થી 13 ફેબ્રુઆરી દરમિયાન ટુકડા ઘઉંના મહત્તમ ભાવ પ્રતિ મણ રૂ. 600થી નીચે રહ્યા હતા, જ્યારે ગયા વર્ષે આ જ સમયગાળામાં ભાવ રૂ. 700 સુધી પહોંચ્યા હતા. જોકે તા. 14 ફેબ્રુઆરી પછી સારા ગુણવત્તાવાળા ટુકડા ઘઉંના ભાવ ફરી વધીને રૂ. 600ને પાર ગયા છે. હાલમાં રૂ. 455થી 620 વચ્ચે સોદા નોંધાઈ રહ્યા છે.
 


છેલ્લા ચાર દિવસથી નવા ઘઉંની આવકમાં પણ વધારો થયો છે. રાજકોટ બેડી યાર્ડમાં દૈનિક 3000થી 4000 ક્વિન્ટલ જેટલી આવક નોંધાઈ રહી છે. આવક વધવા છતાં ભાવમાં ઘટાડો જોવા મળ્યો નથી, જે નિકાસના સમાચારોથી સર્જાયેલી બજારની મજબૂત માંગને દર્શાવે છે.

ખેડૂતોના મતે, ઉત્પાદન વધવા છતાં જો બજારમાં પૂરતા ભાવ ન મળે તો ખર્ચ ઊગાડવો મુશ્કેલ બની રહે છે. ખાતર, બીજ, મજૂરી અને સિંચાઈના વધતા ખર્ચ વચ્ચે યોગ્ય બજાર ભાવ અત્યંત મહત્વનો છે. નિકાસની છૂટથી આંતરરાષ્ટ્રીય બજારમાં માંગ વધશે અને સ્થાનિક બજારમાં પણ ભાવને ટેકો મળશે એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

વેપારીઓનું માનવું છે કે જો નિકાસની પ્રક્રિયા ઝડપથી અમલમાં મૂકાશે અને વધુ જથ્થાને મંજૂરી મળશે તો ભાવમાં વધુ સુધારો થઈ શકે છે. જોકે ઉત્પાદનનો જથ્થો મોટા પાયે હોવાથી ભાવમાં અતિશય ઉછાળો શક્ય નથી. બજાર હાલમાં સંતુલિત સ્થિતિમાં છે અને માંગ-પુરવઠા પર આધારિત હલચલ આગળ પણ જોવા મળી શકે છે.

આ રીતે, રેકોર્ડ ઉત્પાદન અને વધતા વાવેતર વચ્ચે 25 લાખ ટન નિકાસની છૂટે ઘઉંના બજારમાં નવી ચેતના ફૂંકી છે. હાલના સંકેતો અનુસાર ખેડૂતોને થોડો રાહતનો શ્વાસ મળ્યો છે અને આગામી અઠવાડિયોમાં બજારની દિશા નિકાસના વાસ્તવિક અમલ અને આવકના પ્રમાણ પર નિર્ભર રહેશે.

You may also like

રાજકોટ શહેર ભાજપ દ્વારા 'વંદેમાતરમ' થીમ સાથે ગણેશ મહોત્સવનો પ્રારંભ

રાજકોટ શહેર ભાજપ દ્વારા 'વંદેમાતરમ' થીમ સાથે ગણેશ મહોત્સવનો પ્રારંભ

આરએમસીએ ૧,૫૪૮ બાંધકામોને નોટિસ ફટકારી પણ ડિમોલિશન ન કર્યું

આરએમસીએ ૧,૫૪૮ બાંધકામોને નોટિસ ફટકારી પણ ડિમોલિશન ન કર્યું

રાજકોટના સર્વેશ્વર ચોકમાં રજવાડી થીમ સાથે ગણપતિ મહોત્સવનો પ્રારંભ

રાજકોટના સર્વેશ્વર ચોકમાં રજવાડી થીમ સાથે ગણપતિ મહોત્સવનો પ્રારંભ

એફ.બી. પર મિત્રતા કરી યુવતીને બ્લેકમેઇલ કરનારો શખ્સ જયપુરથી ઝડપાયો

એફ.બી. પર મિત્રતા કરી યુવતીને બ્લેકમેઇલ કરનારો શખ્સ જયપુરથી ઝડપાયો