નેપાળના પુરમાં 587ના મોત: 2500 ગુમ  320 ભારતીયો હજુ સંપર્ક વિહોણા

નેપાળના પુરમાં 587ના મોત: 2500 ગુમ 320 ભારતીયો હજુ સંપર્ક વિહોણા

નવી દિલ્હી ,

બીજા પૂર પ્રકોપ ટાઈમ બોમ્બના ટિક.. ટિક વચ્ચે

નેપાળમાં ભયાનક પૂર અને કાટમાળના પ્રવાહમાં અત્યાર સુધી 587 લોકોનાં મોત થયા છે. લગભગ 2500 લોકો લાપતા હોવાનું સામે આવ્યું છે. આફત વચ્ચે 320 ભારતીયો અને ભારતીય મૂળના 100 લોકોનો હજુ સુધી સંપર્ક થઈ શક્યો નથી.બીજી તરફ તિબેટમાં રહેલા લગભગ 400 ભારતીયો સાથે સંપર્ક થઈ ગયો છે અને તેઓ સુરક્ષિત હોવાનું જણાવાયું છે. પહાડી વિસ્તારોમાં રસ્તા અને પુલ તૂટી જતાં રાહત અને બચાવ કામગીરીમાં ભારે મુશ્કેલી પડી રહી છે.હવે ભોટેકોશી નદીના ઉપરવાસમાં બનેલી અસ્થાયી ઝીલને કારણે ફરી અચાનક પૂર આવવાની ચિંતા વધી છે.
પૂરના પ્રવાહની સૌથી વધુ અસર ભોટેકોશી અને ત્રિશૂલી નદીના આસપાસના વિસ્તારોમાં થઈ છે. અનેક ગામો અને વસાહતોને નુકસાન થયું છે. રસ્તાઓ અને પુલો ધોવાઈ ગયા છે. વીજ પરિયોજનાઓને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. જેના કારણે અનેક વિસ્તારોનો સંપર્ક તૂટી ગયો છે.

પૂર બાદ સૌથી મોટો પડકાર લાપતા લોકોને શોધવાનો છે. પહાડી વિસ્તારોમાં રસ્તાઓ અને પુલો તૂટી જતાં બચાવ ટીમો માટે અસરગ્રસ્ત સ્થળો સુધી પહોંચવું મુશ્કેલ બની રહ્યું છે. નેપાળ રેડ ક્રોસના જણાવ્યા પ્રમાણે આ કુદરતી આફતથી 90 હજારથી વધુ લોકો અસરગ્રસ્ત થયા છે. અનેક વિસ્તારોમાં લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની કામગીરી પણ ચાલી રહી છે.આ પૂરની અસર જળવિદ્યુત પરિયોજનાઓ પર પણ પડી છે. 13 હાઇડ્રોપાવર પ્રોજેક્ટ સાથે જોડાયેલા લગભગ 933 કર્મચારીઓ લાપતા હોવાનું જણાવાયું છે. તેમાંથી 254 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. અન્ય કર્મચારીઓ સુરંગોમાં ફસાયેલા હોવાની આશંકા છે. એકલા અપર ત્રિશૂલી-1 પ્રોજેક્ટના 576 કર્મચારીઓનો હજુ સુધી કોઈ પત્તો મળ્યો નથી.


નદીના રસ્તામાં બનેલી ઝીલે ફરીથી વધારી ચિંતા

પહેલી પૂરની તબાહી બાદ હવે ભોટેકોશી નદીના ઉપરવાસમાં બનેલી અસ્થાયી ઝીલને લઈને ચિંતા વધી છે. નદીનો રસ્તો કાટમાળથી બંધ થતાં અહીં મોટી માત્રામાં પાણી એકઠું થઈ રહ્યું છે. સેટેલાઇટ તસવીરો દ્વારા પણ આ ઝીલની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.ચીની અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આ ઝીલમાં લગભગ 20 લાખ ક્યુબિક મીટર પાણી એકઠું થઈ ગયું છે. આગામી ત્રણ દિવસમાં વધુ લગભગ 30 લાખ ક્યુબિક મીટર પાણી આવવાનો અંદાજ છે. જો પાણીનું દબાણ વધશે અને કુદરતી અવરોધ તૂટી જશે તો નીચેના વિસ્તારોમાં અચાનક પૂર આવી શકે છે. હાલની માહિતી પ્રમાણે શનિવારે સવારે 6:30 વાગ્યા સુધી રસુવાની ભોટેકોશી અને નુવાકોટમાંથી પસાર થતી ત્રિશૂલી નદીમાં પાણીનો પ્રવાહ સામાન્ય હતો. પૂર પૂર્વાનુમાન મહાશાખા અનુસાર બંને નદીઓના જળસ્તરમાં હાલમાં કોઈ મોટો ફેરફાર જોવા મળ્યો નથી.


320 ભારતીયોનો હજુ સંપર્ક નથી

ભારતના વિદેશ મંત્રાલયના તાજા અપડેટ પ્રમાણે 320 ભારતીયો અને ભારતીય મૂળના 100 લોકો સાથે હજુ સંપર્ક થઈ શક્યો નથી. તેમાંથી લગભગ 100 લોકો ત્રિશૂલી જળવિદ્યુત પરિયોજનામાં ફસાયેલા હોવાનું જણાવાયું છે. જોકે રાહતની વાત એ છે કે તિબેટમાં રહેલા લગભગ 400 ભારતીયો સાથે સંપર્ક થઈ ગયો છે અને તેઓ સુરક્ષિત છે. સરહદ નજીક ફસાયેલા 96 ભારતીયો નેપાળ પહોંચી ગયા છે. ભારતે નેપાળની મદદ માટે રાહત સામગ્રી પણ મોકલી છે.


36થી વધુ પુલ ધોવાયા

પૂરના ભારે પ્રવાહમાં 36થી વધુ પુલ ધોવાઈ ગયા છે. તેના કારણે અનેક ગામોનો અન્ય વિસ્તારો સાથે સંપર્ક તૂટી ગયો છે. રસ્તાઓ બંધ થતાં અસરગ્રસ્ત લોકો સુધી રાશન, દવાઓ અને અન્ય જરૂરી સામગ્રી પહોંચાડવામાં મુશ્કેલી પડી રહી છે.રસ્તાઓ અને પુલોને ફરી જોડવા માટે નેપાળે ભારત અને ચીન પાસેથી મદદ માગી છે. નેપાળે કુલ 42 બેલી બ્રિજ બનાવવામાં સહયોગ માગ્યો છે. આ પુલો તૈયાર થયા બાદ અસરગ્રસ્ત વિસ્તારોમાં આવાગમન અને રાહત કામગીરીને વેગ મળી શકે છે.


7451 સુરક્ષાકર્મીઓ બચાવ કામગીરીમાં જોડાયા

નેપાળમાં ચાલી રહેલા રાહત અને બચાવ અભિયાનમાં કુલ 7451 સુરક્ષાકર્મીઓ જોડાયા છે. તેમાં સેનાના 2391 જવાનો પણ સામેલ છે. બચાવ ટીમો સતત કાટમાળમાં લાપતા લોકોની શોધ કરી રહી છે.બીજી તરફ ભોટેકોશી નદીના ઉપરવાસમાં બનેલી અસ્થાયી ઝીલ પર પણ સતત નજર રાખવામાં આવી રહી છે. હાલ નદીનો પ્રવાહ સામાન્ય હોવા છતાં ઉપરવાસમાં પાણી અને કાટમાળની સ્થિતિને કારણે જોખમ સંપૂર્ણપણે ટળ્યું નથી.


તિબેટમાં પણ ભારે તબાહી

આ કુદરતી આફતની અસર માત્ર નેપાળ સુધી મર્યાદિત રહી નથી. ચીનના તિબેટ વિસ્તારમાં પણ ભારે નુકસાન થયું છે. ગ્યિરોગ કાઉન્ટીમાં આવેલા પૂરમાં 5 લોકોનાં મોત થયા છે અને લગભગ 558 લોકો લાપતા હોવાનું જણાવાયું છે.લાપતા લોકોમાં 260 વિદેશી નાગરિકો પણ સામેલ હોવાનું સામે આવ્યું છે. ભારે પાણીના પ્રવાહે ગામો, વીજ મથકો, રસ્તાઓ, પુલો અને સંચાર વ્યવસ્થાને નુકસાન પહોંચાડ્યું છે. તેની અસર કાઠમંડુ અને લ્હાસા વચ્ચેના આવાગમનના માર્ગ પર પણ પડી છે.


ફરી પૂરનો ખતરો કેમ?

હાલ ભોટેકોશી અને ત્રિશૂલી નદીમાં પાણીનો પ્રવાહ સામાન્ય છે. તેમ છતાં ઉપરવાસમાં બનેલી અસ્થાયી ઝીલને કારણે જોખમ યથાવત છે. જો ઝીલનો કુદરતી અવરોધ તૂટી જશે તો નીચેના વિસ્તારોમાં અચાનક મોટા પ્રમાણમાં પાણી આવી શકે છે.આ કારણે નદીના આસપાસના વિસ્તારોમાં રહેતા લોકો, મુસાફરો અને બચાવ ટીમોને સતર્ક રહેવા જણાવાયું છે. સેટેલાઇટ તસવીરો અને અન્ય માધ્યમોથી ઝીલની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. હાલમાં સૌથી મોટો પડકાર લાપતા લોકોને શોધવાનો અને ફરી પૂર જેવી સ્થિતિ ઊભી ન થાય તેની તકેદારી રાખવાનો છે.

You may also like

તરણેતરનો મેળો: લોકસંસ્કૃતિ, રંગ અને પરંપરાનો મહાકુંભ

તરણેતરનો મેળો: લોકસંસ્કૃતિ, રંગ અને પરંપરાનો મહાકુંભ

ચોમાસું વિદાય લે તે પહેલા ગુજરાત સહિત 21 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ

ચોમાસું વિદાય લે તે પહેલા ગુજરાત સહિત 21 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ

રાજકોટના પાંચ ઉદ્યોગકારોને કોલસાના વેપારમાં ઊંચા વળતરની લાલચ આપી ૧૪૪ કરોડની છેતરપિંડી

રાજકોટના પાંચ ઉદ્યોગકારોને કોલસાના વેપારમાં ઊંચા વળતરની લાલચ આપી ૧૪૪ કરોડની છેતરપિંડી

ગુજરાતમાં ૬ લાખથી વધુ કિશોરીઓનું HPV રસીકરણ સફળતાપૂર્વક સંપન્ન

ગુજરાતમાં ૬ લાખથી વધુ કિશોરીઓનું HPV રસીકરણ સફળતાપૂર્વક સંપન્ન