આરટીઓ ડ્રાઈવિંગ ટેસ્ટમાં એઆઈ સિસ્ટમથી અરજદારોમાં ભારે આક્રોશ Aug 22, 2026 જામનગર,જટિલ પ્રક્રિયા અને ટેકનિકલ ખામીઓને કારણે અરજદારો પરેશાનજામનગર સહિત સમગ્ર રાજ્યની આરટીઓ કચેરીઓમાં વાહન ચલાવવાના લાયસન્સ માટે દાખલ કરવામાં આવેલી 'એઆઈ' (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) આધારિત ડ્રાઈવિંગ ટેસ્ટ સિસ્ટમ હાલ અરજદારો માટે માથાનો દુખાવો સાબિત થઈ રહી છે. આધુનિક ટેકનોલોજીના નામે અમલમાં મુકાયેલી આ સિસ્ટમમાં રહેલી જટિલતાઓને કારણે અનેક લાયસન્સ મેળવવા માંગતા અરજદારો નિષ્ફળ જઈ રહ્યા છે, જેના પરિણામે કચેરીમાં ભારે રોષ અને નારાજગી જોવા મળી રહી છે.આરટીઓ દ્વારા લાયસન્સની પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા માટે એઆઈ આધારિત ઓટોમેટેડ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. જો કે, વાસ્તવિકતા એ છે કે આ સિસ્ટમ અરજદારો માટે અતિ જટિલ બની રહી છે. અનેક અરજદારોનું કહેવું છે કે ટેસ્ટ દરમિયાન સિસ્ટમમાં સર્જાતી નાની અમથી ટેકનિકલ ખામી કે સંવેદનશીલતાને કારણે તેઓ ટેસ્ટમાં પાસ થઈ શકતા નથી. પરિણામે, લાયસન્સ મેળવવાની આખી પ્રક્રિયા લાંબી અને ખર્ચાળ બની રહી છે. વારંવાર ટેસ્ટ આપવા છતાં સફળતા ન મળતા અરજદારોમાં લાચારી અને કચવાટની લાગણી જોવા મળી રહી છે.અરજદારોનો આક્ષેપ છે કે સિસ્ટમને વધુ પડતી કઠોર બનાવવામાં આવી છે. ડ્રાઈવિંગ આવડતું હોવા છતાં, એઆઈ સેન્સરની અત્યંત ચોકસાઈને કારણે સામાન્ય ભૂલો પર પણ ફેલ કરી દેવામાં આવે છે. ટેકનોલોજીનો હેતુ સુવિધા આપવાનો હોવો જોઈએ, પરંતુ અહીં ટેકનોલોજી જ અરજદારો માટે અવરોધરૂપ બની છે. આરટીઓ તંત્ર દ્વારા આ બાબતે યોગ્ય સુધારો કરવામાં આવે અથવા તો પ્રક્રિયાને સરળ બનાવવામાં આવે તેવી માગણી અરજદારો દ્વારા ઉઠાવવામાં આવી રહી છે. જો આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે, તો આગામી સમયમાં અરજદારોની મુશ્કેલીઓ વધુ વધવાની સંભાવના છે. Previous Post Next Post