વધુ એક વિદેશી મહાનુભાવે ગાંધી આશ્રમ અને હેરીટેજ પોળોની મુલાકાત લીધી, મોદી–ફ્રેડરીકે પતંગ ચગાવી મહોત્સવ માણ્યો Jan 12, 2026 ભારતની બે દિવસની મુલાકાતે આવેલા જર્મનીના ચાન્સેલર ફ્રેડરીક મર્જ આજે સીધા અમદાવાદ પહોંચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યા બાદ બંને મહાનુભાવો સીધા ગાંધી આશ્રમ પહોંચ્યા હતા, જ્યાં તેમણે હૃદયકુંજ સહિતના મહત્વના સ્થળોની મુલાકાત લીધી હતી.ગાંધી આશ્રમ ખાતે બંને નેતાઓએ મહાત્મા ગાંધીને પુષ્પાંજલી અર્પણ કરી હતી. જર્મનીના ચાન્સેલરે ચરખા કાંતનની પ્રક્રિયા નિહાળી હતી અને આશ્રમની વિઝિટર બુકમાં મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલી પાઠવતી નોંધ પણ કરી હતી. ગાંધી આશ્રમની સાદગી, શાંતિ અને ગાંધીજીના જીવનદર્શનથી જર્મન રાષ્ટ્રવડા વિશેષ પ્રભાવિત થયા હતા. આ રીતે અમદાવાદ વધુ એક વૈશ્વિક મહાનુભાવનું યજમાન બન્યું છે. ગાંધી આશ્રમની મુલાકાત બાદ વડાપ્રધાન મોદી અને ચાન્સેલર ફ્રેડરીક આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ માણવા પહોંચ્યા હતા. અહીં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે બંને રાષ્ટ્રવડાઓનું સ્વાગત કર્યું હતું.પતંગ મહોત્સવ દરમિયાન બંને નેતાઓ ખુલ્લી જીપમાં રિવરફ્રન્ટ પર ફર્યા હતા અને ભારત–જર્મની મિત્રતાનું પ્રતિક રૂપે વિશેષ પતંગ પણ ચગાવ્યો હતો. વડાપ્રધાન મોદીએ ફીરકી પકડી હતી, જ્યારે ચાન્સેલર ફ્રેડરીકે પતંગ ચગાવીને મહોત્સવનો આનંદ માણ્યો હતો. બાદમાં વડાપ્રધાન મોદીએ પણ પતંગ ચગાવી વિદેશી મહાનુભાવ સાથે ઉત્સવનો આનંદ શેર કર્યો હતો.આ અવસરે બંને નેતાઓએ અમદાવાદની હેરીટેજ જાહેર થયેલી પોળોની મુલાકાત પણ લીધી હતી. વડાપ્રધાન મોદીએ પોળોની વિશિષ્ટ બાંધકામ શૈલી, સામૂહિક જીવનપદ્ધતિ અને ઐતિહાસિક મહત્વ વિશે વિગતવાર માહિતી આપી હતી. પોળોના ઈતિહાસ અને સ્થાપત્ય જાણીને જર્મનીના ચાન્સેલર આશ્ચર્યચકિત અને અભિભૂત થયા હતા.પતંગ મહોત્સવ દરમિયાન વડાપ્રધાન મોદીએ દેશ-વિદેશથી આવેલા પતંગબાજો સાથે મુલાકાત કરી હતી અને તેમની સાથે સંવાદ સાધ્યો હતો, જેના કારણે ઉત્સવમાં ઉત્સાહ અને ઉલ્લાસનો માહોલ સર્જાયો હતો.આ તમામ કાર્યક્રમો બાદ વડાપ્રધાન મોદી અને ચાન્સેલર ફ્રેડરીક ગાંધીનગર સ્થિત મહાત્મા ગાંધી મંદિર પહોંચ્યા હતા, જ્યાં ભારત અને જર્મની વચ્ચે દ્વિપક્ષીય શિખર બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન સંરક્ષણ સહિતના અનેક મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચે કરાર કરવામાં આવ્યા હતા. Previous Post Next Post