કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ : જિલ્લા કલેક્ટરને આવેદન, ભાવ બાંધણું રદ કરી પુનઃ સમીક્ષાની માંગ Aug 29, 2026 રાજકોટ,રાજકોટમાં તહેવાર ટાણે પુરવઠા તંત્ર દ્વારા કરાયેલા ભાવ બાંધણામાં રાહતને બદલે પ્રજાને ‘ડામ’જન્માષ્ટમીના પાવન તહેવારોને ધ્યાનમાં રાખીને રાજકોટ જિલ્લા પુરવઠા તંત્ર અને મામલતદારો દ્વારા ફરસાણ, ગાંઠીયા અને મીઠાઈના વેચાણ માટે જાહેર કરવામાં આવેલા ભાવ બાંધણા સામે જનતા અને રાજકીય વર્તુળોમાં ભારે રોષ ફેલાયો છે. તંત્ર દ્વારા જનતાને સસ્તી ચીજવસ્તુઓ મળી રહે તે હેતુસર ‘રાહતદર’ જાહેર કરવામાં આવ્યા હોવાનો દાવો કરાયો હતો, પરંતુ વાસ્તવિકતામાં આ રાહતદર ખુદ પ્રવર્તમાન બજાર ભાવ કરતા પણ ઊંચા હોવાનું સામે આવતા આખો મામલો વિવાદના દાયરામાં આવ્યો છે.તાજેતરમાં મામલતદાર કચેરી ખાતે પુરવઠા અધિકારીઓ અને ફરસાણ એસોસિએશનના હોદ્દેદારો વચ્ચે મળેલી બેઠકમાં તહેવાર દરમિયાન વેચાણ કરવાના થતા ભાવો નક્કી કરવામાં આવ્યા હતા. જેમાં સીંગતેલ અને કપાસિયા તેલના પ્રવર્તમાન બજાર ભાવ તથા તંત્ર દ્વારા જાહેર કરાયેલા દરો વચ્ચે કોઈ સુસંગતતા ન હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. તંત્ર દ્વારા સીંગતેલના લાઇવ ગાંઠીયાના કિલોના રૂ. ૭૪૦ અને સામાન્ય ફરસાણના રૂ. ૬૨૦ નક્કી કરવામાં આવ્યા છે, જ્યારે બજારમાં ખ્યાનામ અને પ્રખ્યાત વેપારીઓને ત્યાં પણ ફાફડા-ગાંઠીયાના છૂટક ભાવ આના કરતા ઓછા એટલે કે રૂ. ૬૦૦ થી ૬૫૦ ની આસપાસ જ મળી રહ્યા છે.આ ઉપરાંત, સીંગતેલ અને કપાસિયા તેલ વચ્ચે માત્ર ૭ થી ૧૦ રૂપિયાનો જ સામાન્ય ફરક જોવા મળે છે, છતાં તંત્ર દ્વારા કપાસિયા તેલના ગાંઠીયાના રૂ. ૫૬૦ અને પામોલીન તેલના ગાંઠીયાના રૂ. ૪૮૦ નક્કી કરાયા છે. જ્યારે બુંદીના લાડુ, મોહનથાળ અને મૈસુબ જેવા ખાદ્યપદાર્થોના રાહતદરો પણ બજારમાં ચાલતા સામાન્ય ભાવોની સરખામણીએ ઊંચા હોવાની ટીકાઓ થઈ રહી છે.આ અણઘડ અને લોકવિરોધી નિર્ણયના વિરોધમાં કોંગ્રેસ પક્ષ દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે અને આ મામલે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી છે. વિપક્ષ અને સામાન્ય પ્રજા દ્વારા એવી માંગ કરવામાં આવી છે કે જિલ્લા કલેક્ટર આ મામલે તાત્કાલિક હસ્તક્ષેપ કરે અને જનતા પર આર્થિક બોજ વધારનાર આ બોગસ રાહતદરના ભાવ બાંધણાને રદ કરીને વ્યાજબી અને વાસ્તવિક ભાવ ફરીથી જાહેર કરવામાં આવે Previous Post Next Post