અમદાવાદમાં વહેલી પરોઢે 2.6ની તીવ્રતાના ભૂકંપનો આંચકો Jul 30, 2026 અમદાવાદમાં આજે વહેલી સવારે 4: 39 કલાકે અચાનક ધરતી ધ્રૂજતા લોકો ગાઢ નિદ્રામાંથી સફાળા જાગી ગયા હતા. પરોઢિયે સર્જાયેલી આ કુદરતી હિલચાલના કારણે શહેરીજનોમાં ભારે ગભરાટ અને અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. સવારના સમયે અચાનક આવેલા આંચકાથી ડરી ગયેલા અનેક નાગરિકો તાત્કાલિક પોતાના ઘર અને ફ્લેટમાંથી બહાર ખુલ્લા મેદાન કે સોસાયટીના રસ્તાઓ પર દોડી આવ્યા હતા.ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યુટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ અને હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી પ્રાથમિક માહિતી મુજબ, ગુરુવારે વહેલી સવારે અમદાવાદ નજીક ભૂકંપનો હળવો આંચકો નોંધાયો હતો. સવારે 4:39 વાગ્યે રિક્ટર સ્કેલ પર 2.6ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. ભૂકંપનું કેન્દ્ર અમદાવાદથી આશરે 29 કિલોમીટર દક્ષિણ-દક્ષિણ પશ્ચિમ વિસ્તારમાં હતું. ભૂકંપની ઊંડાઈ જમીનની સપાટીથી અંદાજે 20 કિલોમીટર નોંધાઈ હતી. જોકે, સદભાગ્યે આ આંચકાને કારણે કોઈપણ પ્રકારની જાનમાલની નુકસાનીના સમાચાર હજુ સુધી પ્રાપ્ત થયા નથી, જેને લઈને તંત્ર અને નાગરિકોએ રાહતનો શ્વાસ લીધો છે.ભૂકંપના આ આંચકા બાદ નિષ્ણાતો દ્વારા નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અને કુદરતી આપદા સમયે રાખવાની સાવચેતીઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું છે. ઘર કે ઓફિસની બહાર નીકળતી વખતે લિફ્ટને બદલે સીડીઓનો ઉપયોગ કરવો તેમજ મજબૂત ફર્નિચર કે ટેબલ નીચે આશરો લેવા જેવી પ્રાથમિક આપત્તિ વ્યવસ્થાપનની બાબતો ધ્યાનમાં રાખવા અપીલ કરવામાં આવી છે. Previous Post Next Post