સુરતની પી.પી. સવાણી ગર્લ્સ હોસ્ટેલમાં 100 છાત્રાઓને ફૂડ પોઇઝનિંગની અસર Sep 14, 2026 સુરત,બપોરનું વધેલું વાસી ભોજન રાત્રે પીરસી દેવતા ઝેરી અસર: તમામ વિધાર્થિનીઓ સારવાર હેઠળસુરતના અબ્રામા વિસ્તારમાં આવેલી પી.પી. સવાણી ગર્લ્સ હોસ્ટેલમાં ભોજન વ્યવસ્થાપનની ગંભીર બેદરકારી સામે આવી છે. શનિવારે (12મી સપ્ટેમ્બર) રાતે હોસ્ટેલની મેસમાં ભોજન લીધા બાદ 100 જેટલી વિદ્યાર્થિનીઓની તબિયત લથડતાં ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી. બનાવની જાણ થતાં જ તમામ અસરગ્રસ્ત વિદ્યાર્થિનીઓને અલગ-અલગ ખાનગી અને સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં ચિંતિત વાલીઓ હોસ્ટેલ પરિસરે દોડી આવ્યા હતા અને મેસ સંચાલકો સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો. વાલીઓએ આક્ષેપ કર્યો હતો કે હોસ્ટેલમાં અવારનવાર વાસી અને અખાદ્ય ખોરાક પીરસવામાં આવે છે. બપોરે વધેલું ભોજન જ રાતે આપી દેવાતું હોવાની ફરિયાદો દીકરીઓ અગાઉ પણ કરતી હતી. કેટલીકવાર યોગ્ય ભોજન ન મળતાં માત્ર કોરા ભાત ખાઈને દિવસો વિતાવવા પડતા હોવાનું પણ સામે આવ્યું છે.સંસ્થા દ્વારા વિદ્યાર્થિનીઓના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરવામાં આવી રહ્યા હોવાનો આક્રોશ વાલીઓએ ઠાલવ્યો હતો. આ સમગ્ર પ્રકરણમાં રસોડા વિભાગ અને મેસનો વહીવટ સંભાળતા જવાબદારો સામે ત્વરિત અને કડક તપાસ કરી દંડાત્મક પગલાં ભરવામાં આવે તેવી માંગ ઉઠી છે. હાલ તમામ વિદ્યાર્થિનીઓની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને આરોગ્ય વિભાગ દ્વારા પણ ભોજનના સેમ્પલ લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. Next Post