શ્રી આપાગીગાનો ઓટલો, ચોટીલા દ્વારા વિનામૂલ્યે ધોરણ 10-12 તથા સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે કોચિંગ વર્ગો Dec 19, 2025 ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલી જીપીએસસી, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, પોલીસ વિભાગ (પીએસઆઇ, એએસઆઇ, કોન્સ્ટેબલ) સહિતની વિવિધ ભરતી જાહેરાતોને ધ્યાનમાં રાખીને શ્રી આપાગીગાનો ઓટલો, ચોટીલા દ્વારા સમગ્ર સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્યે ઉચ્ચ સ્તરીય કોચિંગ વર્ગો શરૂ કરવામાં આવી રહ્યા છે. આ અંગે માહિતી આપતા નરેન્દ્રભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓને કોઈપણ જાતનો આર્થિક ભાર ન પડે તે હેતુથી ચા-પાણી, નાસ્તો, બે સમયનું ભોજન તથા રહેવાની સુવિધા સંપૂર્ણપણે નિઃશુલ્ક આપવામાં આવશે. શ્રી આપાગીગાનો ઓટલો દ્વારા વર્ષોથી શૈક્ષણિક, સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. આ સેવાઓના અનુસંધાને આ વર્ષે પણ ધોરણ 10 અને 12 (સાયન્સ, કોમર્સ અને આર્ટ્સ) ના વિદ્યાર્થીઓ માટે તેમજ પીએસઆઇ, એએસઆઇ, કોન્સ્ટેબલ તથા અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે વિશેષ તાલીમ વર્ગો શરૂ કરવામાં આવી રહ્યા છે. આ વર્ગોમાં વિદ્યાર્થીઓને અનુભવી અને પીઢ શિક્ષકો તેમજ રાજ્ય સરકારના ક્લાસ-૧ અને ક્લાસ-૨ના નિવૃત અધિકારીઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે.આ અંગે વધુ વિગતો આપતા અશોક સોલંકીએ જણાવ્યું હતું કે, સ્પર્ધાત્મક પરીક્ષાના વર્તમાન ટ્રેન્ડને અનુરૂપ અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવ્યો છે, જેથી વિદ્યાર્થીઓ વધુમાં વધુ સફળતા મેળવી શકે. અભ્યાસ સાથે સાથે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને શારીરિક તંદુરસ્તી માટે મેદાન, રમતગમત અને અનુભવી કોચની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.આ વર્ગો તા. 1-1-2026, ગુરુવારથી શરૂ થનાર છે. ધોરણ 10, 11 અને 12ના વિદ્યાર્થીઓ માટે સંપૂર્ણપણે વિનામૂલ્યે રહેવા-જમવાની સુવિધા સાથે આ કોચિંગ વર્ગો ચલાવવામાં આવશે. શિક્ષણ જગતની ઊંડી સમજ ધરાવતા અને લાંબા સમયથી માર્ગદર્શન આપતા શિક્ષકો દ્વારા વિષયવાર અભ્યાસ કરાવવામાં આવશે.વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા માટે જે શિક્ષક મંડળ જોડાયું છે તેમાં પી.પી. મેખીયા (પૂર્વ પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ), ડો. સોનલબેન ફળદુ (ગોલ્ડ મેડાલિસ્ટ), જીતેશભાઈ મલાવડીયા (સ્પર્ધાત્મક પરીક્ષા નિષ્ણાત), રૂપા મેડમ (રીના સ્કૂલ, કોસ્મો ક્લાસીસ), ડો. ભાવાટાંક (એમ.ડી., શુભમ હોસ્પિટલ, જુનાગઢ) સહિતના નામોનો સમાવેશ થાય છે.રેગ્યુલર અભ્યાસ માટે કિશનભાઈ મોડલીયા (ફિઝિક્સ), તુષારાબેન પ્રજાપતિ (કેમિસ્ટ્રી), ભૌતિકભાઈ સરડવા અને વિજયભાઈ ગાડા (મેથેમેટિક્સ) દ્વારા શિક્ષણ આપવામાં આવશે. જ્યારે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે કિરીટભાઈ ટાંક (નિવૃત ઇન્કમટેક્સ અધિકારી – ક્લાસ 1), ડો. વિસ્સાભાઈ મુખા (રીઝનિંગ), પ્રોફેસર જોપી (અંગ્રેજી) તથા શ્રી પંડ્યા (સામાન્ય અભ્યાસ) માર્ગદર્શન આપશે.વિદ્યાર્થીઓના માનસિક, શૈક્ષણિક અને ધાર્મિક વિકાસ માટે શ્રી આપાગીગાના ઓટલાના મહંત શ્રી નરેન્દ્રબાપુ ગુરુથી જીવરાજબાપુ દ્વારા વ્યક્તિગત માર્ગદર્શન પણ આપવામાં આવશે. આ તમામ પ્રવૃત્તિઓ શ્રી જીવરાજ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે. આ વર્ગોમાં પ્રવેશ માટે ફોર્મ વિતરણ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. ફોર્મ મેળવવા માટે રાજકોટ શહેરમાં વિવિધ કેન્દ્રો રાખવામાં આવ્યા છે, જેમાં ભક્તિનગર, દ્વારકેશ નગરી, એસ્ટ્રોન ચોક, નાના મોવા અને પોટીયા વિસ્તારનો સમાવેશ થાય છે. જ્ઞાતિ કે ધર્મના કોઈપણ ભેદભાવ વગર તમામ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે.નરેન્દ્રભાઈ સોલંકીએ સમગ્ર સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓને આ સુવર્ણ તકનો લાભ લેવા અપીલ કરી છે અને જણાવ્યું છે કે, આ પ્રકારની નિઃશુલ્ક વ્યવસ્થા દ્વારા સમાજના યુવાધનને યોગ્ય દિશા આપવા શ્રી આપાગીગાનો ઓટલો સતત પ્રયત્નશીલ છે. Previous Post Next Post