રાજસ્થાનમાં ગેરકાયદે ખનનનો વધતો ખતરો: સાત વર્ષમાં 7 હજારથી વધુ FIR, અરવલ્લી પટ્ટો સૌથી વધુ અસરગ્રસ્ત

રાજસ્થાનમાં ગેરકાયદે ખનનનો વધતો ખતરો: સાત વર્ષમાં 7 હજારથી વધુ FIR, અરવલ્લી પટ્ટો સૌથી વધુ અસરગ્રસ્ત

રાજસ્થાનમાં ગેરકાયદે ખનન સામેની લડાઈમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. છેલ્લા સાત વર્ષ દરમિયાન રાજ્યમાં ગેરકાયદે ખનન, પરિવહન અને સંગ્રહ સંબંધિત કુલ 7,173 FIR નોંધાઈ છે. ચિંતા જનક બાબત એ છે કે, એકલા અરવલ્લી પટ્ટાના જિલ્લાઓમાં જ 4,181થી વધુ પોલીસ કેસ નોંધાયા છે, જે રાજ્યના પર્યાવરણ માટે ગંભીર સંકેત માનવામાં આવે છે.

સરકારી આંકડા મુજબ, સમગ્ર રાજસ્થાનમાં છેલ્લા સાત વર્ષમાં ગેરકાયદે ખનનની 71,322 ઘટનાઓ નોંધાઈ છે. તેમાં FIR સાથે દંડ ભરાવાના કિસ્સાઓનો પણ સમાવેશ થાય છે. આમાંથી 40,175 ઘટનાઓ માત્ર અરવલ્લી શ્રેણીના જિલ્લાઓમાં નોંધાઈ છે. નોંધનીય છે કે, રાજસ્થાનના કુલ 20 જિલ્લા અરવલ્લી પર્વતમાળાની શ્રેણીમાં આવે છે.
 

સત્તા પરિવર્તન બાદ આંકડાઓમાં તફાવત

કોંગ્રેસ અને ભાજપના શાસનકાળ દરમિયાન ગેરકાયદે ખનન સંબંધિત ઘટનાઓના આંકડાઓમાં સ્પષ્ટ તફાવત જોવા મળે છે.
સરકારી માહિતી અનુસાર, 15 ડિસેમ્બર 2018થી 14 ડિસેમ્બર 2023 સુધીના કોંગ્રેસ શાસન દરમિયાન અરવલ્લી ક્ષેત્રમાં 29,209 ગેરકાયદે ખનન ઘટનાઓ નોંધાઈ હતી.

તેની સામે, 13 ડિસેમ્બર 2023થી 2025 સુધી, વર્તમાન ભાજપ સરકારના પ્રથમ બે વર્ષમાં આ આંકડો 10,966 રહ્યો છે.

આ મુદ્દે ભાજપના પ્રવક્તા અને ત્રણ વખત ધારાસભ્ય રહેલા રામલાલ શર્માએ જણાવ્યું કે,
“રાજ્ય સરકાર અરવલ્લીના એક-એક પથ્થરને બચાવવા પ્રતિબદ્ધ છે. ખનન માફિયા સામે છેલ્લા બે વર્ષમાં કડક કાર્યવાહી કરવામાં આવી છે.”
 

FIR ઓછી હોવા અંગે તંત્રની સ્પષ્ટતા

રાજસ્થાનના ખાણ અને પેટ્રોલિયમ વિભાગના અગ્ર સચિવ ટી. રવિકાંતએ FIR અને ઘટનાઓ વચ્ચેના તફાવત અંગે સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે,
“દરેક ઘટના માટે FIR દાખલ થતી નથી. જ્યારે વિભાગ પોતે નોટિસ આપીને દંડ વસૂલે છે, ત્યારે તે ઘટના ગણાય છે. પરંતુ હુમલા, ચોરી કે ગંભીર ગુનાઓના કિસ્સામાં જ પોલીસ ફરિયાદ નોંધાય છે. આ કારણે FIRની સંખ્યા ઘટનાઓની સરખામણીએ ઓછી છે.”
 

ખાણ માફિયાનો આતંક: અધિકારીઓ પર હુમલા

રાજ્ય વિધાનસભામાં સરકારે સ્વીકાર્યું છે કે વર્ષ 2024માં ખાણ માફિયાઓ દ્વારા અધિકારીઓ અને કર્મચારીઓ પર 93 હુમલા કરવામાં આવ્યા હતા. આ હુમલાઓમાં 311 કર્મચારીઓને નિશાન બનાવવામાં આવ્યા હતા, જે ખનન માફિયાની હિંસક પ્રવૃત્તિઓને ઉજાગર કરે છે.
 

કરોડો રૂપિયાનું દંડ અને હજારો ધરપકડ

ગેરકાયદે ખનન સામેની કાર્યવાહી દરમિયાન છેલ્લા સાત વર્ષમાં રાજ્ય સરકાર દ્વારા કુલ રૂ. 637.16 કરોડનો દંડ વસૂલવામાં આવ્યો છે.

  • કોંગ્રેસ શાસન દરમિયાન અરવલ્લી પટ્ટામાંથી રૂ. 231.75 કરોડ
  • ભાજપ શાસનમાં અત્યાર સુધી રૂ. 136.78 કરોડનો દંડ વસૂલાયો છે

આ ઉપરાંત, ગેરકાયદે ખનન સાથે સંકળાયેલા 3,736 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને 70,399 વાહનો તથા મશીનો જપ્ત કરવામાં આવ્યા છે.
 

અરવલ્લીની નવી વ્યાખ્યા પર વિવાદ

પર્યાવરણ સચિવની સમિતિ દ્વારા સૂચવેલી અને સુપ્રીમ કોર્ટ દ્વારા મંજૂર કરાયેલી ‘અરવલ્લી’ની નવી વ્યાખ્યાને લઈને પણ વિવાદ ઊભો થયો છે. નવી વ્યાખ્યા મુજબ, સ્થાનિક ભૂતલથી 100 મીટર કે તેથી વધુ ઊંચાઈ ધરાવતી જમીનને જ ‘અરવલ્લીની ટેકરી’ માનવામાં આવશે.

પર્યાવરણવિદોનું માનવું છે કે, આ નિર્ણયથી નીચાણવાળા વિસ્તારોમાં ખનન વધવાની શક્યતા છે, જેના કારણે અરવલ્લીનું અસ્તિત્વ જોખમમાં પડી શકે છે. જોકે, પર્યાવરણ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે વિગતવાર અભ્યાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી અરવલ્લીમાં કોઈ નવી ખનન લીઝ મંજૂર કરવામાં નહીં આવે.

You may also like

કાલથી રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો, ઉત્તરાયણ પવન પતંગરસિયાઓને મોજ કરાવશે

કાલથી રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો, ઉત્તરાયણ પવન પતંગરસિયાઓને મોજ કરાવશે

રોહિત–કોહલી રાજકોટમાં છેલ્લી વખત રમશે; બુધવારે બીજી વનડે પહેલા નેટ્સમાં ખેલાડીઓએ કરી જોરદાર પ્રેક્ટિસ

રોહિત–કોહલી રાજકોટમાં છેલ્લી વખત રમશે; બુધવારે બીજી વનડે પહેલા નેટ્સમાં ખેલાડીઓએ કરી જોરદાર પ્રેક્ટિસ

ઠંડી ઋતુમાં તરસ ન લાગે તો પણ પાણી જરૂરી, શિયાળામાં ઓછું પાણી પીવાથી હૃદય અને બ્લડપ્રેસર પર જોખમ

ઠંડી ઋતુમાં તરસ ન લાગે તો પણ પાણી જરૂરી, શિયાળામાં ઓછું પાણી પીવાથી હૃદય અને બ્લડપ્રેસર પર જોખમ

ટ્રમ્પની ટેરીફ ધમકીથી શેરબજારમાં ભારે અફડાતફડી, ગભરાટ વચ્ચે સેન્સેકસ 300 પોઇન્ટ તૂટ્યો મંદીમાં સરક્યું, રોકાણકારોમાં ચિંતા ફેલાઈ

ટ્રમ્પની ટેરીફ ધમકીથી શેરબજારમાં ભારે અફડાતફડી, ગભરાટ વચ્ચે સેન્સેકસ 300 પોઇન્ટ તૂટ્યો મંદીમાં સરક્યું, રોકાણકારોમાં ચિંતા ફેલાઈ