યુ.એસ.માં આશ્રય મેળવેલા કે તેની પ્રક્રિયા હેઠળ રહેલા ગુજ્જુઓ કડક વિઝા કાયદાની ઝપેટમાં આવશે Aug 27, 2026 નવી દિલ્હી ,અમેરિકામાં 14 હજાર ગુજરાતીઓ પર દેશ નિકાલની લટકતી તલવાર અમેરિકામાં જઈને અસાઈલમ (આશ્રય) માગનારા વિદેશીઓ સામે ટ્રમ્પ પ્રશાસને અત્યાર સુધીની સૌથી મોટી વિઝા કાર્યવાહી કરવાની તૈયારી દર્શાવી છે. અમેરિકન તંત્ર દ્વારા B1 (બિઝનેસ) અને B2 (ટૂરિસ્ટ) કેટેગરીના વિઝા ધરાવતા એવા લોકોના વિઝા ગમે ત્યારે રદ કરવામાં આવી શકે છે, જેમણે દેશમાં પ્રવેશ્યા બાદ અસાઈલમ માટે અરજી કરી છે અથવા જેઓની અસાઈલમ પ્રક્રિયા હાલમાં પેન્ડિંગ છે. અંદાજે 2 લાખ સુધીના લોકોના વિઝા રદ થવાની શક્યતાને પગલે અરજદારોમાં ભારે ચિંતાનો માહોલ છે. જો આ નિર્ણય અમલમાં મુકાશે તો તે યુએસ ઈતિહાસનું સૌથી મોટું માસ વિઝા રિવોકેશન બની રહેશે.આ નિર્ણય ગુજરાત અને ગુજરાતીઓ માટે પણ અત્યંત ચિંતાજનક સાબિત થઈ શકે છે. જોકે યુએસ સરકારે અસરગ્રસ્ત ગુજરાતીઓનો કોઈ સત્તાવાર આંકડો બહાર પાડ્યો નથી, પરંતુ જ્હોન્સ હોપકિન્સના આંકડા અનુસાર 2001થી 2022 દરમિયાન ભારતીય અસાઈલમ અરજદારોમાં આશરે 7% લોકો ગુજરાતી ભાષી હતા. આ ટકાવારીને સંભવિત 2 લાખ અસરગ્રસ્તો પર લાગુ કરવામાં આવે તો અંદાજે 14,000 જેટલા ગુજરાતીઓ પણ આ કડકાઈની ઝપેટમાં આવી શકે તેમ છે.ગુજરાતીઓ માટે અમેરિકા હંમેશાંથી પ્રિય ફોરેન ડેસ્ટિનેશન રહ્યું છે. ફેડરેશન ઓફ ગુજરાતી એસોસિએશન ઓફ યુએસએના ડેટા મુજબ અમેરિકામાં અંદાજે 17 લાખ ગુજરાતી મૂળના લોકો વિવિધ સંગઠનો સાથે જોડાયેલા છે, જેમાંના ઘણા પરિવારોને આ કડકાઈની આડકતરી અસર પહોંચી શકે છે. અમેરિકન ઈમિગ્રેશન અધિકારીઓના જણાવ્યા મુજબ, કેટલાક લોકો B1/B2 વિઝા પર કાયદેસર રીતે પ્રવેશ કર્યા બાદ અસાઈલમની અરજી કરીને લાંબો સમય રોકાવાનો પ્રયાસ કરે છે. ટ્રમ્પ સરકારે આ બાબતને ઈમિગ્રેશન સિસ્ટમનો દુરુપયોગ ગણાવીને આવા કેસો સામે આકરા પગલાં ભરવાનો સ્પષ્ટ સંકેત આપ્યો છે. Previous Post Next Post