ગુજરાતના 259 તાલુકામાં સચરાચર વરસાદ, સૌથી વધુ અંજારમાં 7.24 ઇંચ મેઘમહેર Sep 15, 2026 રાજકોટ,વલ્લભીપુરમાં 6.1 ઇંચ, જામનગર 5.59 ઇંચ અને કોટડા સાંગાણીમાં 5.2 ઇંચ વરસાદગુજરાતભરમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે, જેના કારણે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 259 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ધોધમાર વરસાદના કારણે ઠેર-ઠેર પાણી ભરાયા છે અને નદી-નાળા છલકાઈ ગયા છે. જોકે, હવામાન વિભાગે આગામી સમયમાં વરસાદનું જોર ઘટવાની સંભાવના વ્યક્ત કરી છે.છેલ્લા 24 કલાકના આંકડાઓ પર નજર કરીએ તો કચ્છ પંથકમાં મેઘરાજાએ સૌથી વધુ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. કચ્છના અંજાર તાલુકામાં સૌથી વધુ 7.24 ઇંચ વરસાદ ખાબક્યો છે, જ્યારે ગાંધીધામમાં 4.61 ઇંચ અને ભચાઉમાં 4.41 ઇંચ વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ વરસ્યો છે, જેમાં ભાવનગરના વલ્લભીપુરમાં 6.1 ઇંચ, જામનગર શહેરમાં 5.59 ઇંચ અને રાજકોટના કોટડા સાંગાણીમાં 5.2 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે.આ ઉપરાંત મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. આણંદના બોરસદમાં 5.51 ઇંચ, મહેસાણાના કડીમાં 4.29 ઇંચ, વડોદરાના કરજણમાં 4.29 ઇંચ, સુરત શહેરમાં 4.17 ઇંચ, અમદાવાદના ધોળકામાં 4.13 ઇંચ, ખેડાના નડિયાદમાં 4.06 ઇંચ અને અમદાવાદ શહેરમાં 3.43 ઇંચ જેટલો ભારે વરસાદ નોંધાયો છે.હવામાન વિભાગની આગાહી મુજબ આજે (15મી સપ્ટેમ્બર) પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહેશે. ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રના મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને રાજકોટ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી સાથે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત અમદાવાદમાં હળવા વરસાદની આગાહી છે, જ્યારે ઉત્તર ગુજરાતમાં સામાન્ય અને દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની સંભાવના છે. આવતીકાલથી રાજ્યમાં વરસાદનું જોર ઘટવાની શરૂઆત થશે. ઉલ્લેખનીય છેકે, છેલ્લા 24 કલાકમાં પડેલા અતિભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાયા છે, પરંતુ જળાશયોમાં નવા નીર આવવાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. Previous Post Next Post