ગુજરાત ભાજપના નવા સંગઠન માળખામાં નિમણૂકો બાદ રાજકીય ગરમાવો: પૂર્વ નાયબ મુખ્યમંત્રીનું નિવેદન ચર્ચાના કેન્દ્રમાં Aug 19, 2026 અમદાવાદ,રોહન ગુપ્તાને ઓળખતો નથી, બાકીના નેતાઓ મારા અંગત: નીતિન પટેલગુજરાત ભાજપના તાજેતરના સંગઠનાત્મક ફેરફારો બાદ રાજકીય વર્તુળોમાં એક નવો વિવાદ ચર્ચાનો વિષય બન્યો છે. કેન્દ્રીય ભાજપ દ્વારા ગુજરાતના 4 નેતાઓને સંગઠનમાં મહત્વની જવાબદારીઓ સોંપવામાં આવી છે, જેના પગલે ભાજપના અનેક અગ્રણીઓએ સોશિયલ મીડિયા પર તેમને અભિનંદન પાઠવ્યા હતા. જોકે, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સોશિયલ મીડિયા પર માત્ર 3 નેતાઓને જ અભિનંદન આપતા અને કોંગ્રેસમાંથી આવેલા રોહન ગુપ્તાને અભિનંદન ન આપતા રાજકીય અટકળો તેજ બની હતી.પોતાની આ પોસ્ટને લઈને સર્જાયેલા વિવાદ અને સોશિયલ મીડિયા પર ચાલી રહેલી ચર્ચાઓ અંગે નીતિન પટેલે આજે પોતાનો પક્ષ સ્પષ્ટ કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, "હું સોશિયલ મીડિયા પર અવારનવાર પોસ્ટ મુકતો હોઉં છું અને તેની નીચે લોકો પોતાના વિચારો રજૂ કરે છે." આ સમગ્ર મામલે નીતિન પટેલે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, તેઓ રોહન ગુપ્તાને ઓળખતા નથી, જ્યારે નિમણૂક પામેલા અન્ય 3 નેતાઓ તેમના અંગત છે.ભાજપના કેન્દ્રીય નેતૃત્વ દ્વારા કરવામાં આવેલી આ નિમણૂકો પછી સોશિયલ મીડિયા પર અભિનંદનનો ધોધ વહેતો હતો, પરંતુ અનુભવી નેતા નીતિન પટેલની પોસ્ટમાં રોહન ગુપ્તાની ગેરહાજરીએ રાજકીય વિશ્લેષકોનું ધ્યાન ખેંચ્યું છે. નીતિન પટેલના આ નિવેદને ભાજપના આંતરિક રાજકીય સમીકરણો અને પક્ષમાં આવેલા નવા નેતાઓ પ્રત્યેના અભિગમ અંગે અનેક પ્રશ્નો ઊભા કર્યા છે. આ મામલો હાલમાં રાજકીય ગલીયારામાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. Previous Post Next Post