દિલ્હીમાં પ્રદૂષણની ગંભીર સ્થિતિ: 50 ટકા કર્મચારીઓ માટે વર્ક ફ્રોમ હોમ ફરજિયાત, બાંધકામ મજૂરોને ₹10,000ની સહાય Dec 17, 2025 દિલ્હીમાં વધતા જતા વાયુ પ્રદૂષણને લઈને સ્થિતિ અત્યંત ગંભીર બની છે. એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) સતત ખતરનાક સ્તરે પહોંચી જતા દિલ્હી સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. પ્રદૂષણથી નાગરિકોના આરોગ્ય પર પડતા ગંભીર અસરોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા અનેક કડક નિર્ણયો લેવામાં આવ્યા છે. આ અંતર્ગત હવે દિલ્હી સરકારએ સરકારી તેમજ ખાનગી બંને ક્ષેત્રની ઓફિસોમાં 50 ટકા કર્મચારીઓ માટે વર્ક ફ્રોમ હોમ ફરજિયાત કરવાનો આદેશ જાહેર કર્યો છે. 18 ડિસેમ્બરથી અમલમાં આવશે નવા નિયમોદિલ્હી શ્રમ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આદેશ અનુસાર, 18 ડિસેમ્બરથી તમામ સરકારી અને ખાનગી ઓફિસોમાં માત્ર 50 ટકા કર્મચારીઓની હાજરી સાથે કાર્ય કરવાની મંજૂરી રહેશે, જ્યારે બાકીના 50 ટકા કર્મચારીઓએ ફરજિયાત રીતે ઘરેથી કામ કરવું પડશે. સરકારનું માનવું છે કે ઓફિસોમાં આવન-જાવન ઘટશે તો રસ્તાઓ પર વાહનોની સંખ્યા ઓછી થશે અને પ્રદૂષણના સ્તરમાં ઘટાડો થશે.જોકે, આવશ્યક સેવાઓ આપતી સંસ્થાઓને આ નિયમમાંથી મુક્તિ આપવામાં આવી છે. તેમાં હોસ્પિટલ, ફાયર બ્રિગેડ, પોલીસ, જેલ પ્રશાસન, જાહેર પરિવહન, વીજળી-પાણી પુરવઠો, સ્વચ્છતા અને આપત્તિ વ્યવસ્થાપન વિભાગોનો સમાવેશ થાય છે. આ ક્ષેત્રોમાં કર્મચારીઓની સંપૂર્ણ હાજરી યથાવત રહેશે.સરકારએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો કોઈ સંસ્થા અથવા ઓફિસ આ નિયમોનું પાલન નહીં કરે તો તેની સામે કડક દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. GRAP-3 અને GRAP-4 હેઠળ બાંધકામ પર પ્રતિબંધદિલ્હીમાં પ્રદૂષણ નિયંત્રણ માટે ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP)-3 અને GRAP-4 લાગુ કરવામાં આવ્યા છે. આ અંતર્ગત શહેરભરમાં તમામ પ્રકારની બાંધકામ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પરિણામે હજારો નહીં પરંતુ લાખો કન્સ્ટ્રક્શન મજૂરોની રોજગારી પર અસર પડી છે.આ સ્થિતિને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકારએ એક મહત્વપૂર્ણ રાહત પેકેજની જાહેરાત કરી છે. કન્સ્ટ્રક્શન મજૂરોને મળશે ₹10,000ની આર્થિક સહાયદિલ્હીના મંત્રી કપિલ મિશ્રાએ જાહેરાત કરી છે કે તમામ રજિસ્ટર્ડ કન્સ્ટ્રક્શન વર્કર્સને ₹10,000નું વળતર સીધું તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. આ સહાય તે મજૂરો માટે છે, જેમની રોજીરોટી GRAP-4ના પ્રતિબંધો કારણે બંધ થઈ ગઈ છે.મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે જ્યારે GRAP-4ના પ્રતિબંધો હટાવવામાં આવશે, ત્યારબાદ પ્રતિબંધ લાગુ રહેલા દિવસોની ગણતરી કરીને વધારાનું વળતર પણ ચૂકવવામાં આવશે. સરકારનો હેતુ એ છે કે પ્રદૂષણ સામે લડતા સમયે ગરીબ અને દૈનિક મજૂરોને આર્થિક સંકટનો સામનો ન કરવો પડે.ઓફિસના સમયમાં ફેરફાર અને કાર પૂલિંગ પર ભારપ્રદૂષણ અને ટ્રાફિકની સમસ્યા ઘટાડવા માટે દિલ્હી સરકારએ ઓફિસોના સમયમાં ફેરફાર કરવાની પણ અપીલ કરી છે. એકસાથે તમામ કર્મચારીઓને બોલાવવાને બદલે શિફ્ટ સિસ્ટમ અપનાવવાની સલાહ આપવામાં આવી છે. જેમ કે, કેટલાક કર્મચારીઓને સવારે 10 વાગ્યે અને કેટલાકને બપોરે 12 વાગ્યે બોલાવવામાં આવે, જેથી રસ્તાઓ પર એકસાથે ભીડ ન વધે.આ ઉપરાંત, સરકારએ કર્મચારીઓને ખાનગી વાહનોના બદલે કાર પૂલિંગ અપનાવવા માટે પણ પ્રોત્સાહિત કર્યા છે. વધુમાં, દિલ્હીમાં પહેલેથી જ BS-VI ધોરણથી નીચેની તમામ ગાડીઓના પ્રવેશ પર પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે. જ્યાં સુધી સ્થિતિ સુધરે નહીં ત્યાં સુધી કડક નિયમો ચાલુ રહેશેસરકારએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી દિલ્હીની વાયુ ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો નહીં થાય, ત્યાં સુધી આ તમામ કડક પગલાં અમલમાં રહેશે. સરકારનું કહેવું છે કે નાગરિકોના આરોગ્ય અને જીવનની સુરક્ષા સર્વોપરી છે અને તેના માટે જરૂરી તમામ કડક નિર્ણયો લેવામાં આવશે.દિલ્હીમાં હાલની સ્થિતિને જોતા સરકારના આ પગલાં પ્રદૂષણ સામે લડવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે, જોકે સામાન્ય જનતા અને કર્મચારીઓએ પણ નિયમોનું પાલન કરીને સરકારને સહયોગ આપવો જરૂરી છે. Previous Post Next Post