હિમાલયમાં હિમનો દુષ્કાળ! કેદારનાથ-બદ્રીનાથના પહાડો બરફ વિહોણા, 31 ડિસેમ્બર બાદ આશાની કિરણ Dec 30, 2025 ડિસેમ્બર મહિનો પૂર્ણતાની નજીક છે અને નવા વર્ષની શરૂઆત થવા હવે ગણતરીના કલાકો બાકી છે, છતાં હિમાલયના ઉત્તરાખંડ વિસ્તારમાં આવેલા પવિત્ર કેદારનાથ અને બદ્રીનાથ ધામના પહાડો હજુ સુધી બરફથી ઢંકાયા નથી. સામાન્ય રીતે આ સમયગાળામાં આ બંને ધામોમાં 5થી 8 ફૂટ સુધી બરફવર્ષા જોવા મળતી હોય છે, પરંતુ વર્ષ 2025માં કુદરતે પોતાનો અનોખો મિજાજ બતાવ્યો છે. હિમવર્ષા ન થવાને કારણે સમગ્ર વિસ્તાર બરફ વગર વેરાન લાગતો જોવા મળે છે.આ અસામાન્ય સ્થિતિએ પર્યટન ક્ષેત્ર સાથે સાથે સ્થાનિક લોકોની ચિંતાઓમાં પણ વધારો કર્યો છે. ઉત્તરાખંડના ઔલી, ચંબા, મુનસ્યારી અને જોશીમઠ જેવા લોકપ્રિય પર્યટન સ્થળોએ દર વર્ષે ડિસેમ્બર-જાન્યુઆરી દરમિયાન મોટી સંખ્યામાં સહેલાણીઓ સ્નો-ફૉલનો આનંદ લેવા ઉમટી પડતા હોય છે. આ વર્ષે પણ નવા વર્ષની ઉજવણી માટે પ્રવાસીઓ પહાડોમાં પહોંચ્યા છે, પરંતુ બરફ ન જોવા મળતા તેમના ચહેરા પર નિરાશા સ્પષ્ટ દેખાઈ રહી છે.પર્યટકોની માયૂસીનો સીધો પ્રભાવ સ્થાનિક વેપારીઓ પર પડ્યો છે. હોટલ, હોમ-સ્ટે, ગાઇડ, ટેક્સી ડ્રાઇવર અને નાના દુકાનદારો માટે આ સિઝન આવકનો મુખ્ય સ્ત્રોત ગણાય છે. બરફ ન પડવાને કારણે પર્યટન પ્રવૃત્તિઓ ઘટી છે, જેનાથી તેમની આવક પર અસર પડી રહી છે. સાથે જ, ખેડૂતો પણ ચિંતામાં છે, કારણ કે હિમવર્ષા ન થવાથી બાગાયતી ખેતી અને પાણીના સ્ત્રોતો પર લાંબા ગાળે ગંભીર અસર થવાની શક્યતા છે. બરફ ન પડવાનું મુખ્ય કારણ શું?હવામાન નિષ્ણાતો અનુસાર, આ વર્ષે બરફવર્ષા ન થવાનું મુખ્ય કારણ ‘વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ’નું નબળું રહેવું છે. હવામાન તજજ્ઞ પ્રોફેસર ડૉ. ચંદ્રમોહન જણાવે છે કે જ્યારે પશ્ચિમી વિક્ષેપ (વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ) મજબૂત હોય છે, ત્યારે જ હિમાલયના ઊંચા વિસ્તારોમાં બરફવર્ષા અને મેદાની વિસ્તારોમાં વરસાદ થાય છે.આ વર્ષે નવેમ્બર અને ડિસેમ્બર દરમિયાન કોલ્ડવેવ, ગાઢ ધુમ્મસ અને ઝાકળનું પ્રમાણ પણ ખૂબ જ ઓછું રહ્યું છે. પરિણામે ઠંડીનું પ્રમાણ સામાન્ય કરતાં ઓછું નોંધાયું છે, જે હિમવર્ષા માટે અનુકૂળ પરિસ્થિતિ ઊભી કરી શક્યું નથી. શું આ ક્લાયમેટ ચેન્જનો સંકેત છે?હિમાલયમાં બદલાતી પરિસ્થિતિને લઈને નિષ્ણાતોમાં બે અલગ-અલગ અભિપ્રાય જોવા મળે છે. સ્પેસ એપ્લિકેશન સેન્ટર, અમદાવાદના પૂર્વ વૈજ્ઞાનિક ડૉ. એમ.એમ. કિમોઠી આ સ્થિતિને ક્લાયમેટ ચેન્જનો ગંભીર સંકેત માને છે. તેમના જણાવ્યા અનુસાર, બદ્રીનાથ વિસ્તારમાં હવે એવી વનસ્પતિઓ જોવા મળી રહી છે જે અગાઉ ક્યારેય ત્યાં ઉગતી નહોતી. સાથે જ, હિમાલયની ‘ટ્રી-લાઇન’ સતત ઉપર તરફ ખસી રહી છે, જે પર્યાવરણીય અસંતુલન દર્શાવે છે.બીજી તરફ, દેહરાદૂન હવામાન કેન્દ્રના ડાયરેક્ટર ડૉ. સી.એસ. તોમર આ સ્થિતિને કુદરતી પ્રક્રિયાનો ભાગ ગણાવે છે. તેમનું કહેવું છે કે ઉત્તરાખંડમાં નવેમ્બર અને ડિસેમ્બર મહિના સામાન્ય રીતે શુષ્ક રહેતા આવ્યા છે. વર્ષ 2020 અને 2023માં પણ આ સમયગાળામાં બરફવર્ષા નહોતી થઈ, પરંતુ ત્યારબાદ જાન્યુઆરી મહિનામાં ભારે હિમપાત નોંધાયો હતો. 31 ડિસેમ્બર બાદ બદલાશે હવામાન, જાગી નવી આશાહવામાન વિભાગે નવા વર્ષની શરૂઆત સાથે રાહતના સંકેતો આપ્યા છે. IMD અનુસાર, 31 ડિસેમ્બરથી 2 જાન્યુઆરી દરમિયાન એક શક્તિશાળી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની શક્યતા છે. તેની અસર હેઠળ ઉત્તરકાશી, ચમોલી, રુદ્રપ્રયાગ અને પિથોરાગઢ જિલ્લાઓના 3200 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા વિસ્તારોમાં ભારે બરફવર્ષા થવાની પ્રબળ શક્યતા છે.માત્ર પહાડો જ નહીં, પરંતુ હરિયાણા અને દિલ્હી-NCR સહિતના મેદાની વિસ્તારોમાં પણ 2 જાન્યુઆરી બાદ કાતિલ ઠંડી, શીતલહેર અને ગાઢ ધુમ્મસ સાથે તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થવાની આગાહી કરવામાં આવી છે.આ આગાહીએ પર્યટકો, સ્થાનિક વેપારીઓ અને ખેડૂતોમાં ફરી આશાની કિરણ જગાવી છે. સૌ કોઈને હવે આશા છે કે નવા વર્ષની શરૂઆત હિમાલય પર બરફની મનોહર સફેદ ચાદર સાથે થશે અને હિમનો આ દુષ્કાળ અંતે પૂરો થશે. Previous Post Next Post