રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો 60મો પદવીદાન સમારોહ સંપન્ન

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો 60મો પદવીદાન સમારોહ સંપન્ન

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી આજથી બે દિવસના રાજકોટ જિલ્લાના પ્રવાસે આવ્યા છે. તેઓ આજે સવારે રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે પધાર્યા ત્યારે જિલ્લા કલેક્ટર શ્રી ડૉ. ઓમ પ્રકાશ, રાજકોટ મ્યુનિસિપલ કમિશનર શ્રી તુષાર સુમેરા, ડી.સી.પી. ટ્રાફિક શ્રી હરપાલસિંહ જાડેજા, ડી.સી.પી. ઝોન-1 સુશ્રી હેતલબેન પટેલ તથા આસિ. કલેક્ટર સુશ્રી મહેક જૈને તેમનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું.
 


રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતા તથા પ્રાથમિક, માધ્યમિક, પ્રૌઢ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ મંત્રી શ્રી ડૉ. પ્રદ્યુમન વાજાની ઉપસ્થિતિમાં આજે રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો 60મો પદવીદાન સમારોહ યોજાયો હતો. કાનજી ભુટ્ટા બારોટ રંગમંચ ખાતે ‘સ્વદેશી અપનાવો, સ્વદેશી બિરદાવો’ની થીમ સાથે આયોજિત આ દીક્ષાંત સમારોહમાં હજારો વિદ્યાર્થીઓએ પદવી પ્રાપ્ત કરી હતી.

સમારોહને સંબોધતા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ અને ગુરુજનોએ પોતાની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવી છે, જેના પરિણામે વિદ્યાર્થીઓ આજે પદવી મેળવી શક્યા છે. ભારતીય સંસ્કૃતિમાં વિદ્યાનું વિશેષ મહત્વ છે. વિદ્યાથી મોટું કોઈ દાન નથી. અજ્ઞાનના અંધકારમાંથી જ્ઞાનના પ્રકાશ તરફ શિષ્યોને દોરી જાય તે ગુરુ છે. આપણી પ્રાચીન શિક્ષણ પરંપરામાં ગુરુ માટે ‘આચાર્ય’ શબ્દ વપરાય છે, જે ફક્ત અક્ષરજ્ઞાન આપતા નથી પરંતુ શિષ્યોના સર્વાંગી વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરી તેમના જીવન નિર્માણની જવાબદારી પણ ઉપાડે છે.
 


તેમણે ઉમેર્યું હતું કે પ્રાચીન કાળમાં ભારત અનેક વિદ્યાઓથી સમૃદ્ધ હતું અને વિશ્વભરના લોકો શિક્ષા મેળવવા ભારત આવતા હતા. વર્તમાન સમયમાં ભારત ફરી એ જ પરંપરા તરફ આગળ વધી રહ્યું છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ આજે વિદેશી વિદ્યાર્થીઓ ભારત અભ્યાસ માટે આવી રહ્યા છે, જે સમગ્ર દેશ માટે ગૌરવની બાબત છે. નવી શિક્ષણ નીતિમાં કૌશલ્ય વિકાસ પર ખાસ ભાર મુકાયો છે. અભ્યાસ સાથે વિવિધ કલાઓનો સમાવેશ થતાં યુવાનો પોતાના આગવા કૌશલ્યો વિકસાવીને રોજગારીના નવા અવસર ઊભા કરી શકે છે.

રાજ્યપાલશ્રીએ પદવી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવીને જણાવ્યું હતું કે, તેમણે ખૂબ મહેનત કરીને પોતાની મનગમતી પદવી મેળવી છે. હવે તેઓ આત્મનિર્ભર ભારત અને વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવામાં સહયોગી બને તેમજ માતા-પિતા અને ગુરુજનોના જીવનમાં સહાયરૂપ બને તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.

શિક્ષણ મંત્રી શ્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, દીક્ષાંત એ અંત નહીં પરંતુ દેશ પ્રત્યે ફરજ અને જવાબદારી નિભાવવાની શરૂઆત છે. યુનિવર્સિટી વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને ઉજાગર કરે છે, જ્યારે માતા-પિતા અને ગુરુ વિદ્યાર્થીઓના જીવનમાં જ્ઞાન અને સંસ્કારનું સિંચન કરે છે. તેમણે વિદ્યાર્થીઓને ‘જોબ સિકર નહીં પરંતુ જોબ ગીવર’ બનવાની પ્રેરણા આપી અને સ્વદેશી તથા આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા સમર્પિત બનવા આહ્વાન કર્યું.
 


રાજ્યપાલશ્રીની અનુમતિ બાદ દીપ પ્રાગટ્યથી કાર્યક્રમનો આરંભ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ મહાનુભાવોને સ્મૃતિચિહ્ન આપી સન્માનિત કરવામાં આવ્યા. કુલપતિ શ્રી ડૉ. ઉત્પલભાઈ જોશીએ શાબ્દિક પ્રવચન કર્યું હતું. શિક્ષણ શાખાના ડીન શ્રી ડૉ. નીદત્ત બારોટ તથા કુલસચિવ શ્રી મનીષ ધામેચાએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. કાર્યક્રમનું સંચાલન શ્રી ડૉ. ધારાબેન જોશી અને શ્રી ડૉ. ચંદ્રાવાડીયાએ કર્યું હતું. અંતે રાષ્ટ્રગાન સાથે સમારોહ પૂર્ણ થયો હતો.

ઉલ્લેખનીય છે કે આ દીક્ષાંત સમારોહમાં કુલ 43,792 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને દાતાઓના સહયોગથી 186 વિદ્યાર્થીઓને કુલ 271 પ્રાઈઝ અપાયા હતા. તેમજ 14 વિદ્યાશાખાના 160 વિદ્યાર્થીઓને કુલ 178 ગોલ્ડ મેડલ એનાયત કરાયા હતા, જેમાં વિદ્યાર્થીનીઓને 129 અને વિદ્યાર્થીઓને 49 ગોલ્ડ મેડલ આપવામાં આવ્યા હતા.

આ સમારોહમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પ્રવીણાબેન રંગાણી, કલેક્ટર શ્રી ડૉ. ઓમ પ્રકાશ, પરીક્ષા નિયામક શ્રી મનીષ શાહ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સેનેટ સભ્યો, વિવિધ વિદ્યાશાખાઓના ડીન, પ્રોફેસર્સ, બિન-શૈક્ષણિક સ્ટાફ તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

You may also like

કાલથી રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો, ઉત્તરાયણ પવન પતંગરસિયાઓને મોજ કરાવશે

કાલથી રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો, ઉત્તરાયણ પવન પતંગરસિયાઓને મોજ કરાવશે

રોહિત–કોહલી રાજકોટમાં છેલ્લી વખત રમશે; બુધવારે બીજી વનડે પહેલા નેટ્સમાં ખેલાડીઓએ કરી જોરદાર પ્રેક્ટિસ

રોહિત–કોહલી રાજકોટમાં છેલ્લી વખત રમશે; બુધવારે બીજી વનડે પહેલા નેટ્સમાં ખેલાડીઓએ કરી જોરદાર પ્રેક્ટિસ

ઠંડી ઋતુમાં તરસ ન લાગે તો પણ પાણી જરૂરી, શિયાળામાં ઓછું પાણી પીવાથી હૃદય અને બ્લડપ્રેસર પર જોખમ

ઠંડી ઋતુમાં તરસ ન લાગે તો પણ પાણી જરૂરી, શિયાળામાં ઓછું પાણી પીવાથી હૃદય અને બ્લડપ્રેસર પર જોખમ

ટ્રમ્પની ટેરીફ ધમકીથી શેરબજારમાં ભારે અફડાતફડી, ગભરાટ વચ્ચે સેન્સેકસ 300 પોઇન્ટ તૂટ્યો મંદીમાં સરક્યું, રોકાણકારોમાં ચિંતા ફેલાઈ

ટ્રમ્પની ટેરીફ ધમકીથી શેરબજારમાં ભારે અફડાતફડી, ગભરાટ વચ્ચે સેન્સેકસ 300 પોઇન્ટ તૂટ્યો મંદીમાં સરક્યું, રોકાણકારોમાં ચિંતા ફેલાઈ