વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સ-2026 સૌરાષ્ટ્રની ઈકોનોમી માટે સુવર્ણ અવસર : રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ Jan 02, 2026 રાજકોટમાં યોજાનારી વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સ-2026 (VGRC-2026)ના આયોજનને લઈને સમગ્ર રાજકોટ તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના ઉદ્યોગકારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝે આ કોન્ફરન્સને રાજકોટ અને સૌરાષ્ટ્રની અર્થવ્યવસ્થાને નવી દિશા આપનાર સુવર્ણ અવસર ગણાવ્યો છે.રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના પ્રમુખ શ્રી વી.પી. વૈષ્ણવે જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૦૩માં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘વાઈબ્રન્ટ ગુજરાત’ની કલ્પનાને અમલમાં મૂકી હતી. આજે પહેલીવાર રીજીયોનલ વાઈબ્રન્ટ કોન્ફરન્સ રાજકોટમાં યોજાઈ રહી છે, જે સૌરાષ્ટ્ર અને કચ્છના ઉદ્યોગકારો માટે ઐતિહાસિક તક છે. આ કોન્ફરન્સ થકી રાજકોટ-સૌરાષ્ટ્રની અનેક પ્રોડક્ટ્સને વૈશ્વિક સ્તરે ઓળખ મળશે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટના ઓટોપાર્ટ્સ અને ઓટોમોબાઈલ ઉદ્યોગ, એગ્રી કોમોડિટીઝ, મોરબીનો સિરામિક ઉદ્યોગ, જામનગરના બ્રાસપાર્ટ સહિતના તમામ ક્ષેત્રોને આ કોન્ફરન્સથી મોટો ફાયદો થવાની શક્યતા છે. ખાસ કરીને એમ.એસ.એમ.ઈ. સેક્ટરને મોટો વેગ મળશે. રાજકોટ જિલ્લામાં અંદાજે 2.29 લાખ એમ.એસ.એમ.ઈ. રજિસ્ટર્ડ છે અને આ ક્ષેત્રના વિકાસ પર ચેમ્બર દ્વારા વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે.શ્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે, હાલમાં રાજકોટ-સૌરાષ્ટ્રના અનેક ઉત્પાદકોની પ્રોડક્ટ્સ વચેટિયા મારફતે વિદેશ નિકાસ થાય છે, જેના કારણે ઉદ્યોગકારોને પૂરતો ફાયદો મળતો નથી. VGRC-2026 દરમિયાન વિદેશી પ્રતિનિધિઓ (Foreign Delegates) સાથે સીધો સંપર્ક સાધવાની તક મળશે, જેથી ઉદ્યોગકારો સીધી નિકાસ કરી શકશે. આથી ઉદ્યોગકારોને વધુ લાભ મળશે તેમજ દેશના વિદેશી મુદ્રા ભંડારને પણ ફાયદો થશે. સાથે સાથે નવા ધંધા અને રોજગારીની તકો વધશે.ચેમ્બર ઓફ કોમર્સના માનદ સચિવ અને ઉદ્યોગકાર શ્રી નૌતમ બારસિયાએ જણાવ્યું હતું કે, VGRC-2026ને લઈને વેપારીઓ અને ઉદ્યોગકારોમાં અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ચેમ્બરના 2000થી વધુ સભ્યોને રજિસ્ટ્રેશન લિંક આપવામાં આવી છે અને વધુમાં વધુ ઉદ્યોગકારો આ કોન્ફરન્સમાં ભાગ લે તે માટે અપીલ કરવામાં આવી છે. જો કોઈ સભ્યને રજિસ્ટ્રેશન પ્રક્રિયામાં તકલીફ આવે તો ચેમ્બર દ્વારા સંપૂર્ણ માર્ગદર્શન અને સહાય આપવામાં આવી રહી છે.તેમણે ઉમેર્યું હતું કે, VGRC-2026 બહારથી આવનારી મોટી કંપનીઓ, બાયર્સ અને સ્થાનિક ઉદ્યોગકારો વચ્ચે સેતુરૂપ બનશે. આ કોન્ફરન્સથી સર્વિસ ઈન્ડસ્ટ્રીઝને પણ વિશેષ લાભ મળશે અને સમગ્ર સ્થાનિક અર્થતંત્રમાં નોંધપાત્ર ઉછાળો આવશે. વેપાર-ધંધામાં વૃદ્ધિ થશે અને બજારમાં નાણાંની આવનજાવન વધતાં બજારમાં તેજી આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. Previous Post Next Post