રાજકોટ: હિરાસર એરપોર્ટમાં BSNL ટીમો મોબાઈલ કવરેજ સુધારે; કાલ સુધી તમામ કામગીરી પૂર્ણ થશે Nov 26, 2025 રાજકોટના હિરાસર ખાતે આવેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ વિશે લાંબા સમયથી મુસાફરો દ્વારા ઉઠાવવામાં આવતી અસુવિધાઓનો મુદ્દો અંતે ગંભીરતાથી લેવામાં આવ્યો છે. કરોડો રૂપિયાનો ખર્ચ કરીને બનેલા આ આધુનિક એરપોર્ટ પર બે વર્ષથી મોબાઇલ નેટવર્ક, ખાણીપીણીના સ્ટોલ, પીવાના પાણી અને અન્ય સુવિધાઓ સતત અધૂરી હોવાના કારણે મુસાફરો સોશિયલ મીડિયા પર વારંવાર વીડિયો અને પોસ્ટ્સ દ્વારા નારાજગી વ્યક્ત કરતા હતા. વડાપ્રધાનના સ્વપ્ન પ્રોજેક્ટ હેઠળ બન્યા છતાં સુવિધાઓના અભાવને કારણે એરપોર્ટની છબી પર નકારાત્મક અસર પડી રહી હતી. આખરે એરપોર્ટ ઓથોરિટી જાગી છે અને જરૂરી સુવિધાઓને તાત્કાલિક અસરથી સુધારવાના પ્રયાસો શરૂ કરી દીધા છે.મુખ્ય સમસ્યા મોબાઇલ કવરેજની હતી. એરપોર્ટના અંદરના ભાગોમાં નેટવર્ક લગભગ નહીં જેટલું હતું, જેના કારણે મુસાફરોને કોલ, ઈન્ટરનેટ અને અન્ય કનેક્ટિવિટી સેવાઓનો ભારે તકલીફ થતી હતી. આજે BSNLની ખાસ ટીમો એરપોર્ટ પર પહોંચીને મોબાઇલ કવરેજની સમસ્યાનો ઉકેલ લાવવા જરૂરી તકનીકી કામગીરી શરૂ કરી છે. આ કામગીરી કાલે સુધીમાં પૂર્ણ થઈ જશે અને એરપોર્ટ ટેર્મિનલની અંદર મજબૂત મોબાઇલ સિગ્નલ ઉપલબ્ધ થઈ જશે તેવી સંભાવના વ્યક્ત કરાઈ છે.ગત 2 જુલાઈ, 2025થી એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગમાં વાઈફાઈ સેવા શરૂ થઈ હતી. અગાઉ વાઈફાઈ એક્સેસ સમય માત્ર 30 મિનિટનો હતો. મુસાફરોની માંગણી અને ફરિયાદોને ધ્યાનમાં રાખીને વાઈફાઈ ઉપયોગ સમય વધારીને 45 મિનિટ કરી દેવાયો છે. આથી મુસાફરો માટે ઇન્ટરનેટ ઍક્સેસ હવે વધુ સરળ અને સુવિધાજનક બનશે.એરપોર્ટની એક મોટા પડકારરૂપ સમસ્યા ટર્મિનલ બિલ્ડિંગની અંદર નેટવર્ક મજબૂત બનાવવા માટેના ઇન-બિલ્ડિંગ સોલ્યુશન (IBS) ટેન્ડરો રહી હતી. અગાઉ જાહેર કરાયેલા ટેન્ડરમાં કોઈ પણ કંપનીએ ભાગ લીધો નહોતો, જેના કારણે તે ટેન્ડર નિષ્ફળ ગયું હતું. હવે આ ટેકનિકલ કામગીરીને ઝડપથી પૂર્ણ કરવા ફરીથી ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.એરપોર્ટના અંદર ખાણીપીણીના સ્ટોલ ન હોવાની મુસાફરો ઘણીવાર ફરિયાદ કરતા હતા. લાંબા સમયથી રાહ જોવાતી આ સુવિધા હવે તાત્કાલિક ધોરણે શરૂ થવા જઈ રહી છે. એક અઠવાડિયામાં નવું નેસ કાફે આઉટલેટ ખુલશે અને 10 ડિસેમ્બર સુધીમાં સ્ટારબક્સનું આઉટલેટ પણ કાર્યરત થઈ જશે. મુસાફરોને ગુણવત્તાયુક્ત ખોરાક અને પીણાંની ઉપલબ્ધતા મળશે, જે અગાઉ અત્યંત મર્યાદિત હતી.અત્યાર સુધી આ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એક પણ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ થઈ નથી. આવતીકાલે, તા. 27 નવેમ્બરે, જામનગર કસ્ટમ વિભાગની એક વિશેષ ટીમ એરપોર્ટની મુલાકાત લેશે. તેઓ ઇન્ટરનેશનલ ઓપરેશન શરૂ કરવા માટે કઈ સુવિધાઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જરૂરી છે તેની વિગતવાર સમીક્ષા કરશે. આ મુલાકાત પછી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટોને મંજૂરી આપવા માટેની પ્રક્રિયા વધુ સ્પષ્ટ બનશે.એરપોર્ટ ડિરેક્ટર દિગંત બોરાહ દ્વારા સુવિધાઓમાં સુધારો લાવવા માટે વ્યકિતગત રસ દાખવવામાં આવી રહ્યો છે. તેમણે ટેર્મિનલના અંદરના ભાગોમાં નેટવર્ક, વાઈફાઈ અને અન્ય સુવિધાઓને મજબૂત બનાવવા માટે તાત્કાલિક પગલાં ભર્યા છે. મુસાફરોને સુવિધાઓ વધુ સરળતાથી મળે, એરપોર્ટની છબી સુધરે અને ભાવિ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટો માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસિત થાય એ દિશામાં ઝડપથી કામગીરી આગળ ધપાવવામાં આવી રહી છે.મોટા ખર્ચે બનેલા આ મહત્વપૂર્ણ ઢાંચાને યોગ્ય રૂપે કાર્યરત બનાવવા માટે એરપોર્ટ ઓથોરિટી હવે સક્રિય બની છે. સુવિધાઓ સુધરતા એરપોર્ટની કામગીરીમાં ઝડપ આવશે અને મુસાફરોનો અનુભવ પણ વધુ સુખદ બનશે તેવી આશા વ્યક્ત થઈ રહી છે. Previous Post Next Post