બાંગ્લાદેશમાં યુનુસ સરકાર સામે ભડક્યો વિદ્યાર્થી આંદોલન, ઠેર-ઠેર આગજની અને વિરોધ પ્રદર્શન Nov 12, 2025 બાંગ્લાદેશમાં સરકારે લીધેલા તાજેતરના નીતિગત નિર્ણયે સમગ્ર દેશમાં ભારે ઉથલપાથલ મચાવી દીધી છે. પ્રાઇમરી સ્કૂલોમાં સંગીત અને શારીરિક શિક્ષણ (પીટી)ના શિક્ષકોની નિમણૂક રદ કરવાના નિર્ણય બાદ વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં ભારે અસંતોષ ફાટી નીકળ્યો છે. હવે આ આંદોલન સમગ્ર દેશમાં ફેલાઈ ગયું છે અને અનેક શહેરોમાં ઠેર-ઠેર આગજનીની ઘટનાઓ બની રહી છે.વિદ્યાર્થીઓએ આ આંદોલનને **"સંસ્કૃતિ બચાવો આંદોલન"**નું સ્વરૂપ આપ્યું છે. તેમનું કહેવું છે કે સરકારએ ઇસ્લામિક કટ્ટરવાદી તત્વોના દબાણ હેઠળ આ નિર્ણય લીધો છે. આ તત્વોએ સંગીત અને વ્યાયામ જેવા વિષયો પર પ્રતિબંધની માંગણી કરી હતી. વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે યુનુસ સરકાર બાંગ્લાદેશની સંસ્કૃતિ અને રાષ્ટ્રીય ઓળખને નષ્ટ કરવાની દિશામાં આગળ વધી રહી છે.ઢાકા યુનિવર્સિટી સહિત અનેક અગ્રણી શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ મળીને પ્રતિકાત્મક રીતે “અપરાજેય બાંગ્લા” પ્રતિમા નીચે રાષ્ટ્રીય ગીતો અને ૧૯૭૧ના મુક્તિ સંગ્રામના ગીતો ગાઈ વિરોધ નોંધાવ્યો હતો. તેમના સૂત્રોચ્ચારમાં સ્પષ્ટ સંદેશો આપ્યો કે “સંગીત આપણા હૃદયમાં વસે છે, તેને કોઈ દૂર કરી શકશે નહીં.”આ આંદોલન હવે ચટગાંવ, રાજશાહી, જગન્નાથ અને ઢાકા સુધી ફેલાઈ ગયું છે. ખાસ કરીને આર્ટ્સ અને હ્યુમેનિટીઝ વિભાગના વિદ્યાર્થીઓ આ લડતનું નેતૃત્વ કરી રહ્યા છે. તેઓની મુખ્ય માંગ છે કે સ્કૂલોમાંથી સંગીત અને પીટી શિક્ષકોની નિમણૂક ફરીથી બહાલ કરવામાં આવે.ઢાકા યુનિવર્સિટીના થિયેટર પ્રોફેસર ઇસરાફિલ શાહીએ વિદ્યાર્થીઓને સંબોધિત કરતાં કહ્યું કે, “સંસ્કૃતિ ક્યારેય ધર્મના વિરોધમાં નથી. તે તો આપણા અસ્તિત્વનું પ્રતિબિંબ છે. જો શિક્ષણમાંથી કળા દૂર કરી દેવામાં આવે તો તે ખોખલું બની જાય.” સંગીત શિક્ષક અજીજુર રહેમાને પણ કહ્યું કે કળા જ સભ્યતાનો પાયો છે અને તેને દબાવવાનો અર્થ રાષ્ટ્રની ઓળખને નષ્ટ કરવો છે.બીજી તરફ, સરકારને સમર્થન આપતા ઇસ્લામિક પક્ષો ધાર્મિક શિક્ષકોની નિમણૂકની માગણી કરી રહ્યા છે. સરકાર તરફથી હજી સુધી આંદોલનને લઈને કોઈ નરમાઈ દેખાઈ નથી.આ વચ્ચે બાંગ્લાદેશમાં આગામી વર્ષે યોજાનારી ચૂંટણીને લઈને રાજકીય માહોલ પણ ગરમાયો છે. સૌથી મોટી ઇસ્લામિક પાર્ટી જમાત-એ-ઇસ્લામીએ ફેબ્રુઆરીમાં ચૂંટણી યોજવાનો વિરોધ કર્યો છે અને રેફરેન્ડમની માંગ કરી છે. તેમનું કહેવું છે કે રેફરેન્ડમ વિના ચૂંટણી યોજવી લોકશાહી વિરુદ્ધ છે.સાંસ્કૃતિક સ્વતંત્રતા અને રાજકીય તણાવ વચ્ચેનું આ સંઘર્ષ હવે બાંગ્લાદેશના ભવિષ્ય માટે નિર્ણાયક બની શકે છે. Previous Post Next Post