રક્ષાબંધન પહેલાં ગુજરાતને 101 નવી એસ.ટી. બસોનું લોકાર્પણ અને 6500 એક્સ્ટ્રા ટ્રીપ શરૂ Aug 26, 2026 અમદાવાદ,ગાંધીનગરથી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ લીલીઝંડી આપી બસોને કર્યું પ્રસ્થાનરાજ્ય સરકાર અને એસટી નિગમ દ્વારા મુસાફરોની સુવિધા માટે અત્યારથી જ વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે. રક્ષાબંધન પર્વે બહેનો અને પરિવારજનો પોતાના વતન કે ભાઈના ઘરે સરળતાથી પહોંચી શકે તે માટે ગુજરાત સરકાર દ્વારા રાજ્યવાસીઓને ૧૦૧ નવી એસટી બસોની ભેટ આપવામાં આવી છે.ગાંધીનગર ખાતે યોજાયેલા એક વિશેષ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા આ તમામ ૧૦૧ નવીન એસટી બસોને લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ નવી બસોના કાફલામાં સુપર એક્સપ્રેસ, મિડી તેમજ આરામદાયક સ્લીપર કોચ બસોનો પણ સમાવેશ થાય છે, જેના કારણે લાંબા અંતરની મુસાફરી કરતા મુસાફરોને પણ ભારે રાહત મળશે. લોકાર્પણ સમારોહ દરમિયાન એસટી નિગમની મહિલા કંડક્ટરોએ નાયબ મુખ્યમંત્રીને રાખડી બાંધીને રક્ષાબંધનની આગોતરી ઉજવણી પણ કરી હતી.તહેવાર દરમિયાન મુસાફરોની ભીડને પહોંચી વળવા 30 ઓગસ્ટ સુધી વિશેષ સુવિધાતહેવાર દરમિયાન એસટી બસ સ્ટેશનો પર થતી ભારે ભીડ અને મુસાફરોની લાંબી કતારોને ધ્યાનમાં રાખીને એસટી નિગમે વિશેષ વ્યવસ્થાઓ ગોઠવી છે. રાજ્યભરમાં તા. ૨૬ ઓગસ્ટથી ૩૦ ઓગસ્ટ દરમિયાન આશરે ૬,૫૦૦ જેટલી વધારાની એસટી બસ ટ્રિપનું સંચાલન કરવામાં આવશે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિતના મુખ્ય શહેરો તેમજ વિવિધ પ્રવાસન અને તીર્થસ્થળોના રૂટ પર આ વધારાની બસો દોડાવવામાં આવશે. ગત વર્ષે પણ તહેવાર દરમિયાન ૬,૪૦૦થી વધુ ટ્રીપ દોડાવાઈ હતી, જેનો અંદાજે ૩.૩૩ લાખ જેટલા મુસાફરોએ લાભ લીધો હતો. આ વર્ષે નવી બસોના ઉમેરાવાથી અને એક્સ્ટ્રા ટ્રીપ શરૂ થવાથી મુસાફરોની સફર વધુ સરળ, સુરક્ષિત અને સુવિધાજનક બનશે. Previous Post Next Post