નર્મદા કોર્ટની સજા સામે સ્ટે લેવા ચૈતર વસાવા હાઈકોર્ટ પહોંચ્યા Aug 03, 2026 અમદાવાદ,નીચલી કોર્ટના ચુકાદાને પડકારતી અરજી પર આગામી બુધવારે હાથ ધરાશે સુનાવણીઆમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા નર્મદા જિલ્લાની સેશન્સ કોર્ટના ચુકાદાને ગુજરાત હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો છે. ફોરેસ્ટ ઓફિસર સાથેની બબાલ, મારામારી અને ફાયરિંગના ચર્ચિત કેસમાં નીચલી કોર્ટે ફટકારેલી 7 વર્ષની સજા સામે સ્ટે મેળવવા માટે હાઈકોર્ટમાં જામીન અને સજા સ્થગિત કરવાની અરજી દાખલ કરવામાં આવી છે. આ કેસની આગામી સુનાવણી આગામી 5મી ઓગસ્ટે હાથ ધરવામાં આવનાર છે, જેના પર રાજકીય અને કાનૂની વર્તુળોની મીટ નમી છે.આ સમગ્ર પ્રકરણની શરૂઆત નર્મદા જિલ્લાના ડેડિયાપાડા વિસ્તારમાં વન વિભાગની જમીન પર કપાસના પાકને હટાવવા બાબતે થઈ હતી. આ કેસમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમના સમર્થકો દ્વારા વન વિભાગના કર્મચારીઓ સાથે ઉગ્ર બોલાચાલી કરી મારામારી કરવામાં આવી હતી તથા હવામાં ફાયરિંગ પણ કરાયું હતું. આ કેસમાં લાંબી કાનૂની કાર્યવાહી બાદ રાજપીપળાની સેશન્સ કોર્ટે ચૈતર વસાવા સહિતના આરોપીઓને વિવિધ કલમો હેઠળ દોષિત ઠેરવીને 7 વર્ષની સજા ફટકારી હતી. નીચલી કોર્ટના આ કડક આદેશ બાદ ધારાસભ્ય પદ પર પણ સંકટના વાદળો ઘેરાયા છે, જેને લઈને હવે હાઈકોર્ટના દરવાજા ખટખટાવાયા છે.ચૈતર વસાવા અને તેમના બચાવ પક્ષના વકીલો દ્વારા ઉપલી કોર્ટમાં દલીલ કરવામાં આવી છે કે આ કેસમાં તેમને રાજકીય કિન્નાખોરીના કારણે સંડોવવામાં આવ્યા છે અને ટ્રાયલ દરમિયાન પણ તમામ શરતોનું પાલન કરવામાં આવ્યું હતું. અગાઉ આ જ પ્રકરણ સાથે જોડાયેલા અન્ય સહ-આરોપીઓને હાઈકોર્ટે રાહત આપી જામીન મંજૂર કર્યા છે. આગામી 5મી ઓગસ્ટે યોજાનારી સુનાવણીમાં હાઈકોર્ટ સજા પર સ્ટે મૂકે છે કે કેમ, તે જોવું અત્યંત રસપ્રદ રહેશે. જો કોર્ટ દ્વારા રાહત આપવામાં નહીં આવે તો તેમની મુશ્કેલીઓમાં મોટો વધારો થઈ શકે છે. Previous Post Next Post