બુધવારથી રાજકોટમાં 'વિરાસતથી વિકાસ' પાંચ દિવસીય લોકમેળાનો ભવ્ય પ્રારંભ Aug 31, 2026 રાજકોટ, ૧૪ સ્થળોએ ફ્રી પાર્કિંગ અને ટ્રાફિક વ્યવસ્થાના નવા નિયમો જાહેરરાજકોટના ઐતિહાસિક રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આગામી બુધવારથી શરૂ થઈ રહેલા પરંપરાગત જન્માષ્ટમીના લોકમેળાને આ વર્ષે 'વિરાસતથી વિકાસ લોકમેળો' નામ આપવામાં આવ્યું છે. મેળાની તમામ તૈયારીઓને વહીવટી તંત્ર દ્વારા આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે, ત્યારે લાખોની સંખ્યામાં ઉમટનારા મેળાના રસિયાઓ માટે સુરક્ષા અને ટ્રાફિક સંચાલનને લઈને વિશેષ આયોજનો કરવામાં આવ્યા છે.મેળા દરમિયાન ટ્રાફિકની સમસ્યા સર્જાય નહીં તે માટે પોલીસ કમિશનર દ્વારા કડક પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા છે. રેસકોર્સ મેળાના મેદાનને જોડતા મુખ્ય ૭ રાજમાર્ગો અને રિંગ રોડ પર તમામ પ્રકારના વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે. જેમાં જિલ્લા પંચાયત ચોકથી બહુમાળી ભવન, પોલીસ હેડક્વાર્ટર સર્કલ, જૂના એન.સી.સી. ચોક અને અંડરબ્રિજ સુધીનો રિંગ રોડ વાહનવ્યવહાર માટે સંપૂર્ણ બંધ રહેશે. આ ઉપરાંત, મેળાના રિંગ રોડ ફરતે તમામ પ્રકારના લારી-ગલ્લા અને પાથરણા રાખવા પર પણ સખત મનાઈ ફરમાવવામાં આવી છે.રેસકોર્સ રિંગ રોડ ફરતે વાહનો માટે 'નો એન્ટ્રી' અને 'નો પાર્કિંગ' જાહેરમેળામાં આવતા મુલાકાતીઓ પોતાના વાહનો સુરક્ષિત રીતે પાર્ક કરી શકે તે માટે વહીવટી તંત્ર દ્વારા શહેરભરમાં કુલ ૧૪ જેટલા સ્થળોએ ફ્રી પાર્કિંગની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. જેમાં કિસાનપરા ચોક (સાઇકલ શેરિંગ પ્લોટ), નેહરુ ઉદ્યાન, બહુમાળી ભવન સામે, ચૌધરી હાઈસ્કૂલ ગ્રાઉન્ડ, નવી કલેક્ટર કચેરી સામે, આયકર ભવન પાછળનો પ્લોટ, શારદાબાગ પાસેનું ગ્રાઉન્ડ અને ધર્મેન્દ્રસિંહજી કોલેજ ગ્રાઉન્ડ સહિતના મુખ્ય સ્થળોનો સમાવેશ થાય છે. તંત્ર દ્વારા નાગરિકોને મેળામાં જતા પહેલાં ચાલુ-બંધ રહેવા અંગેના આ રસ્તાઓની યાદી અગાઉથી ચકાસી લેવા અપીલ કરવામાં આવી છે. Previous Post Next Post