સીએ અને બેંક અધિકારીઓની મિલીભગતથી ચાલતું હતું કૌભાંડ; ૩૯૪ કંપનીઓ તપાસ હેઠળ Aug 19, 2026 ગાંધીધામ,કચ્છમાં બેંકિંગ ચેનલ દ્વારા કરોડોના હવાલાનો પર્દાફાશકચ્છના વ્યાપારી કેન્દ્રો ગણાતા ગાંધીધામ અને મુન્દ્રા ખાતે આવકવેરા વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા મેગા સર્ચ ઓપરેશને રાજ્યના વ્યાપારી જગતમાં ખળભળાટ મચાવી દીધો છે. આ તપાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે કે, હવાલાના વ્યવહાર માટે હવે આંગડિયા પેઢીઓને બદલે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અને બેંકિંગ વ્યવસ્થાઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો.આવકવેરા વિભાગની તપાસમાં જાણવા મળ્યું છે કે, કરચોરી કરવા માટે સેલ (બોગસ) કંપનીઓનું મોટું નેટવર્ક ઉભું કરવામાં આવ્યું હતું. દિલ્હી, સુરત અને વડોદરાથી આવેલી ઇન્કમટેક્સની વિશેષ ટીમોએ તપાસ દરમિયાન વિદેશમાં નાણાં મોકલવા માટે 'રેમિટન્સ' અને 'ફોર્મ ૧૫ સીબી'નો ગેરકાયદેસર અને શંકાસ્પદ ઉપયોગ થતો હોવાનું પકડી પાડ્યું છે. આ પદ્ધતિ દ્વારા કરોડો રૂપિયાની રકમ દેશની બહાર મોકલીને મોટા પાયે કરચોરી કરવામાં આવી રહી હતી.આ દરોડાના પગલે કચ્છના વ્યાપારી વર્ગમાં દોડધામ મચી ગઈ છે. હાલમાં આવકવેરા વિભાગે કુલ ૩૯૪ કંપનીઓ અને ૩૬ જેટલા મોટા વ્યવસાયકારોને તપાસના દાયરામાં લીધા છે. પ્રાથમિક તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે, આ આખું કૌભાંડ ખૂબ જ વ્યવસ્થિત રીતે બેંકિંગ ચેનલોનો ઉપયોગ કરીને પાર પાડવામાં આવતું હતું, જેમાં નિષ્ણાતોની સલાહ લેવામાં આવતી હતી.આગામી દિવસોમાં તપાસનો વ્યાપ વધતા અનેક મોટા નામ સામે આવવાની શક્યતા સેવાઈ રહી છે, જેનાથી કચ્છના આર્થિક જગતમાં મોટો ભૂકંપ આવવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. Previous Post Next Post