બિહારમાં સ્પીકર પદને લઈને ભાજપ–JDU વચ્ચે તીવ્ર ખેંચતાણ, અંતિમ નિર્ણય હવે દિલ્હી બેઠકમાં થશે Nov 18, 2025 બિહારમાં નવી એનડીએ સરકારની રચના પહેલા મંત્રીમંડળના સ્વરૂપ અને પદોની ફાળવણીને લઈને રાજકીય હલચલ તેજ બની છે. ખાસ કરીને સ્પીકરના પદને લઈને ભાજપ અને જેડીયુ વચ્ચે ખેંચતાણ સર્જાઈ છે. બંને પક્ષો આ મહત્વપૂર્ણ પદ માટે પોતાનો દાવો મજબૂત રીતે રજૂ કરી રહ્યા છે, પરંતુ સૂત્રો મુજબ ભાજપ આ પદ કોઈપણ કિંમતે જાળવી રાખવા ઇચ્છે છે.પાછલા વિધાનસભા કાર્યકાળ દરમિયાન સ્પીકર તરીકે ભાજપના નંદ કિશોર યાદવ અને ડેપ્યુટી સ્પીકર તરીકે જેડીયુના નરેન્દ્ર નારાયણ યાદવે કામગીરી સંભાળી હતી. હવે ફરીથી આ પદ માટે બંને વચ્ચે તીવ્ર દાવપેચ ચાલી રહ્યા છે. મંગળવારે નવી દિલ્હીમાં મુખ્યમંત્રી નીતિશ કુમારની જેડીયુ અને ભાજપ વચ્ચે સ્પીકર પદ તથા મુખ્ય મંત્રાલયોની ફાળવણી અંગે ઊંચીસ્તરીય બેઠક યોજાવાની છે.સ્પીકર સિવાય અન્ય મુખ્ય મંત્રાલયોને લઈને પણ ચર્ચા અને મતભેદો ઉભા થયા છે. ભાજપના નેતાઓએ પટણામાં મોડી રાત સુધી રણનીતિ ઘડવાની બેઠક કરી છે જ્યારે જેડીયુના નેતાઓ સંજય કુમાર ઝા અને લાલન સિંહ દિલ્હીમાં વાટાઘાટોમાં ભાગ લેશે એવી શક્યતા છે.બિહારમાં નવી એનડીએ સરકારની રચનાના અંતિમ તબક્કા તરફ આગળ વધતાં 19મી નવેમ્બરે બંને પક્ષોની અલગ-અલગ વિધાનસભા બેઠકો અને ત્યારબાદ એનડીએની સંયુક્ત બેઠક યોજાશે. આખરે 20મી નવેમ્બરે નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ પટણાના ગાંધી મેદાનમાં યોજાશે. Previous Post Next Post