દિલ્લી બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ એલર્ટ, 30 વર્ષના રાષ્ટ્રવિરોધી તત્વોની કરમકુંડળી 100 કલાકમાં તૈયાર કરવાનો આદેશ Nov 18, 2025 દિલ્લીમાં થયેલા કાર બ્લાસ્ટ બાદ દેશભરમાં સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ છે ત્યારે ગુજરાત પોલીસે પણ રાજ્યભરમાં એલર્ટ જાહેર કર્યો છે. રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે તમામ પોલીસ કમિશ્નર અને જિલ્લા પોલીસ વડાઓ સાથે વિડીયો કોન્ફરન્સ કરી છેલ્લા 30 વર્ષમાં રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ કરનાર તત્વોની ઓળખ કરી તેમની સંપૂર્ણ કરમકુંડળી 100 કલાકમાં તૈયાર કરવાનો આદેશ આપ્યો છે.આ પ્રક્રિયામાં સંબંધિત વ્યક્તિઓનું હાલનું સરનામું, પરિવારની વિગત, રોજગારની માહિતી, આર્થિક સ્ત્રોતો અને તેમની સમગ્ર હિલચાલની સઘન તપાસ સામેલ રહેશે. પોલીસ દ્વારા દરેકનું ડોઝિયર તૈયાર કરીને તેમની પર સતત નજર રાખવા સૂચના આપવામાં આવી છે.આ આદેશ તે પરિપૃષ્ઠમાં આપવામાં આવ્યો છે કે થોડા દિવસ પહેલા ગુજરાત ATSએ ત્રણ રાષ્ટ્રવિરોધી તત્વોને હથિયારો સાથે ઝડપી પાડ્યા હતા. ત્યારબાદ ફરીદાબાદમાં પણ કાર્યવાહી હાથ ધરાઈ હતી, અને તેના બીજા જ દિવસે દિલ્લીમાં આતંકીઓ દ્વારા કાર બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો.ડીજીપીની સૂચના બાદ રાજ્યભરની પોલીસ તંત્ર તાત્કાલિક હરકતમાં આવી ગયું છે. નકલી ચલણી નોટ, એનડીપીએસ, આર્મ્સ એક્ટ જેવા ગુનામાં સંડોવાયેલા અને રાષ્ટ્રવિરોધી ઇતિહાસ ધરાવતા લોકોના રહેઠાણે પોલીસ પહોંચી તપાસ શરૂ કરી છે. આ સમગ્ર અભિયાનનો હેતુ સંભવિત ખતરા અને ગુનાહિત હિલચાલને સમયસર ઓળખી રાજ્યની સુરક્ષામાં મજબૂતી લાવવાનો છે. Previous Post Next Post