ભરૂચની સાયખા GIDCમાં વિકરાળ આગ, બોઈલર બ્લાસ્ટમાં 2 શ્રમિકોના મોત અને 18થી વધુ ઇજાગ્રસ્ત Nov 12, 2025 ભરૂચ જિલ્લાના સાયખા જીઆઈડીસી ખાતે આવેલી વિશાલ્યકરની ફાર્માકેમ કંપનીમાં મંગળવારની રાત્રે એક ભયાનક દુર્ઘટના બની હતી. કંપનીના બોઈલરમાં અચાનક વિસ્ફોટ થતાં આખી ફેક્ટરીમાં આગ ફાટી નીકળી હતી. થોડા જ પળોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ ભીષણ દુર્ઘટનામાં બે શ્રમિકોના કરૂણ મોત થયા છે અને અઢારથી વધુ કામદારો ઈજાગ્રસ્ત થયા છે.પ્રાપ્ત માહિતી અનુસાર રાત્રે થયેલો વિસ્ફોટ એટલો તીવ્ર હતો કે બ્લાસ્ટનો અવાજ દૂર સુધી સંભળાયો હતો. જેના કારણે આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ સર્જાયો હતો. વિસ્ફોટની અસર નજીકની 4 થી 5 અન્ય કંપનીઓના સ્ટ્રક્ચર પર પણ પડી, જેને કારણે કેટલીક ફેક્ટરીઓના ભાગો તૂટી પડ્યા હતા.ફાયર વિભાગને જાણ થતાં જ ફાયર ટુકડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી અને ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી. બાદમાં કુલિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેથી ફરી આગ ન ભભૂકે.આ દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત શ્રમિકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડી સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. કેટલાક શ્રમિકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.આગની ગંભીરતાને જોતા વહીવટી તંત્ર અને મામલતદારની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.બંને મૃત શ્રમિકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. પોસ્ટમોર્ટમ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મૃતદેહો તેમના પરિવારજનોને સોંપવામાં આવશે.આ દુર્ઘટનાએ સમગ્ર સાયખા ઉદ્યોગ વિસ્તારને હચમચાવી દીધો છે. ઉદ્યોગપતિઓ અને શ્રમિકોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે અને સુરક્ષા વ્યવસ્થાને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. Previous Post Next Post