અમદાવાદ–મુંબઈ નેશનલ હાઈવે પર વડોદરા નજીક ગમખ્વાર અકસ્માત, વાઘોડિયા બ્રિજ પર અજાણ્યા વાહનની ટક્કરે બે મિત્રોના મોત

અમદાવાદ–મુંબઈ નેશનલ હાઈવે પર વડોદરા નજીક ગમખ્વાર અકસ્માત, વાઘોડિયા બ્રિજ પર અજાણ્યા વાહનની ટક્કરે બે મિત્રોના મોત

વડોદરા શહેર નજીક આવેલા અમદાવાદ–મુંબઈ નેશનલ હાઈવે પર ફરી એક વખત ગમખ્વાર અકસ્માતે માનવજીવનની કિંમત ઊજાગર કરી છે. વાઘોડિયા ચોકડીના બ્રિજ પર અજાણ્યા વાહનની ટક્કરે બે મિત્રોના કરુણ મોત થયા છે. આ હૃદયદ્રાવક અકસ્માતમાં એક યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે બીજા બાઈકસવારને ગંભીર ઈજાઓ પહોંચતા સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું પણ નિધન થયું હતું. અકસ્માત બાદ હાઈવે પર લોહીના ખાબોચિયા અને માસના લોચા જોવા મળતા દ્રશ્યો ભયાનક બની રહ્યા હતા.
 

અજાણ્યા વાહનની ટક્કરે બાઈક સવાર ફંગોળાયા

પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરા શહેરના સરદાર એસ્ટેટ વિસ્તારમાં રહેતા દિલીપભાઈ ઝવેરભાઈ વસાવા અને ગંભીરભાઈ ભરતભાઈ નાયક બંને મિત્ર સરદાર એસ્ટેટ ખાતે ભેગા થયા હતા. બંને ત્યાંથી બાઈક પર શાકભાજી લેવા માટે નીકળ્યા હતા. આ દરમિયાન અમદાવાદ–મુંબઈ નેશનલ હાઈવે પર આવેલા વાઘોડિયા ચોકડીના બ્રિજ પર અજાણ્યા ઝડપી વાહને તેમની બાઈકને જોરદાર ટક્કર મારી હતી.

ટક્કર એટલી ભયાનક હતી કે બંને મિત્રો બાઈક પરથી ફંગોળાઈને રોડ પર પટકાયા હતા. અકસ્માત બાદ દિલીપભાઈનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે ગંભીરભાઈને ગંભીર હાલતમાં તાત્કાલિક સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન ડોક્ટરો તેમને બચાવી શક્યા નહોતા.
 

ઘટનાસ્થળે ટ્રાફિકજામ અને અફરાતફરી

અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકો ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. હાઈવે પર ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો અને થોડા સમય માટે વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. બનાવની જાણ થતાં કપુરાઈ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી કાર્યવાહી શરૂ કરી હતી અને અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
 

પિતાના મોતથી પાંચ સંતાનો નોંધારા બન્યા

આ અકસ્માતમાં જીવ ગુમાવનાર ગંભીરભાઈ નાયકના પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. ગંભીરભાઈ પોતાની પત્ની સાથે રહેતા હતા અને તેમને ત્રણ દીકરીઓ તથા બે દીકરા છે. તેઓ આઇસર ટેમ્પોના ડ્રાઈવર તરીકે નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમના અચાનક મોતથી પરિવાર પર આર્થિક અને માનસિક સંકટ તૂટી પડ્યું છે અને પાંચ નિર્દોષ સંતાનો નોંધારા બની ગયા છે.

બીજી તરફ દિલીપભાઈ વસાવાના છૂટાછેડા થયા હતા. તેઓ સરદાર એસ્ટેટની ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા. તેમના પિતા પણ એ જ કંપનીમાં કાર્યરત હતા. પુત્રના અચાનક મોતથી પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.
 

સંબંધી અને પાડોશીઓએ વ્યક્ત કર્યો શોક

દિલીપભાઈના સંબંધી વિનોદભાઈએ જણાવ્યું હતું કે, “દિલીપને અકસ્માત થયો હોવાનો ફોન આવતા જ હું દોડી ગયો હતો, પરંતુ ત્યાં પહોંચતાં જ ખબર પડી કે તેનું મોત થઈ ગયું છે. બીજા મિત્ર ગંભીરભાઈને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, પરંતુ તેઓ પણ બચી શક્યા નહીં.”

મૃતક ગંભીરભાઈના પાડોશી કમલેશભાઈએ જણાવ્યું હતું કે, “બંને મિત્રો માત્ર શાકભાજી લેવા માટે ઘરેથી નીકળ્યા હતા. કોઈને કલ્પના પણ નહોતી કે આ સફર તેમની છેલ્લી સાબિત થશે. ગંભીરભાઈના પાંચ સંતાનો હવે પિતાવિહોણા બની ગયા છે.”
 

માર્ગ સલામતી પર ફરી પ્રશ્ન

આ ગમખ્વાર અકસ્માતે ફરી એકવાર નેશનલ હાઈવે પર વધતા અકસ્માતો અને અજાણ્યા વાહનચાલકોની બેદરકારી પર પ્રશ્ન ઉઠાવ્યા છે. સ્થાનિક લોકો દ્વારા હાઈવે પર સ્પીડ કંટ્રોલ, સીસીટીવી કેમેરા અને પેટ્રોલિંગ વધારવાની માંગ કરવામાં આવી રહી છે, જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ ટાળી શકાય.

હાલ કપુરાઈ પોલીસ દ્વારા અજાણ્યા વાહનની શોધખોળ શરૂ કરવામાં આવી છે અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે. બે પરિવારોએ પોતાના લાડકા સભ્યો ગુમાવ્યા છે અને સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.

You may also like

રાજકોટ મનપાના જન્મ-મરણ વિભાગમાં સરપ્રાઈઝ વિઝિટ: મેયર સહિત પદાધિકારીઓએ અરજદારો માટે સુવિધા વધારવાના કડક આદેશ આપ્યા

રાજકોટ મનપાના જન્મ-મરણ વિભાગમાં સરપ્રાઈઝ વિઝિટ: મેયર સહિત પદાધિકારીઓએ અરજદારો માટે સુવિધા વધારવાના કડક આદેશ આપ્યા

100 કિ.મી.ની ઝડપે પવન સાથે ભારે વરસાદ અને કરાની આગાહી: IMDએ જાહેર કર્યું રેડ એલર્ટ

100 કિ.મી.ની ઝડપે પવન સાથે ભારે વરસાદ અને કરાની આગાહી: IMDએ જાહેર કર્યું રેડ એલર્ટ

ગીરના સિંહોમાં બબેસિઓસિસનો ખતરો: બે સિંહના મોતની શંકા, 17 સિંહ આઇસોલેશનમાં

ગીરના સિંહોમાં બબેસિઓસિસનો ખતરો: બે સિંહના મોતની શંકા, 17 સિંહ આઇસોલેશનમાં

ભીષણ ગરમી બાદ દેશભરમાં હવામાનમાં મોટો ફેરફાર: અનેક રાજ્યોમાં તોફાની પવન સાથે ભારે વરસાદનું એલર્ટ

ભીષણ ગરમી બાદ દેશભરમાં હવામાનમાં મોટો ફેરફાર: અનેક રાજ્યોમાં તોફાની પવન સાથે ભારે વરસાદનું એલર્ટ