'ચંદા ચોર'ના નારા સાથે અયોધ્યા દાન કૌભાંડ મુદ્દે સંસદ ભવન બહાર વિપક્ષનો હોબાળો Aug 04, 2026 નવી દિલ્હી,વિપક્ષોના ભારે હોબાળા વચ્ચે લોકસભા રાજ્યસભા સ્થગિતસંસદના ચોમાસુ સત્ર દરમિયાન સંસદ ભવન બહાર રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. અયોધ્યા રામ મંદિરના કથિત દાન અને ચઢાવા મામલે વિપક્ષી પાર્ટીઓ આક્રમક મુદ્રામાં નજરે પડી છે. સંસદ પરિસરમાં વિપક્ષી નેતાઓ દ્વારા સરકાર વિરુદ્ધ ઉગ્ર દેખાવો કરવામાં આવ્યા હતા, જેના કારણે સંસદની કાર્યવાહીમાં પણ ભારે હોબાળો મચ્યો હતો.સંસદ ભવન બહાર યોજાયેલા આ વિરોધ પ્રદર્શનમાં વિપક્ષી નેતાઓએ સરકાર વિરુદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર કર્યા હતા. આ દરમિયાન પ્રિયંકા સહિતના નેતાઓએ 'ચંદા ચોર' અને 'ચઢાવા ચોર, ગદ્દી છોડો' જેવા નારા લગાવીને સત્તાધારી પક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. વિપક્ષી સાંસદો હાથમાં બેનરો અને પ્લેકાર્ડ્સ લઈને રામ મંદિરના દાનની રકમ અને તેની પારદર્શિતા અંગે સવાલો ઉઠાવી રહ્યા હતા. તેમનો આરોપ છે કે ધાર્મિક શ્રદ્ધા સાથે જોડાયેલા નાણાંની સુરક્ષા કરવામાં સરકાર નિષ્ફળ રહી છે.સંસદની કાર્યવાહી શરૂ થતાં જ આ વિવાદાસ્પદ મુદ્દે લોકસભામાં ભારે હંગામો શરૂ થઈ ગયો હતો. વિપક્ષી સાંસદો વેલમાં આવીને સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતા, જેના કારણે ગૃહનું વાતાવરણ તણાવપૂર્ણ બન્યું હતું. ગૃહની કાર્યવાહી સુચારૂ રૂપે ચલાવવામાં મુશ્કેલી ઊભી થતાં આખરે લોકસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવી પડી હતી. સત્રના આરંભે જ આ પ્રકારના હંગામાને કારણે આગામી દિવસોમાં પણ રાજકીય ઘમાસાણ વધુ તીવ્ર બનવાના સંકેતો મળી રહ્યા છે. Previous Post Next Post