સંસદમાં સરકારે પણ સ્વીકાર્યું, માઇલેજમાં 3થી 6%નો ઘટાડો શક્ય Aug 19, 2026 નવી દિલ્હી ,જૂના વાહનો માટે E10 પેટ્રોલની વાપસીના સંકેતદેશભરમાં E20 પેટ્રોલ (20% ઇથેનોલ મિશ્રિત ઇંધણ)ને લઈને વાહનચાલકોમાં ભારે ચર્ચા અને અસંતોષ જોવા મળી રહ્યો છે. આમ જનતાની ફરિયાદ છે કે E20 ઇંધણના ઉપયોગથી વાહનોનું માઇલેજ ઘટી ગયું છે અને એન્જિનના પાર્ટ્સને પણ નુકસાન થઈ રહ્યું છે. બીજી તરફ સરકાર સતત આ ઇંધણના ફાયદા ગણાવી રહી છે. જોકે, આ વિવાદ વચ્ચે એક નવો રસ્તો નીકળતો દેખાઈ રહ્યો છે. મળતી માહિતી મુજબ, સરકાર અને ઓઇલ ઇન્ડસ્ટ્રી વચ્ચે E20ની સાથે ફરીથી E10 પેટ્રોલ પણ બજારમાં ઉપલબ્ધ કરાવવા અંગે પ્રાથમિક સ્તરે વિચારણા શરૂ થઈ છે.ભારતે ગયા વર્ષે જ પેટ્રોલમાં 20% ઇથેનોલ બ્લેન્ડિંગ કરવાનો ટાર્ગેટ નક્કી કરેલા સમય કરતાં લગભગ 5 વર્ષ પહેલાં જ પૂર્ણ કરી લીધો હતો. ત્યારબાદ દેશભરમાં E20 પેટ્રોલને મુખ્ય ઇંધણ તરીકે લાગુ કરવામાં આવ્યું. પરંતુ આ નિર્ણય બાદ ખાસ કરીને જૂના વાહનચાલકોની ચિંતા વધી ગઈ હતી. જે વાહનોના એન્જિન વધુ ઇથેનોલવાળા ઇંધણ માટે ડિઝાઇન કરવામાં નથી આવ્યા, તેમાં માઇલેજ ઘટી ગયું છે અને કેટલાક સ્પેરપાર્ટ્સ પર પણ માઠી અસર પડી હોવાની ફરિયાદો સામે આવી હતી.સરકારે આશંકાઓ દૂર કરવાના પ્રયાસો વચ્ચે સંસદમાં સ્વીકાર્યું હતું કે, જૂના વાહનોમાં E20ના ઉપયોગથી માઇલેજમાં 3થી 6% સુધીનો ઘટાડો થઈ શકે છે. આ ઉપરાંત વાહનના રબર કમ્પોનન્ટ્સ પર પણ તેની વિપરીત અસર થઈ શકે છે. આમ છતાં, સરકારે સ્પષ્ટ કર્યું હતું કે E20 ઇંધણથી ક્રૂડ ઓઇલની આયાત પરની નિર્ભરતા ઘટશે, પ્રદૂષણમાં ઘટાડો થશે અને દેશના ખેડૂતોની આવકમાં વધારો થશે.દેશભરમાં ભારે હોબાળા બાદ વિકલ્પ આપવા પ્રાથમિક સ્તરે વિચારણા શરૂવાહનચાલકોમાં સૌથી મોટો અસંતોષ એ વાતનો હતો કે તેમને ઇંધણ પસંદ કરવાનો વિકલ્પ કેમ આપવામાં આવતો નથી? જો કોઈ ચાલક E10 વાપરવા માંગતો હોય કે તેનું વાહન E10 માટે સર્ટિફાઇડ હોય તો પણ હાલમાં બજારમાં કોઈ વિકલ્પ ઉપલબ્ધ નથી. આ ચર્ચા વચ્ચે ભારત સરકારના મુખ્ય આર્થિક સલાહકાર વી. અનંત નાગેશ્વરને એક લેખમાં E20ની સાથે E10 પેટ્રોલ પણ આપવાનું સૂચન કર્યું હતું. તેમણે કરોડો જૂના વાહનોની સ્થિતિ અને તેમના એન્જિન બગડવાની બાબત તરફ ધ્યાન દોર્યું હતું, જેના પછી હવે ઉકેલ લાવવાની પ્રક્રિયા ઝડપી બની છે.ઓટો ઇન્ડસ્ટ્રીના જણાવ્યા અનુસાર, એપ્રિલ 2023 પછી બજારમાં આવેલી નવી પેટ્રોલ ગાડીઓ BS6 ફેઝ-2 નિયમો મુજબ E20 ઇંધણ માટે સંપૂર્ણ રીતે સજ્જ છે. પરંતુ એપ્રિલ 2023 પહેલાં વેચાયેલી કરોડો ગાડીઓની સ્થિતિ તદ્દન અલગ છે. ઉદાહરણ તરીકે, દિલ્હી-NCR જેવા વિસ્તારોમાં પેટ્રોલ વાહનોની માન્યતા 15 વર્ષની હોય છે. માર્ચ 2023માં ખરીદાયેલી કાર હજુ પણ 10થી 12 વર્ષ સુધી ચાલી શકે તેમ છે અને તે સારી સ્થિતિમાં છે. આવી સ્થિતિમાં માત્ર 3-4 વર્ષ જૂની ગાડીઓમાં E20થી થતા નુકસાનને કારણે વાહનમાલિકો મુશ્કેલીમાં મુકાયા છે. જોકે, હાલમાં E10 પેટ્રોલ પાછું લાવવા અંગે ટેકનિકલ પાસાઓ પર ચર્ચા ચાલી રહી છે અને ટૂંક સમયમાં યોગ્ય નિર્ણય લેવાય તેવી શક્યતા છે. Previous Post Next Post