રાજકોટમાં રોગચાળાનો ભય: છેલ્લા અઠવાડિયામાં 2,100 કેસ નોંધાયા, મચ્છરજન્ય રોગો વધ્યા Nov 17, 2025 રાજકોટમાં શિયાળાની શરૂઆત થવાના પહેલા અઠવાડિયામાં રોગચાળાના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. તા. 10-11થી 16-11 સુધી આરોગ્ય અને મેલેરીયા શાખાના અહેવાલ મુજબ, શહેરમાં કુલ 2,100 દર્દીઓ નોંધાયા, જે અગાઉના અઠવાડિયાની સરખામણીમાં 396 જેટલો વધારો છે.શહેરમાં મેલેરીયા, ડેંગ્યુ અને ચીકનગુનીયાના નવા કેસ સામે આવ્યા છે, જેના કારણે મચ્છરજન્ય રોગચાળો વધુ વધવાનો ભય છે. આ અઠવાડિયામાં ડેંગ્યુના 5, મેલેરીયા અને ચીકનગુનીયાના 1 કેસ નોંધાયા છે. સાથે જ શરદી-ઉધરસના 1,048, સામાન્ય તાવના 856, ઝાડા-ઉલ્ટીના 182, ટાઇફોઇડના 3 અને કમળાના 5 કેસ રેકોર્ડ થયા છે.મચ્છર ઉત્પત્તિમાં બેદરકારીના કારણે મેલેરીયા શાખાએ 825 મિલ્કતધારકોને નોટીસ પણ ફટકારી છે. રહેણાક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ અને ઔદ્યોગિક એકમોમાં મચ્છરજન્ય રોગચાળો રોકવા માટે ચકાસણી અને વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો છે.રાજકોટ મહાનગરપાલિકાના પોરાનાશક અને ફિલ્ડવર્કરો દ્વારા અઠવાડિયામાં 54,397 ઘરોમાં રોગચાળા નિવારણ કામગીરી અને 976 ઘરોમાં ફોગીંગ કામગીરી કરવામાં આવી. મચ્છરની ઘનતા વધુ વિસ્તારોમાં વ્હિકલ માઉન્ટેન ફોગીંગ મશીનથી પણ ફોગીંગ કરવામાં આવી.આર્થિક અને મચ્છરજન્ય જોખમને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગે લોકોને બહારના ભોજનથી સાવચેત રહેવા, મચ્છર ઉત્પત્તિ રોકવા અને ઠંડીથી બચવાના ઉપાય અપનાવવા અપીલ કરી છે.રાજકોટમાં રોગચાળાની સ્થિતિને પગલે મચ્છર નિયંત્રણ અને જનજાગૃતિ વધુ જરૂરી બની ગઈ છે, જેથી આગળના અઠવાડિયામાં આ સંક્રમણ નિયંત્રિત કરી શકાય. Previous Post Next Post